10 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) મહાકુંભમાં (Prayagraj Mahakumbh 2025) લગાવવામાં આવેલ લાઉડસ્પીકરની (Loudspeakers) વિરોધમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. તથા આ અરજીને એમ કહેતા ફગાવી (PIL Junk) દીધી હતી કે જાહેર સંબોધન કરવા માટે લગાવવામાં આવેલ લાઉડસ્પીકર માન્ય મર્યાદા કરતા વધુ અવાજ ઉત્પન્ન કરતા હોય એવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
નોંધનીય છે કે મહાકુંભમાં જાહેર સંબોધન માટે જે લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે તેનથી ધ્વનિ પ્રદૂષણ થાય છે અને તેના કારણે ધ્યાન એકાગ્ર કરી શકાતું નથી એવો દાવો કરીને અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરતા દલીલ કરી હતી કે તે મહાકુંભના સેક્ટર 18માં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમની આસપાસના કેમ્પમાં લાઉડસ્પીકર (જાહેર સંબોધન પ્રણાલી) અને એલસીડીનો ઉપયોગ થઈ રહ્યો હતો, જેના કારણે ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું હતું. તથા તેમની તેમનું ધ્યાન અને અન્ય ગતિવિધિઓમાં પણ અવરોધ ઉત્પન્ન થઈ રહ્યો હતો.
આ મામલે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલી અને જસ્ટિસ ક્ષિતિજ શૈલેન્દ્રની બેન્ચે સુનાવણી કરી હતી. દરમિયાન બેન્ચે નોંધ્યું હતું કે અરજદાર એ નથી દર્શાવી શક્યા કે જાહેર સંબોધન પ્રણાલીઓ કેવી રીતે ધ્વનિ પ્રદૂષણનું કારણ બની રહી છે, તથા દાવો સાબિત કરવા માટે પૂરતા પુરાવા પણ રજૂ કરી શક્યા નથી.
કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે અરજદારોએ ફક્ત એવા લાઉડસ્પીકરના ફોટોગ્રાફ્સ જ રજૂ કર્યા હતા જે જાહેરાતના હેતુ માટે લગાવવામાં આવ્યા હતા અને જાહેર રસ્તાઓ પર અસ્થાયી રૂપે મૂકવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આવી સંક્ષિપ્ત અરજીનો સ્વીકાર કરી શકાય નહીં. અલ્હાબાદ હાઇકોર્ટે લાઉડસ્પીકર વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી.
29 જાન્યુઆરીની નાસભાગ મામલે પણ થઈ હતી અરજી
નોંધનીય છે કે આ પહેલા વિશાલ તિવારી નામક વ્યક્તિ 29 જાન્યુઆરી મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન થયેલી નાસભાગ મામલે જાહેર હિતની અરજી લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેણે સરકાર પર ચૂક અને બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, તથા આ મામલે અગાઉથી જ એક આયોગનું ગઠન થઈ ચૂક્યું છે.