હોમપેજદુનિયાવેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન...

વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી: ચીની કંપની અલીએક્સપ્રેસ ફરી વિવાદમાં

ચીનની અલીએક્સપ્રેસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથની તસવીરવાળા ડોરમેટનું વેચાણ થતું હોવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી હતી.

- Advertisement -

ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સનાતન ધર્મમાં આસ્થા ધરાવનારા લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ જય પંડાએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે અને આ ઘટનાને સનાતન ધર્મનું અપમાન ગણાવી છે. તેમણે આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ લોકો આવા ડોરમેટ અંગે વિરોધ કરી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે.

ચીનની અલીએક્સપ્રેસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથની તસવીરવાળા ડોરમેટનું વેચાણ થતું હોવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા સામે આવી હતી. ભગવાન જગન્નાથ, જે ઓડિશાના પુરીમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરના મુખ્ય દેવતા છે, તેમની તસવીરનો ઉપયોગ ડોરમેટ જેવી વસ્તુ પર થવો એ અત્યંત અપમાનજનક બાબત છે. આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચાડી છે, કારણ કે ડોરમેટ જેવી વસ્તુઓ પર પવિત્ર ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ અસ્વીકાર્ય છે.

જય પંડાની પ્રતિક્રિયા

ભાજપ નેતા જય પંડાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, “@AliExpress_EN દ્વારા ડોરમેટ પર મહાપ્રભુ જગન્નાથની પવિત્ર છબી વેચાતી જોઈને મને આઘાત લાગ્યો. એક ઓડિયા અને લાખો ભક્તો પૈકીના એક હોવાને કારણે આ અસ્વીકાર્ય છે. મને ભારતમાં પ્રતિબંધિત આ ચીની ઈ-કોમર્સ સાઇટ દ્વારા એક ઊંડું ષડયંત્ર દેખાય છે. આ તે વિદેશી સંસ્થાઓ પૈકીની એક છે, જે સદીઓથી સનાતન ધર્મ અને તેના અનુયાયીઓને નીચું દેખાડવાનો પ્રયાસ કરી રહી છે. જો વેચનાર આવી વસ્તુઓને પરત નહીં ખેંચે તો તેને તેના વલણ પર પસ્તાવો થાય તેવા પગલાં લેવા પડશે. જય જગન્નાથ.”

- Advertisement -

BJD નેતાએ પણ કરી ટીકા

આ ઉપરાંત BJDના નેતા ડૉ. અમર પટ્ટનાયકે પણ X પોસ્ટ કરીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, “AliExpress પર ભગવાન જગન્નાથની પવિત્ર છબી ધરાવતા ડોરમેટ વેચવાના ઘૃણાસ્પદ કૃત્યની હું સખત નિંદા કરું છું! આ ઘોર અપમાન લાખો ભક્તોની લાગણીઓનું અપમાન છે, જે પૂજનીય મૂર્તિ પ્રત્યે ઘોર અનાદર દર્શાવે છે. આ સર્વોચ્ચ સ્તરનું અપમાન છે અને જવાબદારોને ગુનેગાર ઠેરવવા જોઈએ. ભગવાન જગન્નાથની છબીનો માત્ર એક વસ્તુ તરીકે ઉપયોગ હિંદુ ધર્મ પ્રત્યેના ઘોર અપમાનની સ્પષ્ટ બાબત છે. આ ગંભીર ગુનાને સુધારવા અને પૂજનીય દેવતાની ગરિમા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.”

સોશિયલ મીડિયા પર #BoycottAliExpress ટ્રેન્ડ

નોંધનીય છે કે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર #BoycottAliExpress ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકોએ અલીએક્સપ્રેસનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ઘણા યુઝર્સે આવા ઉત્પાદનોના વેચાણને ‘ધર્મનું અપમાન’ ગણાવ્યું અને કંપની પાસેથી સત્તાવાર માફીની માંગ પણ કરી છે. ખાસ કરીને ઓડિશાના લોકો, જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે, તેમણે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી અને કંપની સામે કાનૂની કાર્યવાહીની માંગ પણ કરી છે.

એક યુઝરે લખ્યું છે કે, “ડોરમેટ પર ભગવાન જગન્નાથના ફોટા છાપીને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનાર કંપની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની, તે ફોટા અને ઉત્પાદનો બંધ કરવાની અને હિંદુ સમુદાયની જાહેર માફી માંગવાની માંગ કરું છું.”

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “ચીનની માલિકીની ઈ-કોમર્સ #AliExpressએ બધી હદો વટાવી દીધી છે. આ કંપની તેના પ્લેટફોર્મ પર હિંદુ ધર્મ અને કરોડો ભક્તોની શ્રદ્ધા પર સીધો હુમલો કરી રહી છે. ડોરમેટ પર ભગવાન જગન્નાથનો ફોટો છાપેલ છે. ચાલો આપણે બધા સાથે મળીને આ કંપનીઓનો બહિષ્કાર કરીએ.”

આ જ દરમિયાન એક એવી પોસ્ટ પણ સામે આવી હતી, જેમાં એક યુઝરે ભગવાન વિષ્ણુના ફોટાવાળા ફર્શનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “ફર્શ ગાલીચા પર વિષ્ણુ અને શિવ જેવા હિંદુ દેવતાઓની છબીઓનો ઉપયોગ કરવો એ ખૂબ જ અપમાનજનક છે. આ ‘ડિઝાઇન’ નથી – તે સાંસ્કૃતિક અસંવેદનશીલતા અને ધાર્મિક અપમાન છે.”

‘ભૂલ કે જાણી જોઈને સનાતનીઓની લાગણીઓ પર કરેલ પ્રહાર!’

આ વિવાદ બાદ અલીએક્સપ્રેસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે, સમાચાર અનુસાર, વિવાદાસ્પદ ડોરમેટને તેમના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. તેમ છતાં લોકોનો રોષ હજુ શાંત થયો નથી. ઘણા લોકો કંપની પાસેથી સ્પષ્ટ માફી અને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ ન થાય તે માટે નક્કર પગલાંની અપેક્ષા રાખે છે.

ભારતમાં ધાર્મિક ચિહ્નો, દેવી-દેવતાઓની તસવીરો અને પવિત્ર પ્રતીકોનો ઉપયોગ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. ભગવાન જગન્નાથની તસવીરનો ડોરમેટ પર ઉપયોગ એ માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું જ નહીં, પરંતુ સનાતન ધર્મના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું પણ અપમાન છે. આવી ઘટનાઓ અગાઉ પણ બની છે, જેમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે ભારતીય ધર્મોના પ્રતીકોનો દુરુપયોગ કર્યો હતો, જેના કારણે લોકોનો વિરોધ થયો હતો.

આ પહેલાં એમેઝોન પર સનાતનના દેવી-દેવતાઓના ફોટોવાળા આંતરવસ્ત્ર વેચાતા હોવાનો મામલો સામે આવી ચૂક્યો છે. આવા કિસ્સાઓ ભારતની સાંસ્કૃતિક સંવેદનશીલતાને સમજવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે. આ ઘટનાએ ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો છે કે, આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ભારતીય બજારમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરતી વખતે ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું ધ્યાન રાખવું જોઈએ.

હાલ લોકોની માંગ છે કે, અલીએક્સપ્રેસ આ ઘટના માટે માફી માંગે અને ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે યોગ્ય પગલાં લે. અલીએક્સપ્રેસનો આ વિવાદ એક ચેતવણી છે કે, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ભગવાન જગન્નાથની તસવીરવાળા ડોરમેટનું વેચાણ એ માત્ર એક ભૂલ નથી, પરંતુ લાખો લોકોની શ્રદ્ધા અને લાગણીઓ પર પ્રહાર સમાન છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં