હોમપેજગુજરાતઅમદાવાદની સ્કૂલમાં જે હિંદુ બાળકની હત્યા, તેના દાદાએ કહ્યું– મટનને પનીર કહીને ખવડાવતા...

અમદાવાદની સ્કૂલમાં જે હિંદુ બાળકની હત્યા, તેના દાદાએ કહ્યું– મટનને પનીર કહીને ખવડાવતા હતા મુસ્લિમ વિદ્યાર્થીઓ: સતત હેરાનગતિ હોવાની સહપાઠીઓની ફરિયાદ

એક મહિલા જણાવે છે કે, 2 મહિના પહેલાં તેમના પુત્ર સાથે પણ અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી પરંતુ શાળાએ વાલીઓને બોલાવીને સમાધાન કરાવી દીધું હતું અને કોઈ એક્શન લેવાની દરકાર કરી ન હતી. 

- Advertisement -

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Ahmedabad School) મુસ્લિમ વિદ્યાર્થીઓએ એક હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી નાખ્યા બાદ સ્થિતિ વણસી હતી. મોટી સંખ્યામાં વાલીઓ, હિંદુ સંગઠનના લોકો શાળાએ પહોંચી ગયા અને આક્રોશ ઠાલવ્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા માટે પછીથી પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો. ઑપઇન્ડિયાએ સ્થળ પર જઈને વાલીઓ, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. દરમ્યાન, મૃતક વિદ્યાર્થીના પરિજનોએ પણ જણાવ્યું કે ખરેખર શું બન્યું હતું. 

ઘટના એવી છે કે થોડા દિવસ પહેલાં સેવન્થ ડે સ્કૂલમાં જ ઇંગ્લિશ મીડિયમમાં દસમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીનો આઠમા ધોરણના અમુક વિદ્યાર્થીઓ સાથે નાનકડી વાતને લઈને ઝઘડો થયો હતો. ગત 19 ઑગસ્ટ શાળામાં આરોપી વિદ્યાર્થીઓએ મૃતકને છરી મારી દીધી. ત્યારબાદ તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ બચી શક્યો ન હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક વિદ્યાર્થી હિંદુ હતો અને આરોપીઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. 

મટનને પનીર કહીને ખવડાવતા હતા મુસ્લિમ વિદ્યાર્થીઓ: મૃતકના દાદા 

ઘટના વિશે જાણકારી આપતાં મૃતક વિદ્યાર્થીના દાદાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં તેમનો પૌત્ર શાળા છૂટ્યા બાદ દાદર ઉતરી રહ્યો હતો ત્યારે ધક્કામુક્કી થઈ જતાં એક મુસ્લિમ વિદ્યાર્થીએ તેની સાથે માથાકૂટ કરી હતી, પરંતુ પછીથી ‘સૉરી’ કહીને સમાધાન કરી લીધું હતું. પરંતુ ત્યારબાદ ઘટનાના દિવસે આઠ-દસ છોકરાઓ મોઢે બુકાની બાંધીને આવ્યા અને હિંદુ વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. 

- Advertisement -

તેમણે શાળા પર આરોપ લગાવતાં કહ્યું કે, ગંભીર રીતે ઈજા પામ્યો હોવા છતાં તેમના પૌત્રને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો ન હતો કે ન એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પરિજનો શાળાએ પહોંચ્યા બાદ વિદ્યાર્થીને હૉસ્પિટલ લઈ ગયા હતા. 

શાળાની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવતાં તેમણે કહ્યું કે, આ અસામાજિક તત્વો છરી લઈને શાળામાં ઘૂસી ગયા અને છતાં સુરક્ષાકર્મીઓને ધ્યાન ન આવ્યું કે તેમણે રોક્યા કેમ નહીં એ એક મોટો પ્રશ્ન છે. મૃતકના દાદા અનુસાર, જે છોકરાએ છરી મારી હતી તેને અમદાવાદ પોલીસે રાત્રે શાહઆલમ વિસ્તારમાંથી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસે રાત્રે જ આ મામલે FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. 

મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા હિંદુ વિદ્યાર્થીઓ સાથે થતી હેરાનગતિ વિશે જણાવતાં તેમણે કહ્યું કે, “અમે શુદ્ધ શાકાહારી છીએ. મુસ્લિમ છોકરાઓ મટન લઈને શાળામાં આવતા હતા તો અમારા પુત્રને ‘પનીરનું શાક છે’ તેમ કહીને ખવડાવતા હતા.”

વિદ્યાર્થીઓએ કહ્યું– મૃતક વિદ્યાર્થીના વાલીએ 2 મહિના પહેલાં પણ ફરિયાદ કરી હતી 

અસામાજિક તત્વોના શાળામાં આતંક વિશે મૃતક વિદ્યાર્થી સાથે જ ભણતા અમુક સહપાઠીઓએ પણ જણાવ્યું. તેઓ કહે છે કે, આરોપીઓ શાળામાં નાનાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનાં ગળાં દબાવીને, ચાકુ બતાવીને ધમકી આપે છે. (મૃતક વિદ્યાર્થી)ના વાલીઓએ 2 મહિના પહેલાં પણ સ્કૂલમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 

આક્રોશિત વાલીઓએ કહ્યું– અહીં ક્યાં હિંદુ ભણશે ક્યાં મુસ્લિમ 

શાળાની બહાર એકઠા થયેલા વાલીઓમાંથી અમુક મહિલાઓએ ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે શાળામાં અગાઉ પણ અનેક ફરિયાદો થતી રહી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓના ત્રાસ વિશે જણાવીને તેઓ કહે છે કે અહીં ક્યાં હિંદુ ભણશે, ક્યાં મુસ્લિમ ભણશે. અમારી એક જ માંગ છે. 

ગંભીર આરોપ લગાવતાં એક મહિલાએ જણાવ્યું કે શાળામાં અગાઉ પણ દારૂ, ડ્રગ્સ વગેરે પકડાયું છે, પણ પૈસા લઈને દબાવી દેવામાં આવે છે. ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેઓ કહે છે કે આ શાળામાં પૈસા હોય તો બધું જ થઈ શકશે. 

અન્ય એક મહિલા જણાવે છે કે, 2 મહિના પહેલાં તેમના પુત્ર સાથે પણ અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી પરંતુ શાળાએ વાલીઓને બોલાવીને સમાધાન કરાવી દીધું હતું અને કોઈ એક્શન લેવાની દરકાર કરી ન હતી. 

આ મહિલાઓએ પણ ઈજાગ્રસ્ત બાળકને સમયસર શાળાએ ન પહોંચાડવા બદલ શાળા મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે જો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોત તો તે બચી ગયો હોત. 

શાળાને તાળાં મારવામાં આવે: ABVP

શાળાની બહાર ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પણ એકઠા થઈ ગયા હતા. સિંધી સેન્ટ્રલ પંચાયતના અધ્યક્ષ કમલ મહેતાનીએ કહ્યું કે, “આ ઘટના દુઃખદ છે. આ શિક્ષણ સંસ્થા છે, ત્યાં આવી ઘટના ઘટે એ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ બીજા વિદ્યાર્થીઓ સાથે પણ બની શકે. નાનકડી વાતમાં નાના બાળકને ચાકુ મારી દેવામાં આવ્યું હતું. અમારી માંગ છે કે તેમને તાત્કાલિક પકડીને કડક સજા કરવામાં આવે. આ શાળા મેનેજમેન્ટની પણ જવાબદેહી નક્કી કરવામાં આવે. તેમનું કામ માત્ર ફી ઉઘરાવવાનું નથી.”

ABVPના નેતાઓએ કહ્યું કે, “વિદ્યાર્થી પરિષદનું સ્પષ્ટ વલણ છે કે લાખ-લાખ રૂપિયાની ફી લીધા પછી પણ જો શાળામાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોય અને અસામાજિક તત્વો છરી લઈને ફરી રહ્યા હોય તો આ સ્કૂલને તાળાં મારી દેવાં જોઈએ.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં