જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) સરકારે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા 25 પુસ્તકો (Books) પર પ્રતિબંધ (Banned) લગાવી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં વામપંથી અરુંધતી રૉય સહિત અન્ય લોકોના 25 પુસ્તકો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું કહેવું છે કે, આ પુસ્તકો અલગાવવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે અને દેશની એકતા તથા અખંડિતતા માટે મોટું જોખમ છે. વધુમાં સરકારે એવું પણ કહ્યું છે કે, આ પુસ્તકો યુવાનોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ પુસ્તકમાં ઇતિહાસને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે, સેના અને સુરક્ષાદળોની છબી ખરડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે અને મજહબી કટ્ટરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
કયા પુસ્તકો પર ઝીંકાયો પ્રતિબંધ?
પ્રતિબંધિત પુસ્તકોમાં વામપંથી અને ઇસ્લામી કટ્ટરપંથીઓના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં અરુંધતી રૉયના પુસ્તક ‘આઝાદી’, એજી નૂરાનીના પુસ્તક ‘ધ કાશ્મીર ડિસ્પ્યૂટ, 1947-2012’, સુમંત્રા બોસના ‘કાશ્મીર એટ ધ ક્રોસરોડ્સ’ અને ‘કોન્ટેસ્ટેડ લેન્ડ્સ’, ડેવિડ દેવદાસના ‘ઇન સર્ચ ઑફ અ ફ્યુચર: ધ કાશ્મીર સ્ટોરી’ અને પત્રકાર અનુરાધા ભસીનના ‘અ ડિસમેન્ટલ્ડ સ્ટેટ: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કાશ્મીર આફ્ટર આર્ટિકલ 370’ જેવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમાં વિદેશી લેખકોનાં ઘણા પુસ્તકો પણ સામેલ છે, જેમ કે હાફ્સા કંઝવાલનું ‘ક્લોન્ઝિંગ કાશ્મીર’, હેલી દુશિન્સ્કીનું ‘રેસિસ્ટિંગ ઓક્યુપેશન ઇન કાશ્મીર’, વિક્ટોરિયા સ્કોફીલ્ડનું ‘કાશ્મીર ઇન કોન્ફ્લિક્ટ’ અને ક્રિસ્ટોફર સ્નેડનનું ‘ઇન્ડિપેન્ડન્ટ કાશ્મીર’. કાશ્મીર પર સતત પ્રોપેગન્ડા ચલાવનારા વામપંથીઓ ઉપરાંત ઇસ્લામી કટ્ટરપંથીઓનાં પુસ્તકો પણ પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. તેમાં મૌલાના અબુલ આલા મૌદૂદીનું ‘અલ જિહાદ ફિલ ઇસ્લામ’ અને હસન અલ-બન્નાનું ‘મુજાહિદ કી અઝાન’ પણ સામેલ છે.
બાકીનાં પુસ્તકોમાં પિઓટ્ર બાલ્સેરોવિક્ઝ અને અગ્નિએશ્કા કુસેવ્સ્કાનું ‘લૉ એન્ડ કોન્ફ્લિક્ટ ઇન કાશ્મીર’, ડૉ. શમશાદ શાનનું ‘યુએસએ એન્ડ કાશ્મીર’ અને ડૉ. આફાકનું ‘તારીખ-એ-સિયાસત કાશ્મીર’ પણ સામેલ છે. સરકારે જણાવ્યું છે કે, આ પ્રકારનાં પુસ્તકો યુવાનોના મનમાં અસંતોષ, કટ્ટરતા અને દેશવિરોધી વિચારો પેદા કરે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ બની શકે છે. તેથી હવે આ પુસ્તકોને છાપવા, વહેંચવા કે રાખવા ગેરકાનૂની છે.
અરુંધતી રૉય વિરુદ્ધ UAPA હેઠળ ચાલી રહ્યો છે કેસ
દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ જૂન 2024માં અરુંધતી રૉય વિરુદ્ધ UAPA કાયદા હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. તેના પર 21 ઑક્ટોબર 2010ના રોજ દિલ્હીના કૉપરનિકસ રોડ પર આવેલા LTG ઑડિટોરિયમમાં ‘આઝાદી – ધ ઓન્લી વે’ના બેનર હેઠળ યોજાયેલા સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો.
ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં ‘કાશ્મીરને ભારતથી અલગ કરવા’નો પ્રચાર કરવામાં આવ્યો હતો. 21 ઑક્ટોબર 2010ના ભાષણોને લઈને કાશ્મીરના સામાજિક કાર્યકર્તા સુશીલ પંડિતે 28 ઑક્ટોબરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Delhi LG V K Saxena has sanctioned for prosecution of Arundhati roy for an FIR registered in 2010.
— BALA (@erbmjha) October 10, 2023
Arundhati Roy had said, “Kashmir is not an integral part of India, and it never was.”
Finally after 13 yrs. @khanumarfa pic.twitter.com/hIR5Mkx0Pj
ફરિયાદમાં આરોપ હતો કે, અરુંધતી રૉયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાશ્મીર ક્યારેય ભારતનો ભાગ નહોતું અને તેના પર ભારતીય સશસ્ત્રદળોએ બળજબરીથી કબજો કર્યો હતો. ફરિયાદમાં કહેવાયું હતું કે, અરુંધતી રૉયે આ કાર્યક્રમમાં એવું પણ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ભારતથી ‘આઝાદી’ માટે દરેક સંભવિત પ્રયાસ કરવા જોઈએ.
ફરિયાદીએ આ નિવેદનોનું રેકોર્ડિંગ પૂરું પાડ્યું હતું. ત્યારબાદ દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ બાદ વામપંથી અરુંધતી રૉય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ઑક્ટોબર 2023માં પણ દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ અન્ય કલમો હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ આ વામપંથી રૉયે ભારતના બધા જ રાજ્યો વિશે આવું ઝેર ઓક્યું હતું. તેણે 2011માં બ્રિટનની યૂનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરમાં ભાષણ આપીને ભારતના વિવિધ રાજ્યોને ઉપનિવેશ ગણાવ્યાં હતાં અને દાવો કર્યો હતો કે, ભારતીય સેનાની બર્બરતાને કારણે કાશ્મીર, પંજાબ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ગોવા, તેલંગાણા અને હૈદરાબાદ સહિતના વિસ્તારો આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યાં છે. તેણે ભારતીય રાષ્ટ્રને ઉચ્ચ જાતિના હિંદુઓ દ્વારા સંચાલિત ગણાવીને પાકિસ્તાનની સેનાની બર્બરતા સાથે સરખામણી કરી હતી.


