Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં 19 વર્ષીય ખ્રિસ્તી યુવકને મૃત્યુદંડ: વોટ્સએપ મેસેજમાં પયગમ્બરનું અપમાન કરવાનો આરોપ,...

    પાકિસ્તાનમાં 19 વર્ષીય ખ્રિસ્તી યુવકને મૃત્યુદંડ: વોટ્સએપ મેસેજમાં પયગમ્બરનું અપમાન કરવાનો આરોપ, 4 વર્ષ પહેલાં ઇશનિંદાના કેસમાં થઇ હતી ધરપકડ

    પાકિસ્તાનમાં ઇશનિંદા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થતા વ્યક્તિને મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. જોકે પાકિસ્તાનમાં મોટાભાગના કિસ્સાઓમાં આ ‘ઇશનિંદા’ના આરોપીઓનો ફેંસલો કોર્ટ નહીં પરંતુ ટોળું જ કરી નાંખતું હોય છે.

    - Advertisement -

    ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં 19 વર્ષીય ખ્રિસ્તી યુવકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. નૌમાન મસીહ નામના આ યુવક પર લગભગ 4 વર્ષ પહેલાં ઈશનિંદાનો આરોપલાગ્યો હતો, જે બાદ તાજેતરમાં પાકિસ્તાનની એક કોર્ટે તેને દોષિત જાહેર કરીને આ આકરી સજા ફટકારી હતી. આ સાથે નૌમાનને 20 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

    મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં 19 વર્ષીય ખ્રિસ્તી યુવકને આ ફાંસીની સજા વર્ષ 2019માં બગદાદુલ જદીદ પોલીસે પાકિસ્તાન દંડ સંહિતાની ધારા 295-C અંતર્ગત ધરપકડ બાદ ફટકારવામાં આવી છે. તે સમયે નૌમાને મેસેન્જર એપ વોટ્સએપ પર કથિત રીતે ઈશનિંદા થાય તે પ્રકારની સામગ્રી શૅર કરી હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. તાજેતરમાં એડિશનલ જજ હફીઝૂર રહેમાન ખાનની કોર્ટમાં ફોરેન્સિક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાને લઈ કોર્ટે નૌમાનને ફાંસીની સજા ફટકારી હતી.

    ઉલ્લેખનીય છે કે 19 વર્ષીય નૌમાન મસીહ લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર આવેલા બહાવલપુરની ઈસ્લામી કોલોનીનો રહેવાસી છે. 1 જુલાઈ, 2019ના રોજ નૌમાનની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલાં તેના પિતરાઈ ભાઈને પણ હિરાસતમાં લેવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ છોડી દેવાયો હતો. નૌમાનની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા, જેમાં તેના મોબાઇલમાંથી કેટલાક મેસેજ બતાવવામાં આવ્યા જે પયગમ્બર મોહમ્મદને લઈને કરવામાં આવ્યા હતા. તેની સામે 295-C કલમ લગાવી હતી, જેમાં મૃત્યુદંડની જોગવાઈ છે. 

    - Advertisement -

    નૌમાનના પિતાએ તેમના પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમને ‘ગોડ’ પર વિશ્વાસ છે અને તેમનો પુત્ર જલ્દીથી પરત ફરશે. નૌમાનને સજા મળવાના કારણે ઘરમાં સૌ કોઈ દુઃખી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

    આ પહેલા થઈ ચૂકી છે 2 મહિલાઓની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં એપ્રિલ મહિનામાં 1 ખ્રિસ્તી મહિલા અને 1 મુસ્લિમ વ્યક્તિની ઇશનિંદાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પાકિસ્તાનના પાકપટ્ટન શહેરના રહેવાસી છે, જેમના પર આરોપ છે કે તેમણે ઇસ્લામિક સાહિત્યને કચરામાં નાંખીને સળગાવી દીધું હતું. તે પહેલાં ગત મે મહિનામાં પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વામાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફની એક રેલી દરમિયાન એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેણે રેલી દરમિયાન ઇમરાન ખાનની સરખામણી પયગમ્બર મોહમ્મદ સાથે કરતાં ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને મૉબ લિંચિંગ કરી નાંખ્યું હતું.

    અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થતા વ્યક્તિને મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. જોકે પાકિસ્તાનમાં મોટાભાગના કિસ્સાઓમાં આ ‘ઇશનિંદા’ના આરોપીઓનો ફેંસલો કોર્ટ નહીં પરંતુ ટોળું જ કરી નાંખતું હોય છે. કોઈ પણ ધર્મ, મઝહબનાં પાત્રો કે પ્રતીકો વિશે અપમાનજનક ટિપ્પણી કે વ્યવહારને ‘ઇશનિંદા’ (Blasphemy) ગણવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં