Saturday, May 18, 2024
More
    હોમપેજરાજકારણએથિક્સ કમિટીના પ્રશ્નોથી અકળાયાં મહુઆ મોઈત્રા, અધવચ્ચેથી ચાલતી પકડી: સમિતિના વિપક્ષી સાંસદ...

    એથિક્સ કમિટીના પ્રશ્નોથી અકળાયાં મહુઆ મોઈત્રા, અધવચ્ચેથી ચાલતી પકડી: સમિતિના વિપક્ષી સાંસદ સભ્યોએ પણ વૉકઆઉટ કર્યું, બહાર આવીને હોબાળો મચાવ્યો

    વીડિયોમાં મહુઆ મોઈત્રા અને સાંસદો હોબાળો મચાવતાં બહાર આવતાં જોવા મળે છે. મહુઆ મોઈત્રા પત્રકારો સાથે વાતચીત કરતાં કહે છે કે, તેમને સમિતિના ચેરમેન દ્વારા ‘અયોગ્ય પ્રશ્નો’ પૂછવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા ગુરૂવારે (2 નવેમ્બર) સંસદની એથિક્સ કમિટી સમક્ષ હાજર થયાં હતાં, જ્યાં આરોપોને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, બપોરે અચાનક તેમને પ્રશ્નો મામલે વાકું પડ્યું અને અડધેથી જ બહાર આવી ગયાં હતાં. તેમની સાથે સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદો પણ બહાર આવી ગયા હતા. 

    ન્યૂઝ એજન્સી ANIએ X પર શૅર કરેલા વીડિયોમાં મહુઆ મોઈત્રા અને વિપક્ષના અન્ય સાંસદો સંસદ ભવનમાં મોટેમોટેથી બોલતા નજરે પડે છે. રિપોર્ટ્સ અનુસાર, તેમણે ચાલુ હિયરીંગ દરમિયાન વૉકઆઉટ કરી દીધું હતું. વિપક્ષી સાંસદોમાં બહુજન સમાજ પાર્ટીના નેતા દાનિશ અલી, JDU સાંસદ ગિરિધરી યાદવ, કોંગ્રેસ સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સંસદની સમિતિમાં તમામ પાર્ટીના સાંસદોને સ્થાન આપવામાં આવે છે. 

    વીડિયોમાં મહુઆ મોઈત્રા અને સાંસદો હોબાળો મચાવતાં બહાર આવતાં જોવા મળે છે. મોઈત્રા પત્રકારો સાથે વાતચીત કરતાં કહે છે કે, તેમને સમિતિના ચેરમેન દ્વારા ‘અયોગ્ય પ્રશ્નો’ પૂછવામાં આવ્યા હતા. બાકીના સાંસદો કહેતા સંભળાય છે કે, “અમે વૉકઆઉટ કરી દીધું છે, કારણ કે તેઓ ‘અનૈતિક’ (અન-એથિકલ) પ્રશ્નો પૂછી રહ્યા હતા.”

    - Advertisement -

    વીડિયોમાં મહુઆ મોઈત્રા મોટેમોટેથી બોલતાં અને સમિતિ પર પ્રશ્નો ઉઠાવતાં ચાલી જતાં જોવા મળે છે. 

    JDU સાંસદે બહાર આવીને દાવો કર્યો કે, “તેઓ મહિલાને (મહુઆ) વ્યક્તિગત પ્રશ્નો પૂછી રહ્યા હતા. તેમને આ પ્રકારના પ્રશ્નો પૂછવાનો કોઈ અધિકાર નથી, જેથી અમે વૉકઆઉટ કરી દીધું.” કોંગ્રેસ સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, પ્રશ્નો જોઈને લાગતું હતું કે તેઓ (સમિતિના ચેરમેન) કોઇના ઇશારે કામ કરી રહ્યા છે. આ બહુ ખરાબ છે. તેઓ મહુઆ મોઈત્રાને પૂછે છે કે તમે ક્યાં પ્રવાસ કર્યો છે? કોને મળ્યાં હતાં, અમને ફોન રેકોર્ડ્સ આપી શકો?…. હજુ સુધી કૅશ ટ્રાન્સફરના કોઇ પુરાવા મળ્યા નથી.”

    જોકે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ બધાને નાટક ગણાવ્યાં અને કહ્યું કે, આ બધું જોઈને લાગે છે કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે. 

    આ મામલે સમિતિના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદ સોનકરે કહ્યું કે, “જવાબ આપવાની જગ્યાએ તેઓ (મહુઆ મોઈત્રા) ગુસ્સે થઈ ગયાં અને ચેરમેન અને સમિતિના અન્ય સભ્યો માટે અસંસદીય ભાષા વાપરી હતી. દાનિશ અલી, ગિરિધારી યાદવ અને અન્ય સભ્યોએ કમિટી પર આરોપ લગાવવાના પ્રયાસ કર્યા અને વૉકઆઉટ કરી ગયા. કમિટી બેસીની આગળ શું કરવું તેનો નિર્ણય કરશે.”

    ઉલ્લેખનીય છે કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં અદાણી જૂથને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ છે. જેને લઈને લોકસભા સ્પીકરને ફરિયાદ થયા બાદ તેમણે મામલો એથિક્સ સમિતિને મોકલી આપ્યો હતો. એથિક્સ કમિટી આ મામલે પહેલાં ભાજપ સાંસદ નિશિકાંત દૂબે (જેમણે લોકસભા સ્પીકરને ફરિયાદ કરી હતી) અને વકીલ જય અનંત દેહદ્રાઈની (જેમણે આ સમગ્ર કૌભાંડ ઉજાગર કર્યુ હતું, તેઓ મોઈત્રાના નજીકના મિત્ર રહી ચૂક્યા છે) પૂછપરછ કરી ચૂકી છે અને ત્યારબાદ મહુઆ મોઈત્રાને સમન્સ પાઠવ્યું હતું. 

    પહેલાં સમિતિએ TMC સાંસદને 31 ઓક્ટોબરના રોજ હાજર રહેવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે પોતે અન્ય કાર્યક્રમોના કારણે હાજર રહી શકે નહીં તેવું કારણ આપ્યું હતું અને 5 નવેમ્બર પછીની તારીખ માંગી હતી. પરંતુ સમિતિએ આખરે 2 નવેમ્બરની તારીખ આપી હતી. ત્યારબાદ મહુઆ મોઈત્રા હાજર રહ્યાં હતાં. જોકે, પછીથી હોબાળો મચાવીને બહાર આવી ગયાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં