Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ‘કર્ણાટકમાં ગમે ત્યારે પડી શકે કોંગ્રેસની સરકાર’: પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીનો દાવો, કહ્યું-...

    ‘કર્ણાટકમાં ગમે ત્યારે પડી શકે કોંગ્રેસની સરકાર’: પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીનો દાવો, કહ્યું- 50થી 60 MLA ભાજપમાં આવી શકે

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે નામ તો કહ્યું ન હતું પણ ઉમેર્યું કે આવું કામ નાના નેતાઓથી થઈ ન શકે, તે પાર્ટી પર પકડ ધરાવતા નેતાઓ જ કરી શકે. તેમનો દાવો છે કે મહારાષ્ટ્રમાં જેવું થયું હતું તેઓ હવે કોઇ પણ સમયે કર્ણાટકમાં પણ થઈ શકે છે.

    - Advertisement -

    કર્ણાટકનું રાજકારણ ફરી ચર્ચામાં છે. જનતા દળ (સેક્યુલર) નેતા કુમારસ્વામીએ તાજેતરમાં એક દાવો કર્યો કે કોગ્રેસના 50થી 60 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને ગમે ત્યારે કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી શકે છે. 

    કુમારસ્વામીના દાવા અનુસાર, કર્ણાટકના એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સરકારમાં મંત્રી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે વિચારી રહ્યા છે. જો તેમ થાય તો તેઓ પોતાની સાથે ધારાસભ્યોને પણ લઇ આવશે અને કોંગ્રેસ સરકારને મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે. જોકે, તેમણે આ મંત્રીનું નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો. 

    કુમારસ્વામીએ પત્રકારોને કહ્યું કે, “કોંગ્રેસની સરકારમાં બધું ઠીક ચાલી રહ્યું નથી. આ સરકાર ક્યારે પડી ભાંગશે કંઈ કહી ન શકાય. એક મંત્રી તેમની સામે ચાલતા કેસથી બચવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તેમની સામે કેસ એવા છે કે કોઇ રીતે બચી શકાય તેમ નથી. તેમણે દાવો કર્યો કે આ મંત્રી પોતાની સાથે 50-60 ધારાસભ્યોને લઈને પાર્ટી છોડી શકે છે.” 

    - Advertisement -

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે નામ તો કહ્યું ન હતું પણ ઉમેર્યું કે આવું કામ નાના નેતાઓથી થઈ ન શકે, તે પાર્ટી પર પકડ ધરાવતા નેતાઓ જ કરી શકે. તેમનો દાવો છે કે મહારાષ્ટ્રમાં જેવું થયું હતું તેઓ હવે કોઇ પણ સમયે કર્ણાટકમાં પણ થઈ શકે છે. તેમણે કહ્યું, “હાલના રાજકીય વાતાવરણને જોતાં કંઈ પણ થઈ શકે છે. જ્યારે નેતાઓ પોતાની સગવડતા અનુસાર પક્ષ બદલે ત્યારે વિચારધારા ગૌણ બાબત બની જાય છે.”

    અહીં ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી. મે, 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 224માંથી 136 બેઠકો મળી હતી, જ્યારે અગાઉ સત્તામાં રહેલી પાર્ટી ભાજપને 65 બેઠકો મળી હતી. કુમારસ્વામી જેવો દાવો કરે છે તેવું થાય અને 60 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો પાર્ટી બદલે તો સરકાર અલ્પમતમાં આવી જાય. બીજી તરફ, એકસાથે આટલી સંખ્યામાં MLA પાર્ટી બદલે તો પક્ષપલટાનો નિયમ પણ લાગુ ન પડે. 

    આવું કર્ણાટકમાં પહેલાં પણ થઈ ચૂક્યું છે અને તેને વધુ સમય પણ થયો નથી. 2018માં કર્ણાટકની ચૂંટણી બાદ કોંગ્રેસ અને JDSએ સરકાર બનાવી હતી, પરંતુ 2019માં અમુક ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં પડી ગઇ હતી. આવું જ મહારાષ્ટ્રમાં 2022માં થયું, જ્યારે એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરી દીધો હતો અને પછી ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ પાર્ટીના બે ભાગ થઈ ગયા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં