Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણ‘ચોરી, લૂંટફાટ, રેપ...બધામાં મુસ્લિમો નંબર 1’: આસામના નેતા બદરુદ્દીન અજમલ, કહ્યું- લોકો...

    ‘ચોરી, લૂંટફાટ, રેપ…બધામાં મુસ્લિમો નંબર 1’: આસામના નેતા બદરુદ્દીન અજમલ, કહ્યું- લોકો ચાંદ પર જાય છે અને આપણે જેલમાં કઈ રીતે જવું તેની ઉપર પીએચડી કરીએ છીએ

    આ નિવેદનનો મુસ્લિમ સમુદાયમાંથી વિરોધ પણ ખૂબ થયો પરંતુ બદરુદ્દીન અજમલ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. તેમણે કહ્યું કે, પોતે કશું જ ખોટું કહ્યું નથી અને શિક્ષણના અભાવના કારણે સમુદાયમાં ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. 

    - Advertisement -

    આસામ સ્થિત ઑલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના (AIUDF) પ્રમુખ બદરુદ્દીન અજમલે તાજેતરમાં એક નિવેદન આપ્યું, જેની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો ચોરી, લૂંટફાટ, રેપ..તમામ ગુનાઓમાં નંબર 1 છે, એટલું જ નહીં જેલ જવામાં પણ પહેલો નંબર આવે છે. 

    બદરુદ્દીન 20 ઓક્ટોબરે આસામના ગોલપારા જિલ્લાની એક કોલેજની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે સંબોધનમાં આ વાત કહી હતી. જેમાં તેમણે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના અભાવની વાત કહીને વધતા ગુનાઓ અંગે વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું હતું, “ચોરી, લૂંટ, રેપ… આપણે બધામાં નંબર 1 છીએ. આપણે જેલ જવામાં પણ નંબર 1 છીએ. આપણાં બાળકો પાસે સ્કૂલ-કોલેજ જવાનો સમય નથી, પણ જુગાર રમવાનો અને બીજાને છેતરવાનો સમય છે. પોતાને સવાલ કરો કે આ બધામાં કોણ સામેલ છે? મુસ્લિમો. આ દુઃખની વાત છે. 

    તેમણે આગળ કહ્યું કે, “લોકો ચાંદ અને સૂરજ પર જઈ રહ્યા છીએ અને આપણે અહીં પીએચડી કરી રહ્યા છીએ કે જેલમાં કઈ રીતે જવાય! તમે કોઇ પણ પોલીસ મથકે જાઓ તો જાણવા મળશે કે ત્યાં સૌથી વધુ કોણ છે- અબ્દુર રહેમાન, અબ્દુર રહીમ, અબ્દુલ મજીદ, બદરુદ્દીન, સિરાજુદ્દીન, ફખરૂદ્દીન…. શું આ દુઃખદ બાબત નથી? આમ કહીને તેમાં મુસ્લિમ યુવાનોમાં શિક્ષણ અને રોજગારીના મહત્વ વિશે પણ વાત કરી. 

    - Advertisement -

    તેમના આ નિવેદનનો મુસ્લિમ સમુદાયમાંથી વિરોધ પણ ખૂબ થયો પરંતુ બદરુદ્દીન અજમલ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. ઇન્ડિયા ટૂડે સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, પોતે કશું જ ખોટું કહ્યું નથી અને શિક્ષણના અભાવના કારણે સમુદાયમાં ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. 

    સરકાર પર દોષ નાખવામાં આવે છે, પણ આપણે જ સુધરવાની જરૂર: બદરુદ્દીન 

    તેમણે કહ્યું, “મેં દુનિયાભરમાં મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનો અભાવ જોયો છે. મેં દુઃખ વ્યક્ત કર્યું હતું કે આપણાં બાળકો અભ્યાસ કરતાં નથી, ઉચ્ચ શિક્ષણ માટે જતાં નથી અને અમુક તો મેટ્રિક પણ પાસ કરી શકતાં નથી. યુવાનોમાં શિક્ષણનું મહત્વ સમજાવવા માટે મેં આવું કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, મુસ્લિમ સમુદાયનો વિકાસ ન થવા પાછળ ઓછો સાક્ષર દર એક મોટું પરિબળ છે અને કાયમ તેનો દોષ સરકાર પર નાખી દેવામાં આવે છે. 

    તેમણે કહ્યું, “ઓછી સાક્ષરતા એક મોટી સમસ્યા છે. તેઓ શિક્ષિત હોતા નથી. શિક્ષણના કિસ્સામાં આપણે સરકારને દોષી ઠેરવ્યા કરીએ છીએ, પણ તેઓ લઘુમતી વિસ્તારોમાંથી ડોક્ટરો અને એન્જિનિયરો શોધે તો આપણે આપી શકતા નથી. આપણે સાક્ષરતા દર વધારવા માટે પ્રયાસો કરવા જોઈએ. યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે તેનાથી બીજો કોઇ રસ્તો નથી. આ બધાં દૂષણો ઓછા શિક્ષણના કારણે જ છે.”

    બદરુદ્દીન અજમલ આસામના નેતા છે. તેમની પાર્ટી AIUDF આસામ વિધાનસભામાં 15 બેઠકો ધરાવે છે. ખાસ કરીને બંગાળીભાષી મુસ્લિમો પર તેમની પાર્ટીની સારી પકડ હોવાનું કહેવામાં આવે છે. અજમલ અવારનવાર પોતાનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં