Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતસવારે સરકારને આપી 'વાઇબ્રન્ટ સમિટ' મોકૂફ રાખવાની સલાહ, સાંજે જાહેર કરી પોતાની...

    સવારે સરકારને આપી ‘વાઇબ્રન્ટ સમિટ’ મોકૂફ રાખવાની સલાહ, સાંજે જાહેર કરી પોતાની જ ‘વિશાળ જનસભા’: એક જ દિવસમાં AAPના ચાવવાના અને દેખાડવાના દાંત આવ્યા સામે

    આમ ગુજરાતની જનતા હાલ તો AAP અને AAP નેતાઓને તકસાધુ, ભ્રમ ફેલાવનારા અને ગુજરાતવિરોધી ગણાવી રહી છે. પાછલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ તે જ દિશામાં નિર્દેશ કરી રહ્યું છે. સાથે જ આ પાર્ટી અને તેના નેતાઓ દ્વારા છાશવારે થતા આવા કાર્યો અને નિવેદનો જનતાની માન્યતાને દ્રઢ કરી રહ્યા છે.

    - Advertisement -

    દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ગુજરાતમાં પોતાની કિસ્મત અજમાવવા આવેલ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં તો કાંઈ ખાસ કમાલ નથી બતાવી શકી. આંગળીના વેઢે ગણાય એટલા 5 ધારાસભ્યોમાંથી એકે રાજીનામું આપી દીધું છે અને બીજા 1 મહિનો પોલીસ પકડથી ફરાર રહ્યા બાદ હવે જેલમાં બંધ છે. તેવામાં AAPના જ એક ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કોવિડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવા પત્ર લખ્યો છે. પરંતુ બીજી બાજુ પોતાના જેલબંધ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ જ AAP આગામી 7 તારીખ નેત્રંગ ખાતે પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીઓને બોલાવીને ‘વિશાળ જનસભા’નું આયોજન કરવા જઈ રહી છે.

    1લી જાન્યુઆરીએ આપી સરકારને વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની સલાહ

    મૂળ વાત એમ છે કે 1લી જાન્યુઆરી 2024ના રોજ સવારના 10:42 વાગે આમ આદમી પાર્ટી ગુજરાતના ઓફિશિયલ X હૅન્ડલ પરથી એક પોસ્ટ મૂકી જેમાં લખ્યું હતું કે, “કોરોનાના નવા વેરિયન્ટના વધી રહેલા કેસના ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવા મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર.”

    પોસ્ટમાં મુકેલ ફોટામાં બોટાદના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાના સહી સિક્કાવાળો પત્ર પણ જોડવામાં આવ્યો હતો. આમ AAPએ પોતાને ગુજરાતના નાગરિકોના હિતેચ્છી ગણાવીને જાણે તેમની ચિંતા થઈ રહી હોય તેમ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 મોકૂફ રાખવાની સુફિયાણી સલાહ આપી હતી, એ પણ લેખિતમાં. સાથે જ આ પત્રનો ભરપૂર પ્રચાર પ્રસાર કાર્યો.

    - Advertisement -

    5 જ કલાકમાં કરી પોતાની ‘વિશાળ જનસભા’ની ઘોષણા

    ગુજરાત સરકારને સલાહ આપવાના માત્ર 5 જ કલાકમાં એટલે કે 1લી જાન્યુઆરી 2024ના રોજ સાંજના 5:18 મિનિટે આમ આદમી પાર્ટી ગુજરાતના આ જ ઓફિશિયલ X હેન્ડલ પરથી એક પોસ્ટ મૂકવામાં આવી જેને લઈને હાલ AAP ખુબ ટ્રોલ થઈ રહી છે.

    આ પોસ્ટમાં જાહેરાત કરવામાં આવી કે, “‘આપ’ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરીના રોજ ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે જનસભા સંબોધશે.”

    એટલે કે જે આમ આદમી પાર્ટી સવારે ગુજરાત સરકારને કોરોનાની દુહાઈ આપીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવા સલાહ આપી રહી હતી, તે જ સાંજ પડતા પોતાના એક જેલબંધ નેતાના સમર્થનમાં બે રાજ્યોના CMને બોલાવીને વિશાળ જનસભા યોજવા તૈયાર થઈ ગઈ!

    આમ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ જે રીતે બે મોઢે વાત કરતા આવે છે, તેને લઈને હાલ સોશિયલ મીડિયામાં તેમની ફજેતી થઈ રહી છે. નેટીઝન્સ કહી કહી રહ્યા છે કે AAPને ગુજરાત કે ગુજરાતીઓની કોઇ ચિંતા નથી માત્ર ભ્રમ ફેલાવવામાં રસ છે. તાજા કિસ્સા મુજબ તે સાચું પણ પડતું જોવા મળી રહ્યું છે.

    એક X યુઝર @just_hu_ એ આને AAPની દોગલાઈ ગણવી હતી. અન્ય એક યુઝર @Hery16243644 એ આપને ગુજરાતવિરોધી ગણાવતા લખ્યું હતું, “સીધે સીધું બોલો ને ગુજરાત ની પ્રગતી ના થવી જોઈએ….એટલે વાઇબ્રન્ટ બંધ રાખો….!! આવા ટોટકા કર્યા વગર ધંધે લાગી જાવ….!!! ગુજરાત ની પ્રજાએ તમારા જેવા છછુંદરો ને બદલે એમને ચૂંટ્યા છે કઈક સમજી વિચારીને જ ચૂંટ્યા હશે…! હવન માં હાડકા નાખવાનું સતયુગ થી ચાલતું આવે છે…તમે એ જ કરો છો.”

    આમ ગુજરાતની જનતા હાલ તો AAP અને AAP નેતાઓને તકસાધુ, ભ્રમ ફેલાવનારા અને ગુજરાતવિરોધી ગણાવી રહી છે. પાછલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ તે જ દિશામાં નિર્દેશ કરી રહ્યું છે. સાથે જ આ પાર્ટી અને તેના નેતાઓ દ્વારા છાશવારે થતા આવા કાર્યો અને નિવેદનો જનતાની માન્યતાને દ્રઢ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં