આજે જેઓ 25-30 વર્ષની ઉંમરના કે એથી ઓછી આયુના યુવાનો અને કિશોરો છે એમને કલ્પના પણ નહીં હોય કે 1990ના દાયકા પહેલાં કોઈ પણ વિષય પર માહિતી જોઈતી હોય તો કેટલે વીસે સો થતા.
ઈન્ટરનેટનો એ જમાનો નહોતો. યાહુ કે ગુગલ જેવાં સર્ચ એન્જિનોનો એ જમાનો ન હતો. વિકિપીડિયા કે પછી ક્વોરા વગેરે કે ચેટજીપીટી જેવી એઆઈની સગવડ પણ નહોતી.
તો આજથી 30-35 વર્ષ પહેલાંના લોકો શું કરતા? રાજેશ ખન્નાની ‘આરાધના’ ફિલ્મ કઈ સાલમાં રિલીઝ થઈ? આજે ડૉલરનો, સોનાનો, ચાંદીનો ભાવ શું છે? કપિલ દેવે ભારત માટે વર્લ્ડ કપ જીત્યો ત્યારે એણે પોતે કેટલા રન બનાવ્યા હતા? આફ્રિકાના ઘાના દેશની રાજધાની કઈ? શરદી થઈ હોય ત્યારે દહીં ખવાય કે નહીં?
આ કે આવા હજારો-લાખો સવાલોના જવાબ આજની તારીખે તમને ચપટી વગાડતાં મળી જાય. ‘અમારા જમાનામાં’ એવું નહોતું. કેટલાક સવાલોના જવાબ એન્સાઇકલોપીડિયા બ્રિટનિકમાંથી જડી જાય, બધા નહીં. 31 દળદાર ગ્રંથોવાળો આવો એન્સાઇક્લોપીડિયા કાંતિ ભટ્ટ કે નાગેન્દ્ર વિજય જેવા નિષ્ઠાવાન પત્રકારો પાસે રહેતો જેઓ પોતાના અને પોતાના કુટુંબના મોજશોખ પાછળ ખર્ચા કરવાને બદલે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વસાવવા પાછળ હજારો રૂપિયા ખર્ચી કાઢતા. સામાન્ય પ્રજાએ કોઈ સારી લાઇબ્રેરીમાં જઈને બ્રિટાનિકા રિફર કરવો પડતો. પણ એમાંથી કઈ ‘આરાધના’ની રિલીઝ ડેટ ન મળે. તો શું કરવું?
કાનપુરમાં રહેતા હરમંદિરસિંહ ‘હમરાઝે’ હિન્દી ફિલ્મોની વિગતો મેળવવા પોતાનું જીવન અને જીવનની તમામ બચત ખર્ચીને પાંચ વૉલ્યુમ્સ પ્રગટ કરેલાં. એમાં 1961થી 1970નું વૉલ્યુમ લેવાનું અને ‘આરાધના’ની એન્ટ્રી શોધવાની. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકથી માંડીને ગીતકાર-સંગીતકાર, હીરો-હીરોઈન અને અન્ય અભિનેતા-અભિનેત્રીઓ તેમજ ફિલ્મના દરેક ગીતની પ્રથમ પંક્તિ, રેકોર્ડનો નંબર, ફિલ્મને ક્યારે સેન્સરનું સર્ટિફિકેટ મળ્યું ઇત્યાદિ તમામ વિગતો આપવામાં આવતી. આ ગ્રંથો હાથવગા ન હોય તો તમારે સ્વ. રજનીકુમાર પંડ્યા કે સ્વ. સલિલ દલાલ જેવી હિન્દી ફિલ્મો પરની ઑથોરિટીઝને પોસ્ટકાર્ડ લખીને પૂછાવવું પડતું.
સોના-ચાંદી-ડૉલરના ભાવ જાણવા માટે આજનું છાપું જોવું પડતું. ક્રિકેટની વિગતો જાણવા ‘વિઝડન’ના ગ્રંથો ઉથલાવવા પડતા કે પછી કોઈ અઠંગ ક્રિકેટરસિયાને પૂછવું પડતું. ઘાનાની રાજધાની વિશે જાણવા માટે વર્લ્ડ એટલાસ રિફર કરવો પડતો અને શરદીમાં દહીં ખવાય કે નહીં તે વિશે જાણવા કુટુંબના કોઈ અનુભવી વડીલનો આશરો લેવો પડતો.
કોઈપણ માહિતી સરળતાથી ઉપલબ્ધ નહોતી થતી એ જમાનામાં. આજે ઘડીના છઠ્ઠા ભાગમા આવી માહિતી જ નહીં, મિસાઈલ કે રૉકેટ કેવી રીતે ઉડે છે તે વિશેની અટપટી જાણકારી પણ તમે મેળવી શકો છો. સારી વાત શું હતી એ જમાનામાં કે જે કંઈ માહિતી તમને પ્રાપ્ત થતી તે વિશ્વસનીય રહેતી. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનાં ધારાધોરણો ખૂબ ઊંચાં રહેતાં. ડઝનબંધ નિષ્ણાતોની સંપાદકીય ટીમ જે જે વિષયના જાણીતા એક્સપર્ટ્સને શોધીને એન્ટ્રીઓ લખાવતી. પછી એ દરેક એન્ટ્રી એટલે કે લેખ કે લઘુલેખ ચકાસવામાં આવે. શંકા જાય તો એક્સપર્ટ્સ સાથે પત્રવ્યવહાર કરીને એનું સંતોષજનક નિરાકરણ લાવવામાં આવે. સિક્ખ વિશેની એન્ટ્રી ખુશવંત સિંહ પાસે લખાવવામાં આવેલી. દરેક લખનારને ઊંચો પુરસ્કાર ચૂકવવામાં આવે.
વિકિપીડિયા રિફર કરવા માટે તમારે એક પૈસાનો ખર્ચ નથી કરવો પડતો. કારણ કે એને લખનારાઓને એક પૈસે ચૂકવાતો નથી. પણ વિકિપીડિયા જેવાં પ્લેટફોર્મ્સ તમને મફતમાં સેવા નથી આપતાં. તેઓ તમારી પાસેથી તમારું ધન નહીં પણ તમારું મન લઈ લે છે. તમારા મન પર કબજો જમાવી લે છે. વિકિપીડિયાનો એક ચોક્કસ એજન્ડા છે. આ એજન્ડા મુજબ તેઓ તમારા દિમાગમાં માહિતીઓનો ખડકલો કરીને કાં તો તમને મૂંઝવી દે છે, કાં પછી તમને પણ પોતાના જેવા જ બનાવી દે છે– લેફ્ટિસ્ટ, વૉક, લિબરલ, જે ગણો તે.
વિકિપીડિયાને કારણે કોઈપણ માહિતી મેળવવી સહેલી બની ગઈ છે એવા ભ્રમમાં આપણે રાચીએ છીએ એનું કારણ છે. ‘આરાધના’ અને રાજેશ ખન્ના વિશેની સચોટ માહિતી આપનારું વિકિપીડિયા તમને પોતાના ડાબેરી એજન્ડાને લગતી માહિતી આપશે ત્યારે તમે ચકરાવે ચડી જશો. અદાલતોએ, સુપ્રીમ કોર્ટે પણ, વારંવાર ક્લીન ચિટ આપી હોવા છતાં 2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછીનાં રમખાણો માટે ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ જવાબદાર હતા એવી છાપ વિકિપીડિયાની વિવિધ એન્ટ્રીઓ વાંચીને તમારા મનમાં ઊભી થશે.
આવા તો એક નહીં, સેંકડો-હજારો દાખલાઓ છે. વિકિપીડિયાનાં આવાં પાપ ગણાવવા બેસીએ તો એક પુસ્તક નહીં, આખી ગ્રંથશ્રેણી લખવી પડે. છેલ્લા અઢી દાયકામાં વિકિપીડિયાની લોકપ્રિયતા ખૂબ વધી. વિકિપીડિયાને ટાંકીને બીજા લોકો પોતાના એજન્ડા આગળ વધારવા લાગ્યા. એક આખી બદમાશીભરી ઈકોસિસ્ટમનું કેન્દ્ર વિકિપીડિયા બની ગયું.
એક તાજો દાખલો ટાંકું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એમના વિશે વધુ અભ્યાસ કરવા મેં એમના સમગ્ર પત્રવ્યવહારના દસ ગ્રંથોનો સંપૂર્ણ સેટ મગાવ્યો. આ દસ પુસ્તકો એક જમાનાના ખૂબ જાણીતા પત્રકાર દુર્ગાદાસે એડિટ કર્યાં છે. તેઓ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના ચીફ એડિટરની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સરદાર પટેલના કામ પ્રત્યેના માન અને આદરને ખાતર દુર્ગા દાસે દિવસરાત એક કરીને જબરી મહેનત પછી ભારે ચોકસાઈ રાખીને પત્રવ્યવહારનું સંપાદન કર્યું છે. આ પત્રવ્યવહારમાં તમને ખ્યાલ આવે કે સરદાર કેટલા મહાન હતા અને એની સામે જવાહરલાલ નેહરુ કેટલા સંકુચિત મનના હતા. કાશ્મીર વિશેના પત્રોમાં તો ખાસ આ વાત ઉડીને આંખે વળગે.
દુર્ગા દાસે લખેલું ‘ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર’ પુસ્તક ખૂબ વખણાયેલું પુસ્તક છે અને આઝાદી સમયના ઇતિહાસનો એક ઘણો અગત્યનો રેફરન્સ ગ્રંથ ગણાય છે. એમાં નેહરુની કેટલીક નીતિઓમાં રહેલી ખામીઓ ચીંધવામાં આવી છે અને સરદારની દીર્ઘદ્રષ્ટિઓના દાખલાઓ આપવામાં આવ્યા છે. જે વાત ડાબેરીઓને ખૂંચે તે સ્વાભાવિક છે. વિકિપીડિયામાં તમે દુર્ગા દાસ વિશેની એન્ટ્રી જોશો તો એમાં દુર્ગા દાસની પત્રકાર કે લેખક તરીકેની વિશ્વસનીયતાને કોઈ મોંમાથા વિના એક ઝાટકે જમીનદોસ્ત કરી નાખી છે. વિકિપીડિયા લખે છે: ‘બુક ‘ઇન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ એન્ડ આફ્ટર’ પુસ્તકને ‘રિપોર્ટરે લખેલી નવલકથા’ તરીકે ઓળખવામાં આવે છે તેમજ આ પુસ્તક ‘ગૉસિપ પર આધાર રાખે છે, ઇતિહાસ પર નહીં’ એવું પણ કહેવાય છે.’
દુર્ગા દાસ જેવા મોટા ગજાના પત્રકાર જાણે કોઈ સડકછાપ ગપ્પીદાસ હોય એવું વિકિપીડિયાએ કયા આધારે લખ્યું? વિકિપીડિયાએ 16 નંબરની પાદટીપમાં વીરેન્દ્ર ગ્રોવરના પુસ્તક ‘પોલિટિકલ થિન્કર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા: જવાહરલાલ નહેરુ’નો રેફરન્સ આપ્યો છે. 1996માં છપાયેલા આ પુસ્તકમાં કયા પાને દુર્ગાદાસના પુસ્તકને બદનામ કરનારાં વિશ્લેષણ વપરાયાં છે તે વિશે આ ફૂટનોટ ચૂપ છે.
માની લઈએ કે આવું ખરેખર ક્યાંક કોઈએ લખ્યું છે. તો શું એ દુર્ગા દાસ વિશેનું અંતિમ સર્ટિફિકેટ થઈ ગયું? કાલે ઉઠીને કોઈ વીરેન્દ્ર ગ્રોવર વિશે કે એમના પુસ્તક ‘પોલિટિકલ થિન્કર્સ…’ વિશે એલફેલ લખી નાખે તો વિકિપીડિયા એ લખાણના આધારે વીરેન્દ્ર ગ્રોવરની વિશ્વસનીયતાને બે બદામની કરી નાખનારું વાક્ય ઉમેરશે?
ના. નહીં ઉમેરે. વિકિપીડિયામાં એન્ટ્રીઓ લખનારાઓની એક વિશાળ ગેન્ગ છે. ડાબેરીઓને નહીં ભાવતી માહિતીઓ જો કોઈ તટસ્થ-સ્વસ્થ-રાષ્ટ્રપ્રેમી માણસ ઉમેરવા માગશે તો તેને જાતજાતના નિયમોમાં ઉલઝાવીને ચૂપ કરી દેવામાં આવશે.
મોટી મુસીબત એ છે કે વિકિપીડિયા અને એના જેવાં ડાબેરી માધ્યમોને નિર્દોષ, ભોળા વાચકો અંતિમ સત્ય પીરસનારાં સ્ત્રોત તરીકે માન્યતા આપવા લાગ્યા છે. તમે કોઈક સાચી વાત કરો તો તમારી વિશ્વસનીયતાને પડકાર આપવામાં આવે– ‘પણ વિકિપીડિયામાં તો આવું લખ્યું છે!’ તમે મૂળ પુસ્તક ટાંકો, બીજા સંદર્ભો આપો તો પણ અમુક લોકો માટે વિકિપીડિયાએ કહ્યું એટલે ખલ્લાસ.
વિકિપીડિયાની બદમાશીઓમાં ફેસબુક અને ગુગલની અલ્ગોરિધમ ઉમેરાય છે ત્યારે વાંદરાને દારુ પીવડાવીને નિસરણી આપવા જેવો ઘાટ ઘડાય છે. આ બધા લોકો તમારા ખભા પરના બકરાને કૂતરું ગણીને તમારી પાસેથી પોતાનું ધાર્યુ કરાવીને જ જંપશે.
તમારી સગવડ વધારનારાં સાધનો વાપરતાં ન આવડે તો તમને જ નુકસાન થઈ જાય. ચાકુથી તમે બટાટા સુધારી શકો અને કોઈનું ખૂન પણ કરી શકો. માહિતી આપતાં વિવિધ પ્લેફોટમ્સ તરફથી વિનામૂલ્યે તમારી સગવડ સચવાય છે એવું તમે માની બેઠા છો. હકીકતમાં નો લંચ ઇઝ ફ્રી લંચ. આ સૌ કોઈ પોતાનો એજન્ડા તમારા માથા પર થોપીને તમારી વિચારધારા પર પોતાની વિચારસરણીનો ખડકલો કરવા માગે છે. તમને તમારી સંસ્કૃતિથી, તમારી પરંપરાથી, તમારી આસ્થાથી, તમારા રાજકીય ઝુકાવથી અળગા રહીને પોતાના એજન્ડા મુજબ વિચારતા કરી દેવા માટે તેઓ આ બધી પેંતરાબાજી કરતા હોય છે.
ઇલન મસ્ક ડાબેરીઓનો ઘોરવિરોધી છે. વિકિપીડિયાની બદમાશીઓનો સામનો કરવા એણે ગ્રોકિપીડિયા શરૂ કર્યું છે. શરૂઆતના રિપોર્ટ કહે છે કે વિકિપીડિયાની જેમ આ ડાબેરી નથી, પૂર્વગ્રહોથી મુક્ત છે. વેલ, નીવડ્યે વખાણ એ તો.
એ. આઈ.ના જમાનામાં અનેક વાતો સહેલી થઈ જવાની, કેટલીક બાબતોમાં ક્રાંતિ સર્જાવાની. પણ ન્યુઝ અને માહિતીના ક્ષેત્રે એ.આઈ.નો દુરુપયોગ ભલભલાને ઊંધા રવાડે ચડાવી દેશે. એની શરૂઆત થઈ ચૂકી છે અને ખુદ વડા પ્રધાને એની સામે લાલ બત્તી ધરી છે. ઇલન મસ્ક વિકિપીડિયાને ચપટીમાં મસળી તો દેશે પણ ભય એ છે ક્યાંક બકરું કાઢતાં ઊંટ પેસી ન જાય.
કયા ન્યુઝ તમારા સુધી પહોંચે છે અને કયા સ્વરૂપે પહોંચે છે, કઈ તરફના ઝુકાવ સાથે પહોંચે છે એ નક્કી કરવાની એક મોટી ઇન્ડસ્ટ્રી તૈયાર થઈ ગઈ છે. આ ઇન્ડસ્ટ્રીના માલિકો પાસે અબજો રૂપિયાનું ફંડિંગ છે કારણ કે આ કામમાંથી છેવટે એમને તોતિંગ ફાયદો થવાનો છે. મોટા મોટા દેશોની સરકારો એમની મુઠ્ઠીમાં આવી જાય એવા હેતુથી તેઓએ આ ઇન્ડસ્ટ્રી શરૂ કરી છે. તમે માત્ર એમના હાથની કઠપૂતળી બની જવાના છો. તેઓ તમને જે વિચારો કરવાનું કહેશે તે તરફ તમે જાણ્યે-અજાણ્યે ધકેલાઈ જવાના. તમારે જો એમની ચાલમાં ઘસડાઈ ન જવું હોય તો તમારી પાસે માત્ર એક જ ઉપાય છે– તમારા પોતાના પર વિશ્વાસ રાખો, તમારા ખભા પરના બકરાને કૂતરું ગણાવતા લોકોથી ડિસ્ટન્સ રાખો અને તમારી કોઠાસૂઝને માન આપીને તમારા નીરક્ષીર વિવેકને વધુ ને વધુ શાર્પ કર્યા કરો.
આ બધું કેવી રીતે થઈ શકે? સમાચારોની બાબતમાં અને સમાચારોની આંટીઘૂંટી કે ન્યુઝ અને એનાલિસિસની બાબતમાં જેઓ મીઠું મીઠું બોલીને તમને આડે રવાડે ચડાવે છે એમનાથી સાવધ રહીને. ડિજિટલ મીડિયામાં અને પ્રિન્ટ તેમજ ટીવી મીડિયામાં પણ આવા દિલ્લીના ઠગ અનેક છે. વિકિપીડિયા આ ટોળકીમાં એક છે, પણ તે એકમાત્ર નથી. વખત આવ્યે એ આખી ઠગટોળકીને, ગુજરાતી સહિત અંગ્રેજી અને હિન્દીમાં પગપેસારો કરી ચૂકેલી આ ઠગટોળકીને નામ દઈને ઉઘાડી પાડવાનું મુહૂર્ત આવશે ત્યારની વાત ત્યારે. અત્યારે તો આવતા શુક્રવારની રાહ જોઈએ. રાહુલ ગાંધીની ‘વોટ ચોરી’ની ડ્રામાબાજી ભાજપ-એનડીએને કેટલી નડે છે કે કેટલી ફળે છે એ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી 14 નવેમ્બરે થઈ ગયું હશે.
લાસ્ટ બૉલ
ટોપીમાંથી ઘણાં બધાં સસલાં કાઢવાનો સમય હવે આવી ગયો છે– ઇલન મસ્ક


