હોમપેજમિડિયાRBIએ 12 બિલિયન ડૉલરનું સોનું વેચ્યું હોવાનો દાવો કરનાર બ્લૂમબર્ગને કેમ કરવી...

RBIએ 12 બિલિયન ડૉલરનું સોનું વેચ્યું હોવાનો દાવો કરનાર બ્લૂમબર્ગને કેમ કરવી પડી પીછેહઠ? જાણો ખોટા પ્રાઇસિંગ ડેટાથી કેવી રીતે ફેલાવાયું જુઠ્ઠાણું

આ સમગ્ર વિવાદમાંથી મળતો સૌથી મોટો પાઠ ભારતના સોનાના ભંડાર વિશે નથી. તે એ વિશે છે કે કેવી રીતે એક મૂલ્યાંકન સંબંધિત ધારણા, જ્યારે તેને હકીકત તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે થોડા સમય માટે એવો નેરેટિવ ઊભો કરી શકે છે જેને મૂળભૂત આંકડાઓનો જ આધાર ન હોય.

- Advertisement -

2 જૂનના રોજ અમેરિકન સમાચાર સંસ્થા બ્લૂમબર્ગે દાવો કર્યો હતો કે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) 22 મે સુધીના બે અઠવાડિયામાં પોતાના સોનાના ભંડારમાંથી અંદાજે 12 બિલિયન ડૉલર મૂલ્યનું સોનું વેચ્યું હોય શકે છે. આ દાવો ખરેખર ચોંકાવનારો હતો. આ દાવાની ગંભીરતા કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 1991 પછી પહેલી વાર એવી ચર્ચા ઊભી થઈ હતી કે ભારતે કદાચ પોતાના સોનાના ભંડારનો ઉપયોગ કર્યો હોય. નોંધનીય છે કે 1991માં ભારતે આર્થિક કટોકટી દરમિયાન લગભગ 67 ટન સોનું ગીરવે મૂકીને તાત્કાલિક નાણાં એકત્ર કર્યાં હતાં અને સોવરિન ડિફોલ્ટ ટાળ્યો હતો.

બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે RBI એક તરફ પોતાના સોનાના ભંડારમાં ઘટાડો કરી રહી છે અને બીજી તરફ વિદેશી હૂંડિયામણમાં (Foreign Currency Assets) વધારો કરી રહી છે. અહેવાલમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવના પ્રભાવથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે કદાચ RBIએ આ પગલું ભર્યું હશે.

આવા દાવાઓ સામે આવ્યા પછી વિપક્ષી પક્ષો અને ડાબેરી વિચારધારાની ટોળકીઓની પ્રતિક્રિયા આપશે તે સ્વાભાવિક હતું. અહેવાલને એવી રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે જાણે ભારત કોઈ આર્થિક કટોકટી અથવા ગંભીર અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું હોય. ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા, રૂપિયો દબાણમાં હતો અને ઉભરતાં અર્થતંત્રોમાંથી મૂડી બહાર નીકળી જવાની ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી હતી.

- Advertisement -

આવા સંજોગોમાં ભારતની કેન્દ્રીય બેન્કે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે પોતાના સોનાના ભંડારનો ઉપયોગ કર્યો હોવાનો દાવો ઘણા લોકોને વિશ્વસનીય લાગ્યો. ભારતીય મીડિયાના કેટલાક વર્ગોએ પણ આ અહેવાલને આગળ ધપાવ્યો અને સોશિયલ મીડિયા પર તેને વ્યાપક રીતે શેર કરવામાં આવ્યો. તેને એવા પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો કે RBIએ દેશની આર્થિક સ્થિતિમાં દબાણને પહોંચી વળવા માટે અસાધારણ પગલું ભર્યું છે.

જોકે, એક જ દિવસમાં RBI અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) બંનેએ આ દાવાને નકારી કાઢ્યો હતો. RBIએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની પાસે રહેલો ભૌતિક સોનાનો જથ્થો 880.52 મેટ્રિક ટન જ છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્રીય બેન્કે સોનું વેચાયું હોવાના તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. ત્યારબાદ બ્લૂમબર્ગે પોતાનો મૂળ અહેવાલ પાછો ખેંચી લીધો અને સ્વીકાર્યું કે તેના વિશ્લેષણમાં ખોટી મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ચાલો હવે સમજીએ કે બ્લૂમબર્ગે કયા દાવા કર્યા હતા અને અંતે તેને પોતાનો અહેવાલ પાછો કેમ ખેંચવો પડ્યો.

આ દાવો મહત્વનો કેમ હતો?

પહેલી નજરે RBIના સોનાના ભંડાર વિશેનો અહેવાલ માત્ર અર્થશાસ્ત્રીઓ માટે રસપ્રદ હોય એવો ટેક્નિકલ મુદ્દો લાગે, પરંતુ વાસ્તવિકતા ઘણી વધુ ગંભીર છે.

ભારતની નાણાકીય સુરક્ષામાં સોનાની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિદેશી ચલણ, સરકારી સિક્યોરિટીઝ અને અન્ય સંપત્તિઓની સાથે સોનું પણ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારનો એક મહત્વનો હિસ્સો છે. આ ભંડાર આર્થિક અનિશ્ચિતતા દરમિયાન ભારત માટે એક નાણાકીય કવચ તરીકે કામ કરે છે. તે દેશને બાહ્ય આર્થિક આંચકાઓ સામે ટકી રહેવામાં અને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.

એપ્રિલ 2026 સુધી RBI પાસે 880.52 મેટ્રિક ટન સોનું હતું, જે ભારતને વિશ્વના સૌથી મોટા સત્તાવાર સોનાધારક દેશોમાં સ્થાન અપાવે છે. આ કારણસર જો એવી કોઈ માહિતી સામે આવે કે કેન્દ્રીય બેન્કે પોતાના સોનાના ભંડારમાં ઘટાડો કર્યો છે તો તે સ્વાભાવિક રીતે જ લોકોનું ધ્યાન ખેંચે છે.

બ્લૂમબર્ગનો અહેવાલ પણ એવા સમયે સામે આવ્યો હતો જ્યારે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધી રહ્યો હતો, ઓઇલના ભાવમાં વધારો થવાની ચિંતા હતી અને વૈશ્વિક નાણાકીય બજારોમાં અસ્થિરતાનો ભય હતો. પરિણામે આ અહેવાલને ડાબેરી મીડિયા પ્લેટફોર્મોએ ઝડપથી ઉઠાવી લીધો અને સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રસારિત કર્યો.

ઘણા લોકો માટે આ અહેવાલ એવો સંદેશ આપતો હતો કે ભારતની આર્થિક સ્થિતિ પર એટલું દબાણ છે કે RBIને અસાધારણ પગલાં લેવા પડ્યા છે. પરંતુ પાછળથી જે હકીકતો સામે આવી, તે દર્શાવતી હતી કે સમગ્ર વિવાદ એ બાબત વિશે નહોતો કે ભારતે સોનું વેચ્યું કે નહીં. વિવાદ એ બાબત વિશે હતો કે સોનાના ભંડારના મૂલ્યમાં આવેલા ફેરફારને ભૂલથી સોનાની માત્રામાં આવેલા ફેરફાર તરીકે સમજવામાં આવ્યો હતો.

સોનાની માત્રા અને સોનાના મૂલ્ય એક જ વસ્તુ નથી

બ્લૂમબર્ગના અહેવાલનું વિશ્લેષણ કરતા પહેલાં એક મૂળભૂત બાબત સમજવી જરૂરી છે, જે ઘણા અહેવાલોમાં અવગણાઈ હતી. કેન્દ્રીય બેન્ક પાસે રહેલા સોનાનો જથ્થો અને તે સોનાનું બજાર મૂલ્ય એક જ વસ્તુ નથી.

સોનાનો જથ્થો એટલે કેન્દ્રીય બેન્ક પાસે ભૌતિક સ્વરૂપે કેટલું સોનું છે. જ્યારે સોનાના ભંડારનું મૂલ્ય એટલે વર્તમાન બજાર ભાવ પ્રમાણે તે સોનાની કિંમત કેટલી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી સોનું ખરીદવામાં કે વેચવામાં ન આવે ત્યાં સુધી સોનાની માત્રા બદલાતી નથી, પરંતુ બજાર ભાવ બદલાતા તેની કિંમત સતત બદલાતી રહે છે.

આ સંબંધ ખૂબ સરળ છે: સોનાના ભંડારનું મૂલ્ય = સોનાની માત્રા × બજાર ભાવ. એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ કેન્દ્રીય બેન્ક પાસે 100 ટન સોનું છે. જો પ્રતિ ટન સોનાની કિંમત 100 મિલિયન ડૉલર હોય તો કુલ ભંડારનું મૂલ્ય 10 બિલિયન ડૉલર થશે. હવે જો બજારમાં સોનાનો ભાવ ઘટીને પ્રતિ ટન 90 મિલિયન ડૉલર થઈ જાય તો એ જ 100 ટન સોનાનું મૂલ્ય 9 બિલિયન ડૉલર રહેશે.

અહીં ભંડારનું મૂલ્ય 1 બિલિયન ડોલર ઘટી ગયું છે, પરંતુ કેન્દ્રીય બેન્ક પાસે હજુ પણ 100 ટન સોનું જ છે. કોઈ સોનું વેચવામાં આવ્યું નથી. આ તફાવત સમજવો અત્યંત જરૂરી છે, કારણ કે સોનાના ભંડારના મૂલ્યમાં ઘટાડો થયો હોય તેનો અર્થ એ નથી કે કેન્દ્રીય બેન્ક પાસે રહેલા સોનાના જથ્થામાં પણ ઘટાડો થયો છે. ઘણી વખત માત્ર મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતા સોનાના ભાવમાં ફેરફાર થવાને કારણે પણ આંકડાઓમાં તફાવત જોવા મળે છે.

કેન્દ્રીય બેન્કો પોતાના સોનાના ભંડારનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે?

આ વિવાદ ક્યાંથી શરૂ થયો તે સમજવા માટે એ જાણવું જરૂરી છે કે વિશ્વભરની કેન્દ્રીય બેન્કો પોતાના સોનાના ભંડારનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે.

કેન્દ્રીય બેન્કો પોતાના સોનાનું મૂલ્યાંકન સ્થાનિક બજારના ભાવ અથવા જ્વેલરીના રિટેલ ભાવના આધારે કરતી નથી. તેના બદલે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય એવા બેન્ચમાર્કનો ઉપયોગ કરે છે, જેથી સમગ્ર વિશ્વમાં એકસરખી અને પારદર્શક પદ્ધતિથી સોનાનું મૂલ્યાંકન થઈ શકે.

સોનાના વૈશ્વિક બજારમાં સૌથી મહત્વના બેન્ચમાર્ક પૈકીનો એક છે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા જાહેર કરવામાં આવતો ભાવ. કિંમતી ધાતુઓના ક્ષેત્રમાં LBMAને વિશ્વની અગ્રણી સંસ્થા માનવામાં આવે છે અને વિશ્વભરની કેન્દ્રીય બેન્કો, નાણાકીય સંસ્થાઓ, વેપારીઓ તથા સરકારો તેના ભાવનો સંદર્ભ લે છે.

RBI પણ પોતાના સોનાના ભંડારનું મૂલ્યાંકન કરવા માટે એક નિર્ધારિત પદ્ધતિ અનુસરે છે. તેની રિપોર્ટિંગ પ્રણાલી મુજબ સોનાના ભંડારનું મૂલ્ય સ્થાનિક બજારના રોજિંદા ભાવોના આધારે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય બેન્ચમાર્કના આધારે નક્કી કરવામાં આવે છે. આથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર અંગેના અહેવાલોમાં એકરૂપતા જળવાઈ રહે છે.

આ કારણસર ઘણી વખત એવું બને છે કે RBI પાસે રહેલા સોનાની માત્રા યથાવત રહે છતાં તેના ભંડારનું મૂલ્ય બદલાઈ જાય. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થતી વધઘટને કારણે આવા ફેરફારો સંપૂર્ણપણે સામાન્ય માનવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે RBIએ સોનું ખરીદ્યું કે વેચ્યું છે.

આ પદ્ધતિ સમજવી જરૂરી છે કારણ કે બ્લૂમબર્ગના અહેવાલની આસપાસ ઊભા થયેલા સમગ્ર વિવાદનું મૂળ કારણ પણ સોનાના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાયેલો બેન્ચમાર્ક જ હતો. બ્લૂમબર્ગે પોતે પાછળથી સ્વીકાર્યું હતું કે અલગ પ્રકારના ભાવનો ઉપયોગ કરતા ભારતના સોનાના ભંડાર વિશે અલગ નિષ્કર્ષ સામે આવ્યો હતો.

બ્લૂમબર્ગના વિશ્લેષણમાં ભૂલ ક્યાં થઈ?

હવે જ્યારે આપણે સમજી ગયા છીએ કે સોનાના ભંડારનું મૂલ્યાંકન સામાન્ય રીતે કેવી રીતે થાય છે, ત્યારે સમજવું સરળ બની જાય છે કે બ્લૂમબર્ગ ઇકોનોમિક્સ ક્યાં ભૂલ કરી બેઠું.

2 જૂન, 2026ના રોજ બ્લૂમબર્ગ ઇકોનોમિક્સે તેના અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાનું એક વિશ્લેષણ પ્રકાશિત કર્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 22 મે સુધીના અઠવાડિયામાં RBIએ કદાચ લગભગ 12 બિલિયન ડૉલર મૂલ્યનું સોનું વેચ્યું હોય શકે છે.

આ દાવો RBIના સોનાના ભંડારના જાહેર કરાયેલા મૂલ્ય અને બ્લૂમબર્ગના વિશ્લેષકો જે મૂલ્યની અપેક્ષા રાખતા હતા તેની વચ્ચેના તફાવતના આધારે કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે RBIએ આ અહેવાલનું ફેક્ટ-ચેક કર્યું, ત્યારે બ્લૂમબર્ગે સ્વીકાર્યું કે વિશ્લેષણ દરમિયાન સોનાના ભંડારનું મૂલ્યાંકન કરવા માટે ખોટો બેન્ચમાર્ક ઉપયોગમાં લેવાયો હતો.

મૂળ વિશ્લેષણ બ્લૂમબર્ગ ઇકોનોમિક્સ નામના સંશોધન પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે માત્ર બ્લૂમબર્ગ પ્રોફેશનલ સર્વિસના સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. તે જાહેર વેબસાઇટ પર ઉપલબ્ધ લેખ નહોતો, પરંતુ બ્લૂમબર્ગ ટર્મિનલ પર ઉપલબ્ધ વિશેષ નોંધ હતી. ત્યારબાદ બ્લૂમબર્ગ ન્યૂઝે તેનો ટૂંકો અંશ પ્રકાશિત કર્યો હતો.

પોતાના વિશ્લેષણમાં અભિષેક ગુપ્તાએ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારના વિવિધ ઘટકોમાં થયેલી વધઘટનો અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને RBIના સોનાના ભંડારના મૂલ્ય અને વિદેશી ચલણની સંપત્તિ વચ્ચેના ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

તેમણે નોંધ્યું હતું કે 22 મે, 2026 સુધીના બે અઠવાડિયામાં RBIના સોનાના ભંડારના મૂલ્યમાં અંદાજે 12 બિલિયન ડૉલરનો ઘટાડો દેખાઈ રહ્યો હતો, જ્યારે બીજી તરફ વિદેશી ચલણની સંપત્તિમાં આશરે 7.5 બિલિયન ડૉલરનો વધારો નોંધાયો હતો.

અર્થશાસ્ત્રીએ એવી દલીલ કરી હતી કે તાજેતરમાં સોનાની આયાત પર લાગતા શુલ્કમાં થયેલા ફેરફાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની સ્થિતિને જોતા RBIના સોનાના ભંડારનું મૂલ્ય વધવું જોઈએ હતું. તેથી જ્યારે જાહેર આંકડાઓમાં મૂલ્ય ઘટતું દેખાયું અને વિદેશી ચલણની સંપત્તિ વધી રહી હતી, ત્યારે તેમણે એવો નિષ્કર્ષ કાઢ્યો કે RBIએ કદાચ પોતાના ભૌતિક સોનાનો અમુક ભાગ વેચીને વધુ પ્રવાહી વિદેશી ચલણના ભંડારમાં રૂપાંતરિત કર્યો હશે.

તેમના મતે મૂડીના બહાર જવાના જોખમ, રૂપિયાની નબળાઈ, ઓઇલના વધતા ભાવ અને પશ્ચિમ એશિયાના તણાવ જેવા પરિબળો વચ્ચે RBIએ આવું પગલું લીધું હોય શકે. નોંધનીય છે કે બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં આને RBIના જાહેર ડેટાના આધારે કરવામાં આવેલું અર્થઘટન ગણાવ્યું હતું. પરંતુ આંકડાઓનું વિશ્લેષણ કરતી વખતે એક મોટી ભૂલ થઈ ગઈ હતી, જેના કારણે આખો નિષ્કર્ષ ખોટો સાબિત થયો હતો.

RBIની પદ્ધતિ અને બ્લૂમબર્ગની ભૂલ વચ્ચેનો તફાવત

બ્લૂમબર્ગ ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા નિવેદન અનુસાર બ્લૂમબર્ગ ઇકોનોમિક્સે RBIના સોનાના ભંડારનું મૂલ્યાંકન કરતી વખતે તે જ દિવસના સ્થાનિક સોનાના ભાવનો ઉપયોગ કર્યો હતો. પરંતુ RBI સંપૂર્ણપણે અલગ પદ્ધતિ અપનાવે છે.

RBI સોનાના ભંડારનું મૂલ્યાંકન કરવા માટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) દ્વારા જાહેર કરવામાં આવતા અગાઉના દિવસના આંતરરાષ્ટ્રીય ભાવનો ઉપયોગ કરે છે. LBMA વૈશ્વિક સ્તરે સોનાના મૂલ્યાંકન માટે સૌથી વધુ સ્વીકૃત બેન્ચમાર્ક માનવામાં આવે છે. ઉપરથી જોતા આ તફાવત માત્ર ટેક્નિકલ લાગે, પરંતુ અંતિમ નિષ્કર્ષ પર તેની મોટી અસર પડી હતી.

હકીકતમાં RBI પોતાના સત્તાવાર સોનાના ભંડારનું મૂલ્યાંકન લગભગ 90 ટકા અગાઉના દિવસના LBMA ભાવના આધારે કરે છે. આ ભાવ અમેરિકન ડૉલરમાં પ્રતિ ઔંસના દરે નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સંબંધિત વિનિમય દર પ્રમાણે ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે છે.

બ્લૂમબર્ગ ઇકોનોમિક્સે RBI જે ભાવનો ઉપયોગ કરે છે તેનાથી અલગ ભાવનો ઉપયોગ કર્યો હતો. પરિણામે તેના ગણતરીના આંકડા RBIના સત્તાવાર આંકડાઓથી અલગ આવ્યા અને સોનાના ભંડારના મૂલ્યમાં દેખાતો તફાવત RBIએ સોનું વેચ્યું હોવાનો પુરાવો હોવાનું માની લેવામાં આવ્યું.

પરંતુ જ્યારે એ જ ગણતરી LBMAના યોગ્ય બેન્ચમાર્કનો ઉપયોગ કરીને ફરી કરવામાં આવી, ત્યારે સોનાના ભંડારમાં દેખાતો ઘટાડો ગાયબ થઈ ગયો. પોતાના નિવેદનમાં બ્લૂમબર્ગે સ્પષ્ટપણે કહ્યું હતું કે અગાઉના દિવસના LBMA ભાવનો ઉપયોગ કરતા જાણવા મળ્યું કે મે મહિનામાં ભારતના સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો નહોતો. અન્ય શબ્દોમાં કહીએ તો જે બાબતને શરૂઆતમાં સોનાના ભંડારમાં ઘટાડો માનવામાં આવી રહી હતી, તે વાસ્તવમાં સોનું વેચવાના કારણે નહીં પરંતુ અલગ મૂલ્યાંકન પદ્ધતિના ઉપયોગના કારણે દેખાઈ રહી હતી.

અહીં નોંધવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે ભૂલ RBI પાસે રહેલા સોનાના જથ્થા અંગે નહોતી. ભૂલ એ હતી કે સોનાનું મૂલ્યાંકન કયા ભાવના આધારે કરવામાં આવ્યું. યોગ્ય બેન્ચમાર્ક લાગુ કરવામાં આવ્યા પછી બ્લૂમબર્ગના અહેવાલનું મુખ્ય તારણ જ ટકી શક્યું નહીં.

RBIના સત્તાવાર આંકડાઓ ખરેખર શું દર્શાવતા હતા?

જ્યારે બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના વિશ્લેષણમાં RBIએ સોનાનો જથ્થો ઘટાડ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય બેન્કના પોતાના આંકડાઓ સંપૂર્ણપણે અલગ ચિત્ર રજૂ કરતા હતા.

અહેવાલ પ્રકાશિત થયા બાદ RBIએ સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે રહેલો ભૌતિક સોનાનો જથ્થો યથાવત છે. RBIના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયેલા આંકડાઓનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય બેન્કે જણાવ્યું હતું કે તેની પાસે હજુ પણ 880.52 મેટ્રિક ટન સોનું છે અને અગાઉ જાહેર કરાયેલા આંકડાઓની સરખામણીએ તેમાં કોઈ ફેરફાર થયો નથી.

આ સ્પષ્ટતા અત્યંત મહત્વપૂર્ણ હતી કારણ કે તે બ્લૂમબર્ગના અહેવાલના કેન્દ્રસ્થ દાવાને સીધો જવાબ આપતી હતી. જો RBI પાસે રહેલા સોનાની માત્રામાં કોઈ ફેરફાર થયો જ નથી તો પછી તેણે પોતાના સોનાના ભંડારમાંથી કોઈ ભાગ વેચ્યો હોવાનું માનવા માટે કોઈ આધાર બચતો નથી. સરકારની ફેક્ટ-ચેક એજન્સી PIBએ પણ RBIએ સોનું વેચ્યું હોવાના તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

PIB દ્વારા ટાંકવામાં આવેલા RBIના આંકડાઓ અનુસાર કેન્દ્રીય બેન્ક પાસે રહેલા સોનાના જથ્થામાં કોઈ ફેરફાર થયો નહોતો અને તેનાથી વિપરીત દાવા રિઝર્વ સંબંધિત આંકડાઓના ખોટા અર્થઘટન પર આધારિત હતા.

RBIના માસિક બુલેટિનમાં પણ આ જ સ્થિતિ પ્રતિબિંબિત થાય છે. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ અને વિનિમય દરમાં થતા ફેરફારોને કારણે સોનાના ભંડારનું મૂલ્ય બદલાઈ શકે છે, પરંતુ કેન્દ્રીય બેન્ક પાસે રહેલા ભૌતિક સોનાનો જથ્થો અલગથી દર્શાવવામાં આવે છે.

વિવાદ જે સમયગાળાને લઈને ઊભો થયો હતો તે દરમિયાન RBIના ભૌતિક સોનાના જથ્થામાં કોઈ ઘટાડો નોંધાયો નહોતો. આ તફાવત અત્યંત મહત્વનો છે. સમગ્ર વિવાદ સોનાના ભંડારના મૂલ્યમાં દેખાતા ફેરફારને લઈને ઊભો થયો હતો, સોનાના જથ્થામાં થયેલા કોઈ વાસ્તવિક ઘટાડાને લઈને નહીં.

જ્યારે સત્તાવાર આંકડાઓની તપાસ કરવામાં આવી, ત્યારે ભારતે પોતાના સોનાના ભંડારનો કોઈ ભાગ વેચી દીધો હોવાના દાવાને RBIના જ જાહેર રેકોર્ડમાં કોઈ આધાર મળ્યો નહોતો. સરળ શબ્દોમાં કહીએ તો RBIના રેકોર્ડ પ્રમાણે સોનું જ્યાં હતું ત્યાં જ હતું. બદલાયું હતું તો માત્ર તેનું મૂલ્યાંકન, સોનાની માત્રા નહીં.

એક રિટ્રેક્શન જેણે આખી કહાની બદલી નાખી

જ્યારે અહેવાલની ટીકા વધવા લાગી અને RBIએ જાહેરમાં સ્પષ્ટ કહ્યું કે કોઈ સોનું વેચવામાં આવ્યું નથી, ત્યારે અંતે બ્લૂમબર્ગે પોતાનું મૂળ વિશ્લેષણ પાછું ખેંચી લીધું. પોતાના રિટ્રેક્શન નિવેદનમાં બ્લૂમબર્ગ ન્યૂઝે જણાવ્યું હતું કે આ અહેવાલ બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના ખોટા વિશ્લેષણ પર આધારિત હતો.

એવું માનવામાં આવે છે કે બ્લૂમબર્ગ ઇકોનોમિક્સનું મૂળ વિશ્લેષણ પણ પાછું ખેંચવામાં આવ્યું છે, જોકે તે માત્ર સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ હોવાથી તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. બ્લૂમબર્ગના નિવેદન મુજબ વિશ્લેષકોએ RBIના સોનાના ભંડારનું મૂલ્યાંકન કરતી વખતે ભૂલથી તે જ દિવસના સ્થાનિક સોનાના ભાવનો ઉપયોગ કર્યો હતો. પરંતુ જ્યારે ગણતરી LBMAના અગાઉના દિવસના ભાવના આધારે ફરી કરવામાં આવી, જે RBIની સત્તાવાર પદ્ધતિ છે, ત્યારે નિષ્કર્ષ જ બદલાઈ ગયો. બ્લૂમબર્ગે પોતાના નિવેદનમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “અગાઉના દિવસના લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના ભાવનો ઉપયોગ કરતાં જાણવા મળે છે કે મે મહિનામાં સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો નહોતો.”

આ મુદ્દો અત્યંત મહત્વનો છે. રિટ્રેક્શન માત્ર કોઈ આંકડામાં ફેરફાર કે નાની ટેક્નિકલ ભૂલને સુધારવા માટે નહોતું. તેણે સમગ્ર અહેવાલના કેન્દ્રસ્થ તારણને જ ઉલટાવી દીધું હતું. શરૂઆતમાં જે અહેવાલ RBIએ લગભગ 12 બિલિયન ડોલરનું સોનું વેચ્યું હોવાનો સંકેત આપતો હતો, તે જ અહેવાલના અંતે બ્લૂમબર્ગને સ્વીકારવું પડ્યું કે ભારતના સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો જ નહોતો.

અંતે આ વાત કોઈ ગુપ્ત સોનાના વેચાણ વિશે નહોતી. તે એક એવી ગણતરી વિશે હતી જે એવા નિષ્કર્ષ પર પહોંચી ગઈ હતી જેને મૂળભૂત આંકડાઓ જ સમર્થન આપતા નહોતા.

આ સમગ્ર ઘટનાક્રમનું મહત્વ શું છે?

બ્લૂમબર્ગનો આ સમગ્ર વિવાદ એક મહત્વનો પાઠ શીખવે છે કે નાણાકીય આંકડાઓનું અર્થઘટન કરતી વખતે પદ્ધતિશાસ્ત્રનું મહત્વ. કેન્દ્રીય બેન્કોના રિઝર્વ એકાઉન્ટિંગ માટે ચોક્કસ નિયમો અને સ્થાપિત પદ્ધતિઓ હોય છે. મૂલ્યાંકનની પદ્ધતિમાં નાનો લાગતો ફેરફાર પણ સંપૂર્ણપણે અલગ પરિણામો આપી શકે છે.

આ ઘટનાને વિશેષ બનાવે છે એ હકીકત કે અહીં થયેલી ભૂલે માત્ર અંદાજના કદને અસર નહોતી કરી, પરંતુ આખા નિષ્કર્ષની દિશા જ બદલી નાખી હતી. સોનાના ભંડારમાં દેખાતો ઘટાડો યોગ્ય બેન્ચમાર્ક લાગુ કરતાં સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો.

આ ઘટના એ પણ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી નાણાકીય મીડિયા સંસ્થા દ્વારા કોઈ દાવો કરવામાં આવે તો તે કેટલી ઝડપથી પ્રસરી શકે છે. મૂળ દાવાની વ્યાપક ચર્ચા થઈ, પરંતુ પાછળથી કરવામાં આવેલી સ્પષ્ટતાને તેટલું ધ્યાન મળ્યું નહીં. રિટ્રેક્શન જાહેર થયું ત્યાં સુધીમાં આ અહેવાલ ભારતના રિઝર્વ મેનેજમેન્ટ અંગેની જાહેર ચર્ચાને અસર કરી ચૂક્યો હતો.

વધુ વ્યાપક રીતે જોઈએ તો આ ઘટના એ યાદ અપાવે છે કે રિઝર્વના મૂલ્યમાં થયેલા ફેરફારોનો અર્થ હંમેશા મૂળભૂત સંપત્તિમાં થયેલા ફેરફારો એવો નથી થતો. આંકડાઓ પાછળની પદ્ધતિ સમજવી ઘણી વખત આંકડાઓને સમજવા જેટલી જ મહત્વપૂર્ણ હોય છે.

આ સમગ્ર વિવાદમાંથી મળતો સૌથી મોટો પાઠ ભારતના સોનાના ભંડાર વિશે નથી. તે એ વિશે છે કે કેવી રીતે એક મૂલ્યાંકન સંબંધિત ધારણા, જ્યારે તેને હકીકત તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે થોડા સમય માટે એવો નેરેટિવ ઊભો કરી શકે છે જેને મૂળભૂત આંકડાઓનો જ આધાર ન હોય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં