કાશ્મીરના પહલગામમાં (Pahalgam Terror Attack) ઇસ્લામી આતંકીઓએ વીણીવીણીને હિંદુઓની હત્યા કરી નાખી. દુનિયાભરમાં તેની ટીકા થઈ અને ભારતમાં આક્રોશ પણ વ્યાપ્યો. નિર્દોષ હિંદુઓની હત્યાને લઈને દેશભરમાં આક્રોશ અને દુઃખ વ્યાપેલું છે. તેવામાં એક ખાસ ગેંગના માણસો હિંદુઓના આ ઘા પર નમક નાખવાનું કામ કરી રહ્યા છે. મોદીવિરોધી એટલા અકળાઈ ગયા છે કે મોદીનો વિરોધ કરતા-કરતા તેઓ આતંકવાદને સમર્થન આપવા લાગ્યા છે અને તે પણ જાહેરમાં. ગુજરાતમાં પણ આવા આતંકપ્રેમીઓની ઉણપ નથી.
એક તરફ આખો દેશ દુઃખમાં ગરકાવ થઈ રહ્યો છે અને બીજી તરફ રમેશ સવાણી નામનો એક પૂર્વ IPS આતંકવાદીઓને માનવતાવાદીઓ ગણાવી રહ્યો છે. RSSનો વિરોધ, ભાજપનો વિરોધ, મોદીનો વિરોધ તો સમજ્યા પણ આ વ્યક્તિ હવે આતંકવાદને સમર્થન આપવા લાગી પડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં ટિપ્પણી કરતા તેણે આતંકવાદીઓને ‘માનવતાવાદી’ ગણાવી દીધા છે. કારણ આપતા તેણે જણાવ્યું છે કે, આતંકીઓએ મહિલાઓની હત્યા નહોતી કરી.
This person is a retired IPS and a known Modi hater.
— Meghalsinh Parmar (@MeghalHparmar) April 28, 2025
This is what he has written.
‘Even terrorists have shown humanity. They did not kill women.’ pic.twitter.com/4azLIOTJWh
તેણે કૉમેન્ટ કરી કે, “શીર્ષક જોઈએ : માણસાઈનો દુશ્મન આતંકવાદ- માનવતા તો આતંકવાદીઓએ પણ દાખવી છે મહિલાઓની હત્યા કરી નથી.” તેની આ ટિપ્પણી પર તેના ઘણા સમર્થકો પણ તૂટી પડ્યા છે અને તેને કોઈપણ ભોગે સાચો સાબિત કરવા મથી પડ્યા છે. હિંદુઓએ આ ટિપ્પણીઓનો વિરોધ કરવાનું શરૂ કરતા સવાણીએ ત્રણ વખત કૉમેન્ટ એડિટ કરીને ફેરવી તોળ્યું છે.
આતંકવાદી કૃત્યમાં માણસાઈના દર્શન કરતો શખ્સ રહી ચૂક્યો છે IPS
ક્રૂર, બર્બર, અમાનવીય ઇસ્લામી આતંકી કૃત્યમાં પણ માણસાઈના દર્શન કરતો આ રમેશ સવાણી નામનો શખ્સ IPS અધિકારી રહી ચૂક્યો છે. માનવામાં ન આવે પણ તે વડોદરામાં પોતાની સર્વિસ આપીને નિવૃત્ત થયો છે. માનવતાની દ્રષ્ટિએ તો કોઈપણ પ્રકારનો આતંકવાદ ક્રૂર અને બર્બર જ ગણાય છે. માનવતાવાદી અને આતંકવાદી હંમેશા એકબીજાથી વિપરીત રહ્યા છે. તેમ છતાં સવાણીએ મૃત હિંદુઓના પીડિત પરિવારોના ઘા પર નમક નાખ્યું છે અને આતંકીઓને માનવતાના પૂજારી ગણાવી દીધા છે.

તેની વિચારધારા મુજબ તો મહિલાઓના મર્દન વગર જો કોઈ ઈસમ આખી ધરતીની પુરુષ જાતિને ખતમ કરી નાખે તોપણ તે માનવતાવાદી રહેશે. મોદીના વિરોધમાં આ ગેંગ એટલી અકળાઈ ગઈ છે કે, આંખ આડી પટ્ટી બાંધીને સારા-નરસાનો ભેદ ઓળખવાનું જ ભૂલી ગઈ છે. કાશ્મીરની આવી જ બર્બર ઘટના જો તેના પરિવાર સાથે થઈ હોત તો આ ઈસમ તેને માનવતાવાદી કૃત્યમાં ખપાવી શક્યો હોત?
સભ્ય સમાજમાં રહીને જીવેલો માણસ ક્યારેય આતંકને માનવતા સાથે જોડવાની કલ્પના પણ ના કરી શકે. પરંતુ દેશની ભીતર જ એવી આતંકી માનસિકતાના લોકો છે, જે આવા બર્બર ઇસ્લામી આતંકી હુમલામાં પણ માણસાઈ શોધી રહ્યા છે. જોકે, તજજ્ઞો કહે છે કે, આવી માનસિકતા જ આતંકવાદનું પ્રથમ સોપાન હોય છે. આતંકવાદીઓ જન્મ નથી લેતા પણ તેને એક ખાસ તાલીમ આપીને માનસિકતાના જોરે તૈયાર કરવામાં આવે છે.
રમેશ સવાણીની ટિપ્પણી પર તેની પ્રશંસા કરતા અને સમર્થન કરતા લોકો પણ આ જ માનસિકતાનો એક ભાગ છે. દેશની બહાર રહીને દેશવિરોધી કૃત્યો કરીને નિર્દોષોનો જીવ લેતા કાયર આતંકવાદીઓ કરતા વધુ જોખમ આવી માનસિકતાના લોકોનું સમર્થન કરવામાં છે. આવા લોકો વ્યક્તિનો વિરોધ કરવામાં એટલા આંધળા થઈ ચૂક્યા છે આતંકવાદને સમર્થન આપવામાં પણ સંકોચ નથી અનુભવી શકતા.
અહીં એ પણ નોંધવા જેવું છે કે, રમેશ સવાણીએ આ પહેલી વખત વિવાદિત ટિપ્પણી કરી હોય તેવું નથી. તે વારંવાર અનેક વિષયો પર આવી વિવાદિત અને હિંદુવિરોધી ટિપ્પણીઓ કરવાની આદત ધરાવે છે. નેટિઝન્સ અવારનવાર તેની ઝાટકણી કાઢતા રહેતા હોવા છતાં તે પોતાની આવી હરકતો દર્શાવતો રહે છે.