પહલગામના ઇસ્લામી આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન એક રીતે યુદ્ધની કગાર પર આવીને ઊભા છે. આ તણાવનું કારણ પણ આતંકવાદી પાકિસ્તાન છે. હુમલા બાદ ભારત તરફથી થતી કાર્યવાહીઓના કારણે પાકિસ્તાનના ઘણા નેતાઓ ભાન ભૂલીને દુનિયાને હલાવી નાખવાના બફાટ કરી રહ્યા છે. ભારતને દેખાડી દેવાનો ફાંકો મારતા આ જ ઈસ્લામિક દેશને ભારતે વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા આત્મસમર્પણના દિવસો દેખાડી દીધા હતા અને હવે બીજી વખત તેના કરતાં પણ ભયાનક દ્રશ્યો દેખાડવામાં આવશે એવું અત્યારનો માહોલ કહે છે.
દેશના કરોડો નાગરિકો પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ પાકિસ્તાનના લોકો તો ઠીક પણ નેતાઓ પણ હિંદુત્વને ખતમ કરવાની વાતો કરી રહ્યા છે. ભારતીયો અત્યારે પાકિસ્તાનને જે પાઠ ભણાવવાની વાતો કરી રહ્યા છે એ લડાઈ એક રાષ્ટ્ર સામેની છે, મજહબ સામેની નહીં. કોઈપણ ભારતીય નાગરિકે એવું નથી કહ્યું કે, લાહોર જઈને કોઈ મસ્જિદ તોડીશું કે ત્યાં ભગવો ઝંડો ફરકાવી દઈશું. કારણ કે તેઓ આ સંઘર્ષને બે રાષ્ટ્રો વચ્ચેનો જોઈ રહ્યા છે. એક રાષ્ટ્ર અને એક મજહબ વચ્ચેનો નહીં.
બીજી બાજુ પાકિસ્તાનનો મક્સદ સ્પષ્ટ છે. તેઓ આને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ઓછી અને પાકિસ્તાન વિરુદ્ધ હિંદુત્વની લડાઈ તરીકે વધારે જુએ છે. એટલે જ ત્યાંનાં સાંસદ સ્તરના માણસો પણ કરોડો હિંદુઓના આસ્થાના સ્થાન એવા રામ મંદિરને તોડવાની વાતો કરે છે. જો તેમની લડાઈ એક રાષ્ટ્ર સામે હોત તો તેમણે બહુ બહુ તો સેના સામે ઝેર ઓક્યું હોત. પણ તેઓ રામ મંદિરને વચ્ચે લાવ્યા. કારણ કે આ સંઘર્ષને જોવાનો તેમનો દૃષ્ટિકોણ દેશ વિરુદ્ધ દેશનો નહીં પણ મજહબ વિરુદ્ધ હિંદુત્વનો છે. તેમની લડાઈ છે હિંદુત્વને ખતમ કરીને ગઝવા-એ-હિન્દ કરવાની. તેમની લડાઈ છે ‘કાફિરો’નો નરસંહાર કરવાની.
ઇસ્લામી આક્રાંતાઓના સમયથી ચાલ્યો આવે છે ઇસ્લામનો આ જેહાદ
આજે પાકિસ્તાનના એક મહિલા સાંસદ સંસદમાં ઊભા થઈને રામ મંદિરને તોડી ત્યાં બાબરી મસ્જિદ ઊભી કરવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ સિંધુ દરિયામાં હિંદુઓના લોહી રેડવા સુધીની વાતો કરી ચૂક્યા છે. ત્યાંનો કહેવાતો આર્મી ચીફ પોતાને હિંદુઓથી અલગ ગણાવી ચૂક્યો છે અને ઇસ્લામ આધારિત ‘ટુ નેશન થિયરી’ની વાત કરી ચૂક્યો છે. ત્યાંનાં કોઈ નેતાએ એવું નથી કહ્યું કે, તેમની લડાઈ ભારતીય સેના સાથે છે. તેમનો મક્સદ ક્લિયર છે અને તે છે પાકિસ્તાન વિરુદ્ધ હિંદુત્વની લડાઈ. એટલે જ પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ પણ કોઈ ભારતીયને ટાર્ગેટ કરવાની જગ્યાએ માત્ર હિંદુઓને ટાર્ગેટ કર્યા હતા. આપણે ત્યાંના યુટ્યુબરિયાઓ ‘આતંક કા મજહબ નહીં હોતા’વાળી ફાલતુ દલીલો આગળ ધરવા બીજાં-બીજાં કારણો આપતા રહે છે એ બધી વાતો ગપ્પાં છે.
આવા ઇસ્લામી કટ્ટરપંથીઓની આ માનસિકતા આજકાલની નથી. આ જ ઇસ્લામી જેહાદનો વિચાર છેક મહેમૂદ ગઝનવી આવ્યો ત્યારથી ચાલતો આવે છે. તેણે જ ભારતના હિંદુઓ સામે જેહાદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેણે જ તમામ બુતોને (દેવપ્રતિમાઓ) નાબૂદ કરવાનું ફરમાન બહાર પાડ્યું હતું અને તેણે જ સોમનાથ મંદિરને તોડી હિંદુઓના સ્વાભિમાન પર હુમલો કર્યો હતો. તેના પછીના ઇસ્લામી આક્રાંતાઓએ પણ આ જ ઇસ્લામી જેહાદને હિંદુત્વ વિરુદ્ધ હથિયાર બનાવ્યું હતું. બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના ઇસ્લામી આક્રાંતાઓએ હિંદુઓ વિરુદ્ધ જેહાદ કરવાની તેમની પરંપરાને પૂરી કરી હતી.
એમાંના જ એક આક્રાંતા બાબરે હિંદુઓના આરાધ્ય ભગવાન શ્રીરામના મંદિરને તોડાવીને ત્યાં બાબરી મસ્જિદ ઊભી કરવાનું દુઃસાહસ કર્યું હતું અને હવે તેના જ પદચિહ્નો પર પાકિસ્તાન ચાલી રહ્યું છે. આ તમામ ઇસ્લામી આક્રાંતાઓએ કોઈ રાષ્ટ્ર પર ચડાઈ નહોતી કરી, તેમણે ચડાઈ કરી હતી હિંદુત્વ પર. તેમનો મક્સદ હતો સનાતન કાળથી ચાલતી આવેલી પરંપરાને દફન કરીને ઇસ્લામી શાસન લાવવાનો અને ગઝવા-એ-હિન્દ કરવાનો. જોકે, મહારાણા સાંગા, બાપ્પા રાવલ, મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા હિંદુ શાસકોએ તેમના આ ખ્વાબને ક્યારેય પૂરું ન થવા દીધું.
હિંદુ શાસકોમાં યુદ્ધના પણ હતા નિયમો
આપણે વારંવાર એક કહેવત સાંભળી છે. સાંભળી જ નહીં પરંતુ બૉલીવુડ દ્વારા આપણાં મગજમાં તેને ઘૂસાડી પણ દેવામાં આવી છે. કહેવત છે– જંગ મે ઔર ઈશ્ક મે સબ જાયજ હૈ’. આ કહેવતના તમામ શબ્દો ફારસી છે, એક પણ શબ્દ ભારતીય ભાષાઓનો નથી. ઇસ્લામી શાસકો આ જ નીતિને અપનાવતા હતા, કારણ કે તેમની લડાઈ કોઈ રાષ્ટ્ર સામેની નહીં, પરંતુ હિંદુત્વ સામેની હતી અને તેના કારણે જ તેઓ જે ક્રૂરતા આચરતા હતા તે બધી જ તેમને વાજબી લાગતી હતી. તેથી જ તેઓ ‘જંગ’ પછી મંદિરો તોડતા અને હિંદુ મહિલાઓના બળાત્કાર કરતા હતા. પરંતુ આજ સુધી આપણે હિન્દી કે પછી સંસ્કૃત પ્રાકૃત ભાષામાંથી ઉતરી આવેલી એવી કહેવત નથી સાંભળી કે, ‘યુદ્ધમાં અને પ્રેમમાં બધુ યોગ્ય છે.’
તેનું કારણે એ છે કે હિંદુ શાસકો લડ્યા હતા હિંદુઓના અસ્તિત્વ માટે અને સ્વરાજ્ય માટે. તેમણે ક્યારેય કોઈ પૂજાસ્થળો તોડ્યાં નથી. તેથી જ છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કરી રહેલા વિક્કી કૌશલે ‘છાવા’ ફિલ્મમાં મુઘલોને કહ્યું હતું કે ‘તમારા જંગ અને અમારા યુદ્ધમાં ઘણો તફાવત છે.’ તેમની જંગ હંમેશાથી હિંદુત્વ વિરુદ્ધની રહી છે અને હિંદુઓનું યુદ્ધ હંમેશા અસ્તિત્વ અને સ્વરક્ષા માટેનું રહ્યું છે. જે આજે પણ જોઈ શકાય છે.
પાકિસ્તાનમાં આજે જે માનસિકતા જોવા મળે છે, તેના બીજ મહેમૂદ ગઝનવી આવ્યો ત્યારે વવાયાં હતાં. વાસ્તવમાં પાકિસ્તાનીઓના હીરો જ મહેમૂદ ગઝનવી, બાબર, ઔરંગઝેબ જેવા અન્ય ઇસ્લામી આક્રાંતાઓ છે અને એ જ કારણ છે કે તેમનો જેહાદ ભારત વિરુદ્ધ નહીં પણ હિંદુત્વ વિરુદ્ધ છે. અહીં એ પણ નોંધવા જેવું છે કે, જ્યાં જેહાદ હોય ત્યાં મજહબ આપમેળે આવવાનો જ. આતંકવાદીઓ માટે જે કહેતા હોય કે તેમનો મજહબ હોતો નથી, પણ હકીકત તો એ છે કે પાકિસ્તાનીઓ આખો આ સંઘર્ષ જ મજહબના નામે લડી રહ્યા છે. તેમનો મક્સદ એકદમ સ્પષ્ટ છે. ભારતને નહીં પણ હિંદુત્વને ખતમ કરવું. ભારત માટે આ બે રાષ્ટ્રોનો સંઘર્ષ છે અને પાકિસ્તાન માટે હિંદુત્વ વિરુદ્ધ ‘જેહાદ’.