Saturday, June 21, 2025
More
    હોમપેજરાજકારણએક કલાકની મુલાકાત માટે દશરથ માંઝીના લીંપેલા ઝુંપડા સામે જ બન્યું રાહુલ...

    એક કલાકની મુલાકાત માટે દશરથ માંઝીના લીંપેલા ઝુંપડા સામે જ બન્યું રાહુલ ગાંધીનું આલીશાન VIP ટોઇલેટ!: કોંગ્રેસ નેતાને માઉન્ટેન મેનની પ્રતિમા પર માળા પહેરવતાં પણ દુખ્યા હાથ, બિહાર ચૂંટણી અને દલિત વોટનું રાજકારણ

    રાહુલ ગાંધીના આ પ્રવાસ માટે માંઝીના કાચા, પતરાંવાળા ઘરની સામે જ એક ખર્ચાળ VIP ટોઇલેટ બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્પેશ્યલ વેસ્ટર્ન ટોઇલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના દરવાજા પર લખેલું હતું VIP TOILET.

    - Advertisement -

    બિહારમાં ચૂંટણી (Bihar Elections) નજીક આવી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બિહારના ગયા જિલ્લાના ગેહલોર ગામમાં ‘માઉન્ટેન મેન’ (Mountain Man) દશરથ માંઝીના (Dashrath Manjhi Memorial) મેમોરિયલ પર પહોંચ્યા હતા. અહીં તેમણે માંઝીની પ્રતિમા પર માળા ચઢાવી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જેના કેટલાક વિડીયો સામે આવ્યા હતા. આ વિડીયોમાં જે દ્રશ્યો દેખાયા તે જોઈને આ બધું જ ચૂંટણીલક્ષી ઢોંગ અને રાજકીય નાટકનો ભાગ હોવાનું લાગે છે. રાહુલના હાવભાવ, માળા ચઢાવવાની રીત અને તેમની આસપાસની વ્યવસ્થાઓએ કોંગ્રેસની દલિત પ્રેમની વાતોની પોલ ખોલી નાખી છે.

    રાહુલ ગાંધી દશરથ માંઝીના ગામ ગેહલોર ગયા હતા, જેના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન જ્યારે તેઓ માંઝીના મેમોરિયલ પાસે ગયા ત્યારે તેમણે દશરથ માંઝીની મૂર્તિ પર બે વખત માળા ચઢાવી, પરંતુ તેમની નજર એક પણ વખત મૂર્તિ તરફ ગઈ નહીં. એક હાથે, ત્રાંસી રીતે અને ઉતાવળમાં માળા ચઢાવવાનું તેમનું વર્તન એવું લાગ્યું જાણે તેઓ કોઈ ઔપચારિકતા નિભાવી રહ્યા હોય.

    આ દ્રશ્યએ સ્પષ્ટ કરી દીધું કે રાહુલ ગાંધીના મનમાં માંઝી પ્રત્યે કોઈ સાચી શ્રદ્ધા નથી, પરંતુ આ બધું ફક્ત દલિત સમાજના વોટ મેળવવા માટેનો દેખાવ હતો. આવું વર્તન ન માત્ર માંઝીના અદભૂત યોગદાનનું અપમાન છે, પરંતુ દલિત સમાજની લાગણીઓનું પણ અપમાન છે. નોંધનીય છે કે દશરથ માંઝી દલિત સમુદાયના વ્યક્તિ હતા અને બિહારમાં માંઝી સમુદાયના લોકોની નોંધપાત્ર વસ્તી છે. તેથી જો કોંગ્રેસ દલિતોના વોટ મેળવવામાં સફળ થાય તો તે બિહારની ચૂંટણીના પરિણામો પર નોંધપાત્ર અસર કરી શકે છે.

    - Advertisement -

    VIP ટોઇલેટનો વિવાદ

    માળા પહેરાવવા સિવાય પણ અન્ય એક મામલો સામે આવ્યો હતો જેનો વિવાદ ચાલી રહ્યો છે. વાત કંઇક એવી છે કે રાહુલ ગાંધીના આ પ્રવાસ માટે માંઝીના કાચા, પતરાંવાળા ઘરની સામે જ એક ખર્ચાળ VIP ટોઇલેટ બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્પેશ્યલ વેસ્ટર્ન ટોઇલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના દરવાજા પર લખેલું હતું VIP TOILET.

    આ સિવાય ટોઇલેટની અંદર પણ મોંઘોદાટ અરીસો અને વોશબેસીન લગાવવામાં આવ્યો હતો. ટોઇલેટની બહાર કાર્પેટ વિસવવામાં આવ્યું હતું અને તેના દરવાજાની બહાર વિશેષ પગ લૂછણીયું પણ મૂકવામાં આવ્યું હતું. એક તરફ દશરથ માંઝીના પરિવારનું કાચું પતારવાળું અને માટીથી બનેલ ઘર હતું. જેમાં ઘરની ઉપર પણ તાડપત્રી દેખાઈ રહી હતી અને બીજી તરફ આ જ ઘરની સામે કોંગ્રેસ નેતા માટે બનાવવામાં આવેલ VIP ટોઇલેટ.

    આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેમાં લોકોએ કોંગ્રેસની દલિત વિરોધી માનસિકતા પર આકરા પ્રહારો કર્યા. જોકે, ઘટના પ્રશ્ન કરવા લાયક છે પણ ખરી. રાહુલ ગાંધીને વાસ્તવમાં દશરથ માંઝી પ્રત્યે કે તેમના પરિવાર પ્રત્યે માન હોત તો તેમણે આવું અપમાનજનક કૃત્ય ના કર્યું હોત. અહીં એ પણ મહત્વની બાબત છે કે રાહુલ ગાંધી એક અડધા દિવસ માટે પણ તેમની VIP આદતો છોડી શકતા નથી. આ તસ્વીરો જોઈને એમ જ લાગી રહ્યું છે કે કોંગ્રેસ નેતા માત્ર દલિતોને લલચાવવા માટે જ માંઝીના ગામ ગયા હતા.

    દલિત ઉપેક્ષાનો ઇતિહાસ

    દશરથ માંઝીએ 22 વર્ષ સુધી એકલા હાથે પહાડ કાપીને રસ્તો બનાવ્યો, જેથી તેમના ગામના લોકોને આરોગ્ય અને અન્ય સુવિધાઓ મળી શકે. 1959માં તેમની પત્ની ફાલ્ગુનીનું મૃત્યુ અવ્યવસ્થાને કારણે થયું, જેની સીધી જવાબદારી તે સમયની કોંગ્રેસ સરકાર પર જાય છે. 1960થી 1982 સુધી માંઝીએ આ અદભૂત કામ કર્યું, પરંતુ તે સમયે બિહાર અને કેન્દ્રમાં રાજ કરતી કોંગ્રેસ સરકારે તેમની કોઈ નોંધ લીધી નહીં. ન રસ્તો બન્યો, ન હોસ્પિટલ, ન કોઈ મદદ મળી. આજે રાહુલ ગાંધી તે જ દશરથ માંઝીના નામનો સહારો લઈને દલિત સમાજની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેમની પાર્ટીનો ઇતિહાસ આવી ઉપેક્ષાની ગાથાઓથી ભરેલો છે.

    ચૂંટણીલક્ષી રાજનીતિનો ખેલ

    રાહુલ ગાંધીનો આ પ્રવાસ ચૂંટણીની નજીક આવતાં વોટબેંકની રાજનીતિનો ભાગ હોવાનું સ્પષ્ટ દેખાય છે. બિહારમાં દલિત સમાજની મોટી વસ્તી છે અને કોંગ્રેસ આ વસ્તીને આકર્ષવા માટે દશરથ માંઝી જેવા પ્રતિષ્ઠિત નામોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ રાહુલના આ વર્તનથી એ વાત સામે આવે છે કે તેમની પાર્ટીની નીતિઓ અને કાર્યશૈલીમાં દલિત સમાજ પ્રત્યે સાચી લાગણીનો અભાવ છે. માંઝીના પરિવારને બુનિયાદી સુવિધાઓ આપવાને બદલે, રાહુલ ગાંધી માટે VIP વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવ્યું, જે કોંગ્રેસની VIP પ્રાથમિકતાઓને ઉજાગર કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં