‘યુરોપનાં હથિયારોથી ભારત પર હુમલા થાય છે’: રશિયન તેલ પર જ્ઞાન આપનારા પશ્ચિમી દેશોને જયશંકરે દેખાડ્યો અરીસો

ફિનલેન્ડમાં ‘ઉભરતી સત્તાઓ અને નવી ભૌગોલિક રાજકીય સ્પર્ધા’ વિષય પર એક મહત્વની ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન એક પત્રકારે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભારત રશિયા પ્રત્યે ‘વધુ પડતી સહાનુભૂતિ’ રાખે છે અને યુક્રેન યુદ્ધ વચ્ચે પણ તેની પાસેથી તેલ ખરીદવા ખૂબ ઉત્સુક છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ આક્ષેપોને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરીને પશ્ચિમી દેશોની ટીકાઓનો ખૂબ જ મજબૂત અને તાર્કિક જવાબ આપ્યો હતો.

ભારતના આ નિર્ણયનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે તેલની ખરીદી હંમેશા કિંમત અને બજારમાં તેની ઉપલબ્ધતાના આધારે થાય છે. વર્ષ 2022માં જ્યારે યુક્રેન યુદ્ધ શરૂ થયું, ત્યારે યુરોપના દેશોએ મધ્ય-પૂર્વમાંથી તેલ ખરીદવાનું શરૂ કરી દીધું હતું, જે ભારતનો પરંપરાગત સપ્લાયર હતો. આ સંજોગોને કારણે ભારતે રશિયા તરફ વળવું પડ્યું હતું.

પશ્ચિમી દેશોની નૈતિકતા અને તેમની સગવડતાવાળી રાજનીતિ પર આકરા પ્રહારો કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના કોઈ પણ યુરોપીયન દેશ પર ક્યારેય ભારતમાં બનેલા હથિયારોથી હુમલો થયો નથી કે ભારતને કારણે કોઈ યુરોપીયન દેશની સુરક્ષા જોખમાઈ નથી. પરંતુ દુર્ભાગ્યે યુરોપ ભારત વિશે આવો દાવો બિલકુલ કરી શકે તેમ નથી, કારણ કે યુરોપના હથિયારો અને તેની સપ્લાય નીતિઓ હંમેશા ભારતની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી આવી છે.

આ ગંભીર મુદ્દાને વધુ વિગતવાર સમજાવતા ઉમેર્યું કે યુરોપના દેશો એવા ક્ષેત્રો અને દેશોને હથિયારો વેચે છે, જેનો ઉપયોગ સીધો ભારત પર હુમલો કરવા માટે કરવામાં આવે છે. આ સ્થિતિ કોઈ આજકાલની નથી પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી સતત ચાલી રહી છે. ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી, તેથી ભારતના સાર્વભૌમ નિર્ણયો અને વેપાર પર આંગળી ચીંધવાનો યુરોપને કોઈ નૈતિક અધિકાર નથી.

વૈશ્વિક બજારની સ્થિતિ યાદ અપાવતા ખુલાસો કર્યો કે તે સમયે ખુદ અમેરિકાએ જ ભારતને રશિયાનું તેલ ખરીદવા માટે કહ્યું હતું, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ કાબૂમાં રહે અને મોંઘવારી ન વધે. પરંતુ ત્યાર પછી અમેરિકાએ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ (ટેક્સ) લગાવી દીધા અને પછી ફરીથી પ્રતિબંધો હટાવી લીધા.

અમેરિકાના આ વલણ પર કટાક્ષ કરતા જણાવ્યું કે જો વૈશ્વિક નીતિઓ એક દિવસ કંઈક અલગ હોય અને બીજા દિવસે બદલાઈ જતી હોય, એટલે કે જ્યારે પોતાના સ્વાર્થ માટે અનુકૂળ હોય ત્યારે નિયમો બદલાય તો પછી આમાં કોઈ મહાન સિદ્ધાંતો સામેલ નથી. આ રૂમમાં બેઠેલા તમામ લોકો સમજદાર છે અને જાણે છે કે વૈશ્વિક રાજનીતિની રમત કેવી રીતે રમાય છે.

તેમણે જણાવ્યું કે ગ્લોબલ ટ્રેડ અને પ્રતિબંધોની બાબતમાં પશ્ચિમી દેશો જે રીતે પોતાની મરજી મુજબ નૈતિકતાના પાઠ ભણાવે છે તે બિલકુલ ખોટું છે. ઉર્જા સુરક્ષા અને વેપાર જેવા જટિલ મુદ્દાઓને કોઈ એક પક્ષના ચશ્માથી જોઈ શકાય નહીં, ભારતે હંમેશા પોતાના દેશના હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લીધા છે.