હોમપેજગુજરાતખેડાના માતરમાં હિંદુ પરિવાર પર જીવલેણ હુમલો, રજ્જાક-આરિફ સહિત પાંચ સામે FIR:...

ખેડાના માતરમાં હિંદુ પરિવાર પર જીવલેણ હુમલો, રજ્જાક-આરિફ સહિત પાંચ સામે FIR: પીડિતોએ ઑપઇન્ડિયાને જણાવી આપવીતી– ગ્રાઉન્ડ રિપોર્ટ

પીડિતો પાસે પહોંચ્યું ઑપઇન્ડિયા, આપવીતી જાણી. પીડિતોએ કહ્યું– આ હિંસક ટોળાએ ઘરમાં હાજર મહિલાઓને પણ નહોતી છોડી. પોપટભાઈના પત્નીને એટલી નિર્દયતાથી લાતો મારવામાં આવી કે તેમના મોં પર ગંભીર ઈજાઓ થઈ. પોતાના પરિવારને બચાવવા વચ્ચે પડેલી દીકરી સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.

- Advertisement -

તાજેતરમાં ખેડાના માતરના GIDC વિસ્તારમાં એક હિંદુ પરિવાર પર હુમલો થયો હતો. 7 જૂને હિંદુ પરિવારની દુકાન પર નજીવી બાબતે બોલાચાલી થયા બાદ અમુક શખ્સોએ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. આ મામલે પછીથી અર્જુન સોલંકી નામના એક પીડિતની ફરિયાદના આધારે માતર પોલીસે FIR દાખલ કરીને રેશમાબાનુ ફિરોજશા દીવાન, રજ્જાકશા ફિરોજશા દીવાન, આરિફઅલી સાબિરઅલી સૈયદ, મુસ્તાકશા ફિરોજશા દીવાન અને નાસિરશા ઝાકિરશા દીવાન સામે ગુનો દાખલ કર્યો હતો.

માતર પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 191, 190, 109(1), 115(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 5માંથી 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ ઘટના સામે આવ્યા બાદ ઑપઇન્ડિયા માતર ખાતે પહોંચ્યું હતું, જ્યાં પીડિત પરિવારે સમગ્ર ઘટના અને પોતાની આપવીતી જણાવી હતી.

માતર GIDCમાં વ્યવસાય કરતા પરિવાર પર હુમલો

માતર વિસ્તારમાં નાની ચા અને પાણીની કેબિન ચલાવતા પોપટભાઈ તખાભાઈ પરમારના પરિવાર સાથે આ ક્રૂર ઘટના ઘટી છે. પોપટભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે 10થી 15 જેટલા મુસ્લિમ શખ્સો, જેઓ અવારનવાર આસપાસના વિસ્તારમાં દારૂ પીવા અને અડ્ડો જમાવવા માટે ભેગા થતા હતા, તેમણે કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર અચાનક તેમની દુકાન પર હુમલો કરી દીધો હતો.

- Advertisement -

વાસ્તવમાં બન્યું હતું એવું કે દુકાન નજીક એકઠા થયેલા આરોપીઓમાંથી એકને ખાંડની જરૂર હતી. જે પરિવારે દુકાનમાંથી આપી હતી. પરંતુ ત્યારબાદ ખાંડનું પડીકું વાળવા માટે હિસાબ-કિતાબના ચોપડામાંથી કાગળો ફાડવાનું શરૂ કરી દીધું હતું. દુકાનદારે અટકાવતાં હુમલાખોરોએ ધમાલ શોધી અને મારામારી શરૂ કરી દીધી હતી.

પોપટભાઈના જમાઈ અર્જુનભાઈ જ્યારે નોકરી પરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમને ખેંચી લીધા હતા. ત્યારબાદ તેમને લોખંડના સળિયા વડે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો અને ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં ફેંકી દીધા હતા. આટલેથી ન અટકતાં કેટલાક શખ્સોએ તેમના ગળા પર પગ દબાવી દીધો હતો, જેથી તેમનો શ્વાસ રુંધાઈ જાય.

આ હિંસક ટોળાએ ઘરમાં હાજર મહિલાઓને પણ નહોતી છોડી. પોપટભાઈના પત્નીને એટલી નિર્દયતાથી લાતો મારવામાં આવી કે તેમના મોં પર ગંભીર ઈજાઓ થઈ. પોતાના પરિવારને બચાવવા વચ્ચે પડેલી દીકરી સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.

માસૂમ બાળકીને ફેંકી દીધી

પોપટભાઈએ આરોપ લગાવ્યો છે કે આ હુમલા દરમિયાન મુસ્લિમ હુમલાખોરોએ તેમની દીકરીની નાની બાળકીને ચાલુ મોટરસાયકલ પરથી નીચે ફેંકી દીધી હતી. સદનસીબે બાળકી નીચે પડેલા એક ગાદલા પર પડી, જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થતાં બચી ગઈ. આ આખી ઘટનાથી બાળકો એટલાં ડરી ગયાં હતાં કે તેમની માતા તેમને લઈને નજીકના ફાર્મહાઉસમાં છુપાઈ જવા મજબૂર બની હતી.

પોપટભાઈ અને તેમના પરિવારનું સ્પષ્ટપણે માનવું છે કે આ હુમલા પાછળનો હેતુ તેમને આર્થિક અને શારીરિક રીતે નબળા પાડવાનો છે. મુસ્લિમ હુમલાખોરો ઈચ્છે છે કે હિંદુ પરિવારો ડરીને અહીંથી ‘ભાગી જાય’ જેથી તેઓ આ જગ્યા પર કબજો જમાવી શકે.

વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો

પોપટભાઈના પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે મુસ્લિમો તેમના ઘરે આવ્યા ત્યારે તેઓ વચ્ચે પડ્યા હતા. તેમણે જણાવ્યું છે કે આ ટોળામાં મહિલાઓ પણ સામેલ હતી. તેમણે આ લોકો આગળ મારપીટ ન કરવાની આજીજી કરી હતી, પણ છતાંય એ લોકો માન્યા નહીં. ઉપરથી વૃદ્ધ મહિલાને પણ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. તેમણે જણાવ્યું છે કે આ હુમલા દરમિયાન વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. હુમલાખોરોએ કહ્યું હતું કે, “જો તું ફરીથી અહીં દેખાઈશ તો તને જીવતી નહીં છોડીએ.” વૃદ્ધા પોતાના પતિ અને બાળકોની સલામતી માટે કરગરી રહી હતી, પરંતુ હુમલાખોરોએ ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ.

ઉત્તરાયણના તહેવાર પર ભાર્ગવ ડાભી પર ચપ્પુ વડે હુમલો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પહેલાં પણ આવો જ એક મામલો આ વર્ષની શરૂઆતમાં સામે આવી ચૂક્યો છે. ગરમાળા ગામના રહેવાસી ભાર્ગવ કુમાર ડાભીએ જણાવ્યું હતું કે તેમની આસપાસમાં મુસ્લિમોના મકાનો છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના આગલા દિવસે કેટલાક મુસ્લિમો તેમની અગાશી પર પતંગ ચગાવી રહ્યા હતા.

ભાર્ગવે આરોપ લગાવ્યો છે કે તેઓ તેમના પરિવારની મહિલાઓની હાજરીમાં અત્યંત અભદ્ર અને ગાળોવાળી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે પરિવારે ગાળાગાળી ન કરવા માટે વિનંતી કરી ત્યારે મુસ્લિમો ઉશ્કેરાઈ ગયા હતા અને ભાર્ગવને ચપ્પુ મારી દીધું હતું, જેના કારણે તેમને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

ન્યાય અને કડક પોલીસ કાર્યવાહીની માંગ

આ ઘટના બાદ નડિયાદ જિલ્લાના બજરંગ દળના સહસંયોજક રોનકસિંહ પરમારનું કહેવું છે કે આ આખો હુમલો પ્રિપ્લાન્ડ હતો. સાથે ઉમેર્યું કે સંગઠન સતત હિંદુ પરિવારની પડખે રહ્યું છે અને આગામી સમયમાં પણ તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

પીડિત પરિવારોએ પોલીસ પ્રશાસન પાસે ‘કડકમાં કડક’ પગલાં લેવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે આવા ગુનેગારોની ગામની વચ્ચે ‘જાહેરમાં પરેડ’ કાઢવામાં આવે અને તેમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે, જેથી ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થાય અને ભયભીત બનેલા હિંદુ સમુદાયમાં ફરી સુરક્ષાની ભાવના પાછી આવી શકે. સ્થાનિકોનું કહેવું છે કે જો અત્યારે કડક પગલાં નહીં લેવાય તો તેમણે કાયમી ધોરણે પોતાના જ ગામમાંથી પલાયન થવું પડશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં