‘ક્યાં અભિષેક બેનર્જી પાર્ટીમાં રહેશે ક્યાં હું રહીશ’: હવે કલ્યાણ બેનર્જીએ તલવારો તાણી, મમતા બેનર્જીને આપ્યું અલ્ટીમેટમ

કલ્યાણ બેનર્જી (ફોટો- HT)

બંગાળમાં સત્તા ગુમાવી ચૂકેલી તૃણમૂલ કૉંગ્રેસમાંથી સાગમટે નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. જોકે અમુક નેતાઓ જેઓ મમતા બેનર્જીના અત્યંત નજીકના અને વર્ષોના સાથીદારો માનવામાં આવે છે તેઓ પાર્ટી અને મમતા સાથે હતા પણ હવે આ ટોળકીમાંથી પણ એક પછી એક વિકેટ પડવાની શરૂ થઈ છે. તાજેતરમાં ટીએમસીના વરિષ્ઠ નેતા, સાંસદ અને મમતા બેનર્જીના વિશ્વાસુ પૈકીના એક કલ્યાણ બેનર્જીએ અભિષેક બેનર્જી સામે મોરચો માંડી દીધો છે અને કહ્યું છે કે મમતાએ નક્કી કરવું પડશે કે તેઓ અભિષેક બેનર્જીને રાખશે કે મને!

ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં કલ્યાણ બેનર્જીએ કહ્યું, “હું મમતા બેનર્જીની સાથે છું, પણ મમતા દીદીએ મારા અને અભિષેક બેનર્જી વચ્ચે પસંદગી કરવી પડશે. પહેલાં મમતા બેનર્જીએ નિર્ણય કરવો પડશે. જો મમતા બેનર્જી નક્કી કરે કે પાર્ટી અભિષેક બેનર્જી વગર આગળ વધી શકે તેમ નથી તો હું પાર્ટીમાં નહીં હોઉં.”

પત્રકારો સાથે વાતચીત દરમ્યાન કલ્યાણ બેનર્જીએ કારણ જણાવતાં કહ્યું કે તેઓ અભિષેક બેનર્જીના કેસોમાં વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેતા હતા. તાજેતરમાં પણ પણ સિગ્નેચર સ્કેમ કેસમાં તેમણે અભિષેક વતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની ઉપર આજે સુનાવણી થવાની હતી. પરંતુ આગલા દિવસે તેમને કહેવામાં આવ્યું કે અન્ય એક વકીલ દ્વારા બીજી એક અરજી દાખલ કરવામાં આવી છે.

કલ્યાણ બેનર્જીએ કહ્યું, “અભિષેક બેનર્જીએ મને પૂછ્યા વગર આ કામ કર્યું. તેમણે મારા વગર કામ કરવું હતું તો મને જાણ કરવાની હતી. પરંતુ મને જાણ કરવામાં ન આવી અને આજે સવારે મને જાણવા મળ્યું કે મારે કેસમાં હાજર નથી થવાનું. હું હાજર નથી રહ્યો અને હવે અભિષેક બેનર્જીના કોઈ કેસમાં કામ નહીં કરું.”

આગળ ઉમેર્યું, “મને આ વ્યવહાર પસંદ નથી. આ વ્યવસાયમાં મેં 45 વર્ષ કાઢ્યાં છે. અભિષેક મારું અપમાન કઈ રીતે કરી શકે? હું રાજકારણમાં પણ ઘણો સિનિયર છું. તેમણે સમજવું પડશે કે તેમના કારણે જ આજે પાર્ટીની આ હાલત થઈ છે. પાર્ટી સંકટમાં મુકાઈ તેનું કારણ અભિષેક બેનર્જી છે. જો મમતા બેનર્જી ઇચ્છતાં હોય કે અભિષેક પાર્ટીમાં રહે તો પછી હું નહીં રહી શકું. તેમણે પાર્ટી ખતમ કરી નાખી છે.”

કલ્યાણ બેનર્જી અત્યાર સુધી મમતા બેનર્જીના સમર્થનમાં બોલી રહ્યા હતા અને પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂકેલાં કાકોલી ઘોષની આગેવાનીમાં બળવો કરનાર પાર્ટી સાંસદો સામે પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી. પરંતુ હવે તેમણે જાહેરમાં કહી દીધું છે કે પોતે અભિષેક બેનર્જી સાથે કામ કરવા માગતા નથી.

કલ્યાણ બેનર્જી વ્યવસાયે વકીલ પણ છે. તાજેતરમાં જ તેમણે અભિષેક બેનર્જીના કલકત્તા હાઇકોર્ટના કેસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

આ પહેલાં ટીએમસીના નેતાઓ સુખેન્દુ શેખર રૉય, સુષ્મિતા દેવ વગેરે રાજીનામાં ધરી ચૂક્યા છે. લોકસભાના કુલ 28માંથી 20 સાંસદો બળવો કરીને NDAને સમર્થન આપવાનું જાહેર કરી ચૂક્યા છે, જેમાં સાયોની ઘોષ અને શત્રુઘ્ન સિન્હા વગેરેનો પણ સમાવેશ થાય છે. આ જૂથમાં કલ્યાણ બેનર્જીનો સમાવેશ ક્યારે થાય એ હવે સમય કહેશે.