રાત્રે ફરી ધીંગાણે ચડ્યા કોકરોચો, સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો: ACP સહિતના દિલ્હી પોલીસના અધિકારીઓને ઈજા

રાજધાની દિલ્હીમાં ચાલી રહેલું કોકરોચોનું પ્રદર્શન સતત હિંસક બની રહ્યું છે. બુધવારે 22 જુલાઈની સાંજે સેન્ટ્રલ દિલ્હીના કનોટ પ્લેસ અને જંતર-મંતર વિસ્તારમાં ફરીથી હિંસા ફાટી નીકળી હતી. વિરોધ કરી રહેલા ઉપદ્રવીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો અને કાચની બોટલો ફેંકી હતી, જેના કારણે થોડી ક્ષણો માટે વાતાવરણ ભારે તંગ થઈ ગયું હતું. જોકે પછીથી સુરક્ષાબળોએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો, પણ આ હુમલામાં અમુક કર્મીઓને ઈજા પણ પહોંચી હતી.

આ હિંસક ઘટનાઓમાં દિલ્હી પોલીસના બે આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ગંભીર રીતે ઘાયલ થયા છે. કનોટ પ્લેસના ACP વિવેક ભગત અને પંજાબી બાગના ACP જયપ્રકાશને ઈજા પહોંચતાં તાત્કાલિક રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ACP જયપ્રકાશને કપાળના ભાગે પથ્થર વાગવાથી નાનું ફ્રેક્ચર થયું છે, જ્યારે ACP વિવેક ભગતને માથા અને શરીર પર ઈજાઓ પહોંચી છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલાં દૃશ્યોમાં ભીડ રસ્તા પર ઉતરીને ઉત્પાત મચાવતી અને પોલીસ અને સુરક્ષાકર્મીઓ પર હુમલો કરતી જોવા મળે છે. આવાં જ દૃશ્યો બે દિવસ પહેલાં પણ સામે આવ્યાં હતાં, જ્યાં આંદોલનના નામે પોલીસકર્મીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ સંસદ માર્ગ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને બેરિકેડ્સ મૂકીને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓ અને 60થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. આ ઉપરાંત, 15થી 20 સરકારી અને પોલીસ વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. સુરક્ષાના કારણોસર વિસ્તારમાં ઇન્ટરનેટ જામર પણ સક્રિય કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં રાયોટિંગ, નુકસાન પહોંચાડવું અને પોલીસ પર હુમલો કરવા જેવી વિવિધ ગંભીર કલમો હેઠળ દિલ્હીના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 10 FIR નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં 4, કનોટ પ્લેસમાં 3 અને મંદિર માર્ગ, બારાખંભા તથા કર્તવ્ય પથ પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર હિંસામાં સામેલ આરોપીઓની ઓળખ કરવા માટે દિલ્હી પોલીસ AI-સંચાલિત CCTV કેમેરા અને ડ્રોન ફૂટેજની મદદ લઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે વિડીયોના આધારે પથ્થરમારો કરનારાઓને ટૂંક સમયમાં જ ઝડપી પાડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.