ભ્રષ્ટાચારના આરોપી પીએમ-સીએમ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ ધરાવતાં ત્રણેય બિલ લોકસભામાં રજૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) 20 ઑગસ્ટ લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં, જેમાં બંધારણ (130મો સુધારો) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025નો સમાવેશ થાય છે. વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં.

વિપક્ષે આ ત્રણેય બિલની નકલો ફાડીને અમિત શાહ તરફ ફેંકી હતી જેના કારણે બપોરે 3 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. અસદુદ્દીન ઔવેસી સહિતના નેતાઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.

ત્રણેય બિલ વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા મંત્રીને જો ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ બાદ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવાનો છે.

જો તેમાંથી કોઈની પણ ધરપકડ કરવામાં આવે અને ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલની સજા થઈ શકે તેવા ગુનાઓ માટે સતત 30 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો મંત્રીઓ 31મા દિવસે તેમની સત્તા ગુમાવશે.