Friday, May 17, 2024
More
    હોમપેજઇન્ડોલોજીનિર્માણાધીન રામ મંદિરમાં કેમ કરવામાં આવી રહી છે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા?... તિથિ 22...

    નિર્માણાધીન રામ મંદિરમાં કેમ કરવામાં આવી રહી છે પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા?… તિથિ 22 જાન્યુઆરી જ કેમ?…: આ રહ્યા સનાતન શાસ્ત્રસંમત જવાબ

    22 જાન્યુઆરી 2024ની તિથિ પર પ્રાણપ્રતિષ્ઠા યોગ્ય ગણાવતા ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે, "મંદિરના દ્વાર લાગી ગયા છે. ગર્ભગૃહ પૂર્ણરૂપે શિલાઓ દ્વારા ઢાંકી દેવામાં આવ્યો છે. એટલે તેમાં રામ-પ્રતિષ્ઠા કરવામાં કોઈ દોષ નથી."

    - Advertisement -

    અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાનો અભિષેક થવા જઈ રહ્યો છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના શુભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દેશના પ્રસિદ્ધ સાધુ-સંતો રામ મંદિર અભિષેકના આ શુભ કાર્યને વૈદિક વિધિ સાથે પૂર્ણ કરશે. આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે દેશના અનેક મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, અભિષેકની તિથિને લઈને સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ સવાલો ઉભા થઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના દિવસે જ પ્રાણપ્રતિષ્ઠા શા માટે કરવામાં આવી રહી છે, તેનો જવાબ ‘પ્રદીપ કર્મકાંડ’માં છે.

    દેશમાં કેટલાક એવા લોકો પણ છે જે, સવાલ ઉઠાવી રહ્યા છે કે, 22 જાન્યુઆરી 2024 રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે પર્યાપ્ત મુહૂર્ત નથી. તેમ છતાં તે જ દિવસે મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. વળી કેટલાક લોકો એવા પણ છે કે જે દાવો કરી રહ્યા છે કે, મંદિરનું કાર્ય હમણાં અધૂરું છે એટલે અધૂરા કે અપૂર્ણ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્ર સંમત નથી. આ સવાલો ઉઠાવવામાં કેટલાક સાધુ-સંતો પણ છે.

    વાસ્તવમાં, 22 જાન્યુઆરી 2024ના રોજ પોષ શુક્લ બારશ અને સોમવારના રોજ મેષ લગ્નમાં વૃશ્ચિક નવાંશના અભિજિત મુહૂર્તમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ તિથિ વારાણસીના રહેવાસી ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજીએ નક્કી કરી છે. મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના રહેવાસી બબન લક્ષમણરાવ મસ્કેએ આ જ સવાલો ગણેશ્વર શાસ્ત્રીની સમક્ષ ઉઠાવ્યા છે. આ સવાલોના તેમણે ઉત્તર પણ આપ્યાં છે.

    - Advertisement -

    નિર્માણાધીન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રસંમત છે કે નહીં?

    રામ મંદિર કે અન્ય કોઈપણ મંદિરના શિખરનું કાર્ય પૂર્ણ થયા વિના અધૂરા મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા કેટલી શાસ્ત્ર સંમત છે, તેને લઈને ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજીએ ઉત્તર આપ્યો છે. ગણેશ્વર શાસ્ત્રીનું કહેવું છે કે, દેવ મંદિર તથા દેવની પ્રતિષ્ઠા બે પ્રકારે કરવામાં આવે છે. પહેલી- સંપૂર્ણ મંદિરનું નિર્માણ થયા બાદ અને બીજી, મંદિરમાં કોઈ કાર્ય શેષ રહ્યું હોય ત્યારે. આ બંને રીતે દેવાલયનો વિગ્રહ કરવામાં આવે છે.

    ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડજીનું કહેવું છે કે, “જ્યાં સંપૂર્ણ મંદિર બની ગયા પછી દેવ-પ્રતિષ્ઠા થાય છે, ત્યાં ગર્ભગૃહમાં દેવ-પ્રતિષ્ઠા થવા પર મંદિરની ઉપર કળશ-પ્રતિષ્ઠા સન્યાસી દ્વારા કરવામાં આવે છે. કળશ-પ્રતિષ્ઠા ગૃહસ્થ દ્વારા થઈ શકતી નથી. ગૃહસ્થ દ્વારા કળશ-પ્રતિષ્ઠા થવા પર વંશક્ષય (વંશનો નાશ) થાય છે. મંદિરના પૂર્ણ નિર્માણ પછી દેવ-પ્રતિષ્ઠાની સાથે મંદિરની ઉપર કળશ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જ્યાં મંદિરનું પૂર્ણ નિર્માણ નથી થયું ત્યાં દેવ-પ્રતિષ્ઠા બાદ મંદિરનું નિર્માણ થયા પછી કોઈ શુભ દિવસે અને ઉત્તમ મુહૂર્તે મંદિરની ઉપર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.”

    વૈદિક શાસ્ત્રોના જ્ઞાતા અણ્ણાશાસ્ત્રી વારે દ્વારા નિર્મિત ‘કર્મકાંડ પ્રદીપ’ ગ્રંથના 338માં પત્રનો ઉલ્લેખ કરતાં ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે, ‘इति व्रतोद्यापन-वद्द्व्यहःसाध्यः सर्वदेवप्रतिष्ठाप्रयोगः समाप्तः’ પછી અને ‘अथ कलशारोपणविधिः’ से आरम्भ कर ‘इति प्रतिष्ठासारदीपिकोक्त: कलशारोपणविधिः’ સુધી સ્વતંત્ર રીતે કળશ આરોપણ વિધિ આપવામાં આવી છે.

    તેઓ વધુમાં કહે છે કે, “પાંચરાત્રાગમમાં ઈશ્વર સંહિતાનું અગ્રિમ વચન પણ આ પ્રણાલીની વિરુદ્ધનું નથી. વચન આ પ્રમાણે છે: ‘‘प्रासादाङ्गेषु विप्रेन्द्राः! क्रमान्निगहितेषु च। देवताधारभूतेषु यद्यदऊंग् न कल्पितम् ॥ यत्र वा तत्तदधिकं तत्रापि च समाचरेत् । तत्तत्स्थाने तु बुद्ध्या तु देवतान्यासमूहतः ॥” (ईश्वरसंहिता अध्याय 3 श्लोक 165-166 पृष्ठ 32)।”

    બૃહન્નારદીયપુરાણનો હવાલો આપીને શાસ્ત્રીજી કહે છે કે, ““अकृत्वा वास्तुपूजां यः प्रविशेन्नवमन्दिरम् । रोगान् नानाविधान् केशानश्नुते सर्वसङ्कटम् ॥ अकपाटमनाच्छन्नमदत्तबलिभोजनम् । गृहं न प्रविशेदेवं विपदामाकरं हि तत्॥” (बृहन्नारदीय पुराण, पूर्वखण्ड, अध्याय 56 श्लोक 618-619, पत्र 116)।”

    આ શ્લોકનો અર્થ જણાવતા તેઓ વધુમાં કહે છે કે, “શ્લોક અનુસાર મંદિરમાં દ્વાર (કપાટ-કિવાર) જ્યાં સુધી ના બને તથા મંદિર પર જ્યાં સુધી આવરણ ના રહે અર્થાત મંદિર જ્યાં સુધી ઢાંકવામાં નથી આવતું અને ત્યાં વાસ્તુશાંતિ જ્યાં સુધી નથી થતી તથા તેમાં દેવતાઓને યથાયોગ્ય માષભક્ત બલિ અને પાયસબલિ આપવામાં નથી આવતી તથા વાસ્તુશાંતિના ભાગરૂપે બ્રાહ્મણભોજન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી દેવ-પ્રતિષ્ઠા થઈ શકે નહીં.”

    ગણેશ્વર શાસ્ત્રી વધુમાં કહે છે કે, “લોક વ્યવહારમાં એક માળ (ભવન) બન્યા પછી પણ વાસ્તુશાંતિ કરીને લોકો ગૃહપ્રવેશ કરે છે. જે બાદ ગૃહનો ઉપરનો માળ બને છે. એટલે પૂર્ણ ભવન બન્યા પછી જ વાસ્તુપ્રવેશ થશે એવું ના કહી શકાય. દેવમંદિર દેવગૃહ છે, એટલે જ તેમાં ઉપરોક્ત નિયમ લાગુ પડે છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં વાસ્તુશાંતિ, પ્રસ્તુત બલિદાન અને બ્રાહ્મણભોજન કરવામાં આવશે.”

    22 જાન્યુઆરી 2024ની તિથિ પર પ્રાણપ્રતિષ્ઠા યોગ્ય ગણાવતા ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે, “મંદિરના દ્વાર લાગી ગયા છે. ગર્ભગૃહ પૂર્ણરૂપે શિલાઓ દ્વારા ઢાંકી દેવામાં આવ્યો છે. એટલે તેમાં રામ-પ્રતિષ્ઠા કરવામાં કોઈ દોષ નથી. મંદિરનું કામ પૂર્ણ થયા બાદ કર્મકાંડ પ્રદીપમાં વર્ણીત પ્રતિષ્ઠાસાર દીપિકોક્ત કલશારોપણવિધિ અનુસાર કલશારોપણ થશે.”

    22 જાન્યુઆરી જ કેમ?

    હવે તેમાં જ બીજો સવાલ એ ઊભો કરવામાં આવ્યો છે કે, ’22 જાન્યુઆરી 2024ને છોડીને અન્ય કોઈ મુહૂર્ત કેમ લેવામાં ના આવ્યા.’ આ સવાલનો ઉત્તર પણ ગણેશ્વર શાસ્ત્રીએ શાસ્ત્રને સાથે રાખીને આપ્યો છે. તેમનું કહેવું છે કે, 22 જાન્યુઆરી 2024 પોષ શુક્લ દ્વાદશી સોમવાર મૃગશીર્ષ નક્ષત્રના દિવસે ખૂબ જ ઉત્તમ મુહૂર્ત છે. એટલા માટે તે તિથિ પસંદ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, 22 જાન્યુઆરી 2024ના પહેલાં વિજયાદશમીના દિવસે ગુણ-વત્તર લગ્ન જોવા મળતું નથી. ગુરુ વક્ર સ્વરૂપમાં હોવાથી દુર્બળ છે.

    ગણેશ્વર શાસ્ત્રીએ કહ્યું કે, “બલિ પ્રતિપદા પર મંગળવાર છે. આ વાર ગૃહપ્રવેશમાં નિષેધ છે. અનુરાધા નક્ષત્રમાં ઘટચક્રનું શુદ્ધિકરણ નથી. અગ્નિબાણ પણ છે. અગ્નિબાણમાં મંદિરમાં મૂર્તિ-પ્રતિષ્ઠા થવા પર આગ લાગીને હાનિ થઈ શકે છે. 25 જાન્યુઆરી 2024એ પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે મૃત્યુબાણ છે. મૃત્યુબાણ પર પ્રતિષ્ઠા થવા પર લોકોની મૃત્યુ થઈ શકે છે. માઘ-ફાગણમાં ક્યાંક બાણ શુદ્ધિ નથી મળતી તો ક્યાંક પક્ષ શુદ્ધિ નથી મળતી અથવા તો ક્યાંક તિથિ વગેરેની શુદ્ધિ નથી મળતી. ભાષ શુક્લ આદિમાં ગુરુ કર્કાશ (ઉચ્ચાંશ)નો નથી.”

    આગળની તિથિ વિશે જણાવતા તેઓ કહે છે કે, “14 માર્ચ 2024થી ખરમાસ છે. અર્થાત મીનાર્ક (ગુજરાતીમાં મિનારક) છે. મિનારકમાં ઉત્તર ભારતમાં પ્રતિષ્ઠા વગેરે જેવા શુભ કાર્ય નથી થતાં. 9 એપ્રિલ 2024એ વર્ષારંભ દિવસ છે. તેમાં મંગળવારે વૈધૃતિ અને ક્ષીણચંદ્ર દોષ છે. રામનવમી 17 એપ્રિલ 2024એ મેષ લગ્ન પાપાક્રાંત છે. તથા તેને લેવા પર દ્વાદશમાં બુધ, શુક્ર જાય છે. જો વૃષભ લાગણ લેવામાં આવે તો ગુરુ અને ચતુર્થેશ સૂર્યમાં જાય છે. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર છે.”

    ભાવિ તારીખોનો ઉલ્લેખ કરતા, વૈદિક શાસ્ત્રોના નિષ્ણાત ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે, “24 એપ્રિલ વિયશકઃ કૃષ્ણ પ્રતિપદા પર મૃત્યુબાણ છે. 28 એપ્રિલે શુક્રનો વાર્ધક્યારંભ છે. 5 મેના રોજ ગુરુનો વાર્ધક્યારંભ છે. 7 જુલાઈ 2024 રથયાત્રાના દિવસે રવિવાર છે. 17 જુલાઈથી ચાતુર્માસ છે. 12 ઓકટોબર 2024 વિજયાદશમીના રોજ શનિવાર છે. ગુરુ વક્રી છે. 3 ફેબ્રુઆરી સુધી ગુરુ વક્રી હોવાથી મુહૂર્તમાં ગુરુનું બળ નથી. માઘ શુક્લ દશમી શુક્રવારે શુદ્ધ અને બળવત્તર લગ્ન નથી મળી રહ્યા.”

    તે જ રીતે આગળની તિથિઓનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, “માઘ શુક્લ ત્રયોદશી સોમાવર 10 ફેબ્રુઆરી 2025ના રોજ અગ્નિબાણ છે. પુનર્વસુ નક્ષત્ર પાપાક્રાંત છે. આગળ ક્યાંય પણ ચંદ્રશુદ્ધિ નથી. ક્યાંય પક્ષની શુદ્ધિ નથી. ફાલ્ગુન પૂર્ણિમા 14 માર્ચના રોજ ખરમાસારંભ 30 માર્ચ 2025એ વર્ષારંભના દિવસે રવિવાર છે. રામ નવમીના દિવસે પણ રવિવાર છે.”

    માર્ચ 2025 પછીની તિથિ વિશે જણાવતા ગણેશ્વર શાસ્ત્રી કહે છે કે, “આગળ ક્યાંક યતિપાત છે, ક્યાંક વૈધૃતિ છે, ક્યાંક અશુદ્ધિ છે. ગુરુ શત્રુરાશિમાં હોવાથી મુહૂર્તમાં ગુરુબાણની ખોટ પડે છે. 2 જૂન, 2026ના રોજ ગુરુ કર્કમાં જશે. તે સમયે વધારે જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ રહેશે. 16 જૂન 2026થી શુદ્ધ જ્યેષ્ઠ શુક્લ પ્રારંભ થશે. પરંતુ પૂર્ણ લગ્ન શુદ્ધિ નથી મળતી.”

    ગણેશ્વર શાસ્ત્રીનું કહેવું છે કે, ત્યાં સુધી પ્રતિક્ષા કરીને શુભ મુહૂર્ત શોધીને કોણ ચાલતું રહેશે? આ બધી વાતોનો વિચાર કરીને 22 જાન્યુઆરી 2024ના રોજ રામ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, પહેલાં જેમતેમ જે મુહૂર્ત આપવામાં આવ્યા હતા તેમાં કઈકને કઈક ખોટ હતી, તેના કારણે મંદિરો તૂટયા હતા.

    તેમણે કહ્યું, “અતઃ તમામ વાતોને ધ્યાને રાખીને 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આપવામાં આવ્યું હતું. તેમાં લગ્નસ્થ ગુરુની દ્રષ્ટિ પશ્ચમ, સપ્તમ અને નવમ પર હોવાથી મુહૂર્ત ઉત્તમ છે. મકરનો સૂર્ય થવાથી પોષમાસનો વર્જ્ય (દોષ) સમાપ્ત થઈ જાય છે. ભગવાનની કૃપાથી, ગુરુજનોના આશીર્વાદથી ઉપરોક્ત ઉત્તમ મુહૂર્ત મળ્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં