Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણ'નહેરુએ કહ્યું હતું- ભારત બાદમાં, પહેલાં ચીન': UNSCમાં સ્થાયી સદસ્યતા પર બોલ્યા...

    ‘નહેરુએ કહ્યું હતું- ભારત બાદમાં, પહેલાં ચીન’: UNSCમાં સ્થાયી સદસ્યતા પર બોલ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, કહ્યું- PoK અને ચીનનો કબજો ભૂતકાળની ભૂલો

    વિદેશ મંત્રીએ કહ્યું કે, "જ્યારે સંયુકત રાષ્ટ્ર (સુરક્ષા પરિષદ)ના કાયમી સભ્યપદના વિષય પર ચર્ચા થઈ હતી અને સભ્યપદ આપણને ઓફર કરવામાં આવ્યું હતું. ત્યારે નહેરુનું વલણ એવું હતું કે, અમે તેના હકદાર છીએ, પરંતુ પહેલાં તે ચીનને મળવું જોઈએ."

    - Advertisement -

    દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે PoK અને ચીનને લઈને જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ભારતીય ક્ષેત્રના ભાગો પર ચીનના કબજા જેવી સમસ્યાઓ માટે ભૂતકાળની ભૂલો જવાબદાર છે. આ સાથે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું વલણ પણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, નહેરુએ કહ્યું હતું કે, ભારત પછી, ચીન પહેલાં. એક કાર્યક્રમમાં એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

    મંગળવારે (2 એપ્રિલ, 2024) વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન અને PoKને લઈને જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું હતું. એસ. જયશંકર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે ભૂતકાળમાં નહેરુએ કરેલી ભૂલ વિશે નિવેદન આપ્યું હતું. UNSCમાં સ્થાયી સભ્યપદની ઓફર કરવામાં આવી તે સમયે ભારતના વલણનો ઉલ્લેખ કરતાં જયશંકરે દાવો કર્યો છે કે, “એક સમય એવો હતો, જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ કહ્યું હતું કે, ભારત પછી, ચીન પહેલાં.”

    કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું ભારતે PoK અને ચીન દ્વારા કબજે કરેલા ભારતીય પ્રદેશોની પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જોઈએ કે તેમને પરત મેળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. તે પ્રશ્નના જવાબમાં એસ. જયશંકરે આ નિવેદન આપ્યું હતું. તેમણે તાજેતરમાં જ કચ્ચાતીવુ ટાપુને લઈને પણ તત્કાલીન કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ હવે તેમણે નેહરુ પર પણ નિવેદન આપ્યું છે.

    - Advertisement -

    ‘સરદાર પટેલે નેહરુને કર્યા હતા સાવચેત’

    કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જયશંકરે કહ્યું કે, “1950માં (તત્કાલીન ગૃહમંત્રી) સરદાર પટેલે નહેરુને ચીન વિશે સાવચેત કર્યા હતા. પટેલે નહેરુને કહ્યું હતું કે, આજે પહેલીવાર આપણે બે મોરચે (પાકિસ્તાન અને ચીન) એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જેનો ભારતે પહેલાં ક્યારેય સામનો કર્યો નથી. પટેલે નહેરુને એમ પણ કહ્યું હતું કે, તેઓ ચીનની વાતો માનતા નથી. કારણ કે તેના ઈરાદા કઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે. આપણે સાવચેત રહેવું જોઈએ.”

    વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, “તે સમયે નહેરુએ પટેલને જવાબ આપ્યો હતો કે, તમે ચીન પર બિનજરૂરી શંકા કરો છો. નહેરુએ એમ પણ કહ્યું હતું કે, હિમાલયમાંથી કોઈ આપણાં પર હુમલો કરે તે અશક્ય છે. નહેરુ તેને (ચીનના જોખમને) સંપૂર્ણપણે ફગાવી રહ્યા હતા.” વિદેશ મંત્રીએ ઉમેર્યું કે, “આટલું જ નહીં, જ્યારે સંયુકત રાષ્ટ્ર (સુરક્ષા પરિષદ)ના કાયમી સભ્યપદના વિષય પર ચર્ચા થઈ હતી અને સભ્યપદ આપણને ઓફર કરવામાં આવ્યું હતું. ત્યારે નહેરુનું વલણ એવું હતું કે, અમે તેના હકદાર છીએ, પરંતુ પહેલાં તે ચીનને મળવું જોઈએ.”

    વિદેશ મંત્રી એસ. જયશંકરે વધુમાં કહ્યું કે, “આપણે આજે ‘ભારત પ્રથમ’ની નીતિ પર ચાલીએ છીએ. પરંતુ એક સમય એવો હતો જ્યારે નહેરુ કહેતા હતા કે, ભારત પછી, ચીન પહેલાં.” આ ઉપરાંત જયશંકરે એવું પણ કહ્યું કે, સરદાર પટેલ કાશ્મીરના મુદ્દાને સંયુકત રાષ્ટ્રમાં લઈ જવાના પક્ષમાં નહોતા, કારણ કે તેઓ ત્યાંનાં ન્યાયાધીશના વિચારોને જાણતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં