Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશમોહરમ પર મઝહબી ઉન્માદ: દિલ્હી, યુપી, બિહાર… દેશમાં અનેક ઠેકાણે હિંસા, પોલીસ...

    મોહરમ પર મઝહબી ઉન્માદ: દિલ્હી, યુપી, બિહાર… દેશમાં અનેક ઠેકાણે હિંસા, પોલીસ પર પથ્થરમારો, મંદિરને નિશાન બનાવાયું

    કૈમૂરમાં મંદિરમાં કરવામાં આવેલી તોડફોડના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકો મંદિરને નિશાન બનાવતા જોવા મળે છે.

    - Advertisement -

    શનિવારે (29 જુલાઈ, 2023) મોહરમના દિવસે દેશમાં અનેક ઠેકાણે હિંસા થઇ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં મુસ્લિમ સમુદાયનાં બે જૂથ શિયા અને સુન્ની વચ્ચે બબાલ થતાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી. યુપીના જ પીલીભીતમાં તાજિયા લઈને જતા ટોળાએ કાવડયાત્રીઓ અને પોલીસ પર પથ્થરમારો કર્યો. બિહારના કૈમૂરમાં મંદિર પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે. દિલ્હીમાં પણ પથ્થરમારાની ઘટના બની. જે-તે રાજ્યની પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. 

    દિલ્હીમાં પોલીસે નક્કી રૂટ પરથી ફંટાવાની ના પાડતાં હુમલો

    દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે મોહરમના જુલુસમાં અચાનક હોબાળો મચી ગયો અને ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં પથ્થરમારો થયો તેમજ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. જુલૂસમાં સામેલ લોકોએ પોલીસ પર પણ પથ્થર ફેંક્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના સૂરજમલ સ્ટેડિયમ પાસે બની જ્યારે મુસ્લિમ યુવકો અગાઉથી નક્કી થયેલા રૂટ પરથી ફંટાઈને તાજિયા સ્ટેડિયમમાં લઇ જવા માગતા હતા, જેમ કરવાની પોલીસે ના પાડી હતી. ત્યારબાદ તેમણે પોલીસ પર હુમલો કરી દીધો. આ દરમિયાન ત્યાંથી પસાર થતી બસ પર પણ હુમલો કરવામાં આવ્યો. 

    આ મામલે દિલ્હી પોલીસે 3 FIR દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. FIRમાં જણાવવામાં આવ્યું કે, તાજિયાના જુલૂસમાં સામેલ લોકોમાંથી અમુકના હાથમાં તલવાર, ચાકુ, લોખંડના સળિયા અને દંડા વગેરે હથિયારો પણ હતાં. પોલીસે ના પાડતાં ટોળાએ હુમલો કરી દીધો હતો. ટોળામાં સામેલ એક ઇસ્મે SI પર ચાકુ વડે હુમલો પણ કરી દીધો હતો.

    - Advertisement -

    યુપીના પીલીભીતમાં જુલૂસમાં સામેલ લોકો અને કાવડયાત્રીઓ વચ્ચે ધમાલ

    મોહરમના દિવસે ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પણ હિંસા થઇ. જાણવા મળ્યા અનુસાર, તાજિયા લઇ જતા જુલુસની બાજુમાંથી કાવડ યાત્રીઓ DJ પર ધાર્મિક ગીતો વગાડતા જતા હતા. જેને લઈને ધમાલ થઇ. મુસ્લિમ સમુદાયે DJ બંધ કરવા કહ્યું, પરંતુ કાવડયાત્રીઓએ ના પાડી દીધી. ત્યારબાદ બંને પક્ષે માથાકૂટ થઇ અને પથ્થરમારો પણ થયો. આ દરમિયાન પોલીસ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાંચેક કલાક માહોલ તણાવભર્યો રહ્યા બાદ વધારાનું પોલીસબળ તહેનાત કરીને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. 

    બિહારના કૈમૂરમાં પણ હિંસા

    બીજો એક મામલો બિહારના કૈમૂર જિલ્લાનો છે. અહીં મોહરમના જુલૂસમાં સામેલ ટોળાએ એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું હોવાનો આરોપ છે. રિપોર્ટ્સ અનુસાર, અહીં તાજિયાના જુલુસ દરમિયાન બે પક્ષ સામસામે આવી ગયા અને પહેલાં નારાબાજી થઇ અને પછી લાઠી-દંડા વડે હુમલા શરૂ થઇ ગયા. દરમિયાન, ટોળામાં સામેલ કટ્ટરપંથી મુસ્લિમોએ હિંદુ મંદિર પર પથ્થર ફેંક્યા તો પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જોકે, પોલીસે બળપ્રયોગ વડે ટોળું વિખેરી નાખ્યું હતું. 

    મંદિરમાં કરવામાં આવેલી તોડફોડના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકો મંદિરને નિશાન બનાવતા જોવા મળે છે. સ્થાનિકોએ જણાવ્યું કે, ક્યારેય પણ મોહરમનું જુલુસ આ વિસ્તારમાં આવતું નથી, જ્યાં મંદિર છે. તાજિયા કાઢતા લોકોએ મંદિરને નુકસાન પહોંચાડ્યું. 

    વારાણસીમાં પણ શિયા અને સુન્ની સમુદાય વચ્ચે તાજિયાના જુલુસ દરમિયાન ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ વાહનો સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. જોકે પછીથી પોલીસે પહોંચીને સ્થિતિ કાબૂમાં મેળવી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં