Sunday, May 5, 2024
More
    હોમપેજદેશ‘ધરપકડ બાદ CM પદ સંભાળવાનો અધિકાર નહીં’: કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની...

    ‘ધરપકડ બાદ CM પદ સંભાળવાનો અધિકાર નહીં’: કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ સાથે હાઇકોર્ટમાં ત્રીજી અરજી, AAPના જ પૂર્વ ધારાસભ્યે કરી માંગ

    અરજીમાં કહેવાયું છે કે, દિલ્હીમાં રદ થયેલી લિકર પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કર્યા બાદ તેઓ (અરવિંદ કેજરીવાલ) મુખ્યમંત્રી પદ સંભાળવાનો અધિકાર ગુમાવી બેઠા છે.

    - Advertisement -

    દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સરકારની સમસ્યા સતત વધી રહી છે. જેમાં એક તરફ AAP જેલમાંથી સરકાર ચલાવી રહી છે. તો બીજી તરફ અનેક નેતાઓ તેના રાજીનામાંની માંગ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે આદમી પાર્ટીના જ (AAPના) પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડ બાદ મુખ્યમંત્રી પદેથી હટાવવાની વિનંતી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી છે.

    AAPના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે શનિવારે (6 એપ્રિલ) કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં રદ થયેલી લિકર પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કર્યા બાદ તેઓ (અરવિંદ કેજરીવાલ) મુખ્યમંત્રી પદ સંભાળવાનો અધિકાર ગુમાવી બેઠા છે. અરજીમાં વધુમાં કહેવાયું છે કે, “AAP નેતાની ‘અનુપલબ્ધતા’ બંધારણીય તંત્રને જટિલ બનાવે છે અને બંધારણના નિર્દેશો અનુસાર તેઓ જેલમાંથી મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી શકે નહીં.”

    અરજીમાં વધુમાં કહ્યું છે કે, “બંધારણની કલમ 239AA(4) મુખ્યમંત્રીની આગેવાની હેઠળની મંત્રી પરિષદની જોગવાઈ કરે છે. જે લેફટન્ટ ગવર્નરને કાર્યો કરવા માટે મદદ કરે છે અને સલાહ આપે છે. જેના સંબંધમાં વિધાનસભાને કાયદો બનાવવાની સત્તા મળે છે. લેફટન્ટ ગવર્નરને સહાય અને સલાહ વ્યવહારિક દ્રષ્ટિએ ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી મુખ્યમંત્રી તેમની સહાય અને સલાહ આપવા માટે બંધારણ હેઠળ ‘ઉપલબ્ધ’ અને ‘સ્વતંત્ર’ વ્યક્તિ ના હોય.”

    - Advertisement -

    અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે, “પ્રતિવાદી નંબર-1, એટલે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ અરજી પર આદેશ જારી કરવામાં આવે, જેમાં તે સ્થાપિત કરવાનું કહેવામાં આવે કે, તેઓ બંધારણની કલમ 239A હેઠળ કયા અધિકાર, યોગ્યતા અને પદના આધાર પર દિલ્હીના મુખ્યમંત્રીનું પદ સંભાળી રહ્યા છે. જે બાદ તપાસ કરીને તેમને પૂર્વવ્યાપી પ્રભાવથી અથવા તેના વગર દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવે.”

    નોંધનીય છે કે, 21 માર્ચ, 2024ના રોજ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી અને હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. હાઈકોર્ટે અગાઉ કેજરીવાલને મુખ્યમંત્રી પદથી હટાવવાની વિનંતી કરતી બે PIL ફગાવી દીધી હતી. જે બાદ હવે આ ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે. સોમવારે (8 એપ્રિલ) આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં