Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતમંદિરમાં લાઉડસ્પીકર પર ચાલતી હતી હનુમાન ચાલીસા, મુસ્લિમ ટોળાએ પહોંચી જઈને વાંધો...

    મંદિરમાં લાઉડસ્પીકર પર ચાલતી હતી હનુમાન ચાલીસા, મુસ્લિમ ટોળાએ પહોંચી જઈને વાંધો ઉઠાવતાં ધમાલ: પથ્થર ફેંકાયા, મંદિરમાં પણ તોડફોડ- વડોદરાની ઘટના 

    બુધવારે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં આજવા રોડના એકતાનગરમાં આવેલ હનુમાનજીના મંદિરે નિત્યક્રમ અનુસાર લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વાગી રહી હતી. દરમ્યાન ત્યાં મુસ્લિમોનું એક ટોળું વિરોધ કરતું પહોંચી ગયું હતું. જ્યાં બંને પક્ષે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

    - Advertisement -

    વડોદરાના આજવા રોડ સ્થિત એકતાનગરમાં બુધવારે (13 માર્ચ) રાત્રે હિંદુ-મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ હતી, જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અહીં હનુમાનજીના મંદિરમાં લાઉડસ્પીકર પર ચાલતી હનુમાન ચાલીસા સામે વાંધો ઉઠાવવા માટે મુસ્લિમ ટોળું પહોંચી ગયા બાદ વિખવાદ થયો હતો અને ત્યારબાદ ટોળાએ પથ્થરો પણ ફેંક્યા હતા. પરિસ્થિતિની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

    વિગતો અનુસાર, બુધવારે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં આજવા રોડના એકતાનગરમાં આવેલ હનુમાનજીના મંદિરે નિત્યક્રમ અનુસાર લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વાગી રહી હતી. દરમ્યાન ત્યાં મુસ્લિમોનું એક ટોળું વિરોધ કરતું પહોંચી ગયું હતું. જ્યાં બંને પક્ષે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો અને 25થી 30 માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ ટોળાએ હનુમાન ચાલીસા બંધ કરવા માટે બોલાચાલી કરી હતી, જ્યારે પોલીસનું કહેવું છે કે અવાજ ધીમો કરાવવા મુદ્દે ધમાલ થઈ હતી.

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં મંદિરે હરિશ સારણિયા અને દિપક સારણિયા નામના બે યુવાનો હાજર હતા. ત્યાં રાહિલ શેખ અને અન્ય મુસ્લિમ સમુદાયના લોકોએ આવીને માથાકૂટ શરૂ કરી હતી અને મારામારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પથ્થર પણ ફેંકવામાં આવ્યા. રિપોર્ટમાં જાણવા મળ્યા અનુસાર, મુસ્લિમ ટોળાએ મંદિરમાં જઈને તોડફોડ કરી હતી અને લાઉડસ્પીકર પણ તોડી નાખ્યું હતું. 

    - Advertisement -

    મારામારીમાં દીપક, હરેશ અને રાહિલને ઈજા પહોંચી હતી, જેમને પછીથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે પોલીસે વિસ્તારમાં કૉમ્બિંગ પણ હાથ ધર્યું હતું. 

    FIR દાખલ કરવામાં આવી, 3 આરોપીઓની ધરપકડ

    આ મામલે બાપોદ પોલીસ મથકે પાંચ મુસ્લિમ અને 2 હિંદુ વ્યક્તિઓ તેમજ બંને કોમના આશરે 25 માણસોના ટોળા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદી સ્વયં પોલીસ બની છે. આરોપીઓમાં રાહિલ શેખ, આસિફ શેખ, સેજાન અન્સારી, હુસૈન, લતીફ, દીપક અને હરીશ સરાણિયાનો સમાવેશ થાય છે. 

    ઘટનાને લઈને વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, “એકતાનગરહિંદુ-મુસ્લિમોની વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં માઇક વગાડવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેણે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે બાપોદ પોલીસ મથકે કાર્યવાહી ચાલી રહી છે. ત્રણ ઈજા પામનારા ઇસમો સારવાર હેઠળ છે, તેમને ગંભીર ઈજા પહોંચી નથી અને સ્થિતિ સુધારા પર છે. ઈજા પામનારાઓમાંથી 2 હિંદુ અને 1 મુસ્લિમ છે. હાલ વિસ્તારમાં શાંતિ છે.”

    તેમણે ઉમેર્યું હતું કે, “જુદી-જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, સાક્ષીઓ અને અન્ય પુરાવાઓના આધારે હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કાની તપાસને અંતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સામાન્ય જનજીવનને અસર કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કોઇ બાંધછોડ કરવામા આવશે નહીં.”

    તાજા અહેવાલો અનુસાર, આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં