Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને તૈયાર, 27 જુલાઈએ PM મોદી કરશે લોકાર્પણ: જાણીએ...

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને તૈયાર, 27 જુલાઈએ PM મોદી કરશે લોકાર્પણ: જાણીએ ગુજરાત માટે કેમ મહત્વનું, શું છે તેની વિશેષતાઓ

    આ એરપોર્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારોની આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી પૂરી પાડશે અને જેના કારણે ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને જેના કારણે રોજગારીની નવી તકો પણ સર્જાશે.

    - Advertisement -

    રાજકોટ નજીક આવેલા હિરાસર ખાતે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનીને તૈયાર થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈ, 2023ના રોજ આ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 

    વડાપ્રધાન મોદી આગામી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતની યાત્રાએ આવશે. જ્યાં 27મીએ ચોટિલા પાસેના હિરાસર ગામમાં 1405 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય પણ બે દિવસ તેમના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. 

    2017માં આ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. 7 ઓક્ટોબર, 2017ના રોજ PM મોદીએ હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું અને કામની શરૂઆત કરાવી હતી. સાડા પાંચ વર્ષને અંતે એરપોર્ટ બનીને તૈયાર થઇ ગયું છે. 

    - Advertisement -

    એરપોર્ટ ગુજરાત માટે કેમ મહત્વનું? 

    રાજકોટ શહેર નાના, પાયાના અને મોટા ઉદ્યોગોનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે. આ એરપોર્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારોની આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી પૂરી પાડશે અને જેના કારણે ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને જેના કારણે રોજગારીની નવી તકો પણ સર્જાશે. આ એરપોર્ટના કારણે રાજકોટમાં વ્યવસાયિક વિકાસની તકો પણ ખુલશે. વધુમાં તે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર સ્થિત હોવાના કારણે આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો માટે લોજિસ્ટિક સબંધિત સમય અને ખર્ચમાં પણ ઘટાડો થશે. 

    મોરબીના સીરામીક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે ઘણાખરા રાજકોટ પર નિર્ભર રહે છે. જેથી આ એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લિયરિંગ બિઝનેસ વગેરેને પણ પ્રોત્સાહન આપશે.

    શું છે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ?

    આ પરિસર કુલ 1025 હેક્ટર (2534 એકર)માં ફેલાયેલું છે, જેમાંથી 1500 એકરમાં એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. એરપોર્ટનો રન-વૅ 3.4 કિલોમીટર લાંબો અને 45 કિલોમીટર પહોળો છે. જ્યાં એકસાથે 14 વિમાનો પાર્ક થઇ શકશે. 50,800 ચોરસ મીટરમાં એપ્રન બેઝ બનાવવામાં આવ્યો છે, જ્યારે 23 હજાર ચોરસ મીટરનું પેસેન્જર ટર્મિનલ છે. જે પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરી શકશે. 

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રન-વૅ (તસ્વીર- માહિતી વિભાગ, ગુજરાત સરકાર)

    આ એરપોર્ટ પર એરબસ A-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવાં મોડા કદનાં વિમાનો પણ ઓપરેટ કરી શકાશે. ઉપરાંત, અહીં સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. અહીં પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ સિવાય એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત 524 એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ પણ  હશે.

    ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર્સનો (ભવિષ્યમાં બીજા 12 ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) સમાવેશ થાય છે. આ સાથે જ આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.

    આ એરપોર્ટની ગેલેરી પણ મુસાફરોનું ધ્યાન ખેંચશે. અહીં ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાની ઝલક આપવામાં આવી છે. જે રણજિત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યનાં લોકનૃત્યોની કળાથી સુશોભિત કરવામાં આવી છે. 

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદરની તસ્વીરો (સાભાર- માહિતી વિભાગ, ગુજરાત સરકાર)

    ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું?

    ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવાં એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. સામાન્યતઃ આ એરપોર્ટ્સ પડતર જમીન પર શહેરથી થોડાં દૂર બનાવવામાં આવે છે અને કોઈ પહેલેથી બનાવાયેલી ઇમારતમાં રિનોવેશન કરીને બનાવવામાં આવતાં નથી. 

    (પૂરક માહિતી- માહિતી ખાતું, ગુજરાત સરકાર)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં