Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાંધીધામ-અંજારમાં કેજરીવાલના રોડ શૉનો ફિયાસ્કો, લોકોની પાંખી હાજરી જોવા મળી: આચારસંહિતાનો ભંગ...

    ગાંધીધામ-અંજારમાં કેજરીવાલના રોડ શૉનો ફિયાસ્કો, લોકોની પાંખી હાજરી જોવા મળી: આચારસંહિતાનો ભંગ થતાં પાલિકાએ પાર્ટીના ઝંડા-બેનરો હટાવ્યા

    ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ હોવા છતાં પાર્ટીના ઝંડા બેનરો જોવા મળ્યા હતા, જેને નગરપાલિકાએ હટાવી લેવડાવ્યા હતા. 

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે તેની સાથે પાર્ટીઓએ પ્રચાર પણ તેજ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી વિધિવત પ્રચાર શરૂ કરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસે પણ સભાઓ કરવા માંડી છે. આમ આદમી પાર્ટી પણ પ્રયત્નો કરી રહી છે. જોકે, પાર્ટીને હજુ પણ જમીન પર ખાસ પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો નથી. શનિવારે પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે ગાંધીધામ અને અંજારમાં રોડ શૉ યોજ્યો હતો, જેમાં ખાસ માણસો આવ્યા ન હતા. 

    શનિવારે અરવિંદ કેજરીવાલે કચ્છના ગાંધીધામ અને અંજારમાં રોડ શૉ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, આ રોડ શૉમાં માંડ 200-500 લોકો આવ્યા હતા. તેમજ ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા લાગુ હોવા છતાં પાર્ટીના ઝંડા બેનરો જોવા મળ્યા હતા, જેને નગરપાલિકાએ હટાવી લેવડાવ્યા હતા. 

    શનિવારે કેજરીવાલના રોડ શૉ માટે બપોરે 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ કેજરીવાલ 4 વાગ્યે ગાંધીધામ પહોંચ્યા હતા. જ્યાં ઝંડાચોકથી સરદાર પટેલ પ્રતિમા સુધીનો 600 મીટર લાંબો રોડ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે, આ રોડ શૉને ધારેલો પ્રતિસાદ મળ્યો ન હતો અને પાંખી હાજરી જોવા મળી હતી. આ જ રીતે અંજારમાં પણ દેવળિયા નાકથી ગંગાનાકા સુધી રોડ શૉ કર્યો હતો. ત્યાં પણ લોકો ખાસ આવ્યા ન હતા. 

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલના રોડ શૉ પહેલાં આમ આદમી પાર્ટીએ શહેરમાં પાર્ટીના ઝંડા અને બેનરો લગાવી દીધાં હતાં. પરંતુ આદર્શ આચારસંહિતા અમલી હોવાના કારણે ગાંધીધામ નગરપાલિકાએ ઝંડા ઉતારી લેવડાવ્યા હતા. 

    રોડ શૉમાં અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતાં મફત વીજળી-પાણીના વાયદા કર્યા હતા અને શિક્ષણ અને આરોગ્યની વાતો કરી પાર્ટીને ગુજરાતમાં એક તક આપવાની અપીલ કરી હતી. અંજારની સભામાં પણ આ જ વાતો દોહરાવવામાં આવી હોવાનું અહેવાલો જણાવે છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં સક્રિયપણે પ્રચાર કરી રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ પાર્ટી છવાયેલી રહે છે. પરંતુ જમીની સ્તરે હજુ પણ એટલો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો નથી. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત અન્ય આમ આદમી પાર્ટીઓના નેતાઓના રોડ શૉ અને સભા ફ્લૉપ ગયાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં