Saturday, April 26, 2025
More
    હોમપેજદેશશું છે સિંધુ જળ સંધિ, જેની ઉપર ભારતે લગાવી દીધી રોક: પાકિસ્તાન...

    શું છે સિંધુ જળ સંધિ, જેની ઉપર ભારતે લગાવી દીધી રોક: પાકિસ્તાન માટે કેમ અગત્યની અને આ નિર્ણયની આતંકવાદી રાષ્ટ્ર પર હવે શું થઈ શકે અસરો– સમજો

    સિંધુ નદી પ્રણાલીનું પાણી પાકિસ્તાનના અર્થતંત્રના 25% માટે જવાબદાર છે અને 40%થી વધુ રોજગારી પણ તેના કારણે જ ઊભી થાય છે. પાકિસ્તાન પહેલાંથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત દ્વારા આ કરારને સસ્પેન્ડ કરવો તેના માટે મોટો ફટકો છે.

    - Advertisement -

    પહલગામમાં આતંકી હુમલો (Pahalgam terror attack) થયા બાદ ભારત (India) સતત એક્શનમાં છે. પાકિસ્તાન પ્રાયોજિત આ આતંકી હુમલા બાદ ભારતે અનેક રાજદ્વારી પગલાં લીધા છે. આ સાથે જ સૌથી મહત્વની એક કાર્યવાહી કરતા ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત (Indus Water Treaty suspended) કરવાનો નિર્ણય પણ લીધો છે. આ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) દ્વારા લેવામાં આવ્યો. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા, અટારી બોર્ડર બંધ કરવા અને પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

    પરંતુ, આ બધા નિર્ણયોમાં સૌથી મોટો ફટકો સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી પડ્યો છે. ઘણા સમયથી આવી માંગ કરવામાં આવતી હતી. 2016માં વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે, લોહી અને પાણી એકસાથે ન વહી શકે. સિંધુ જળ કરાર સ્થગિત થયા બાદ પાકિસ્તાન પણ રઘવાયું થયું છે અને પાયાવિહોણા નિવેદનો આપવા લાગ્યું છે. તમામ નિર્ણયોમાં સૌથી વધુ અસરકારક નિર્ણય સિંધુ જળ કરારને સ્થગિત કરવાનો છે. આપણે આ લેખમાં સિંધુ જળ સમજૂતી વિશે વિગતે માહિતી મેળવીશું.

    શું છે સિંધુ જળ સંધિ?

    સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સહી થયેલો કરાર છે, જેની મધ્યસ્થી વિશ્વ બેંકે કરી હતી. આ કરાર સિંધુ નદી અને તેની પાંચ સહાયક નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના પાણીની વહેંચણી અને ઉપયોગને નિયંત્રિત કરે છે. આ નદીઓનું પાણી બંને દેશોની ખેતી, વીજળી ઉત્પાદન અને પીવાના પાણીની જરૂરિયાતો માટે મહત્વનું છે. જોકે, આ કારરનો સૌથી વધુ લાભ તો પાકિસ્તાનને મળે છે. પાકિસ્તાન 80થી 90% પાણી મેળવે છે અને ભારતને માત્ર 10થી 20% પાણી મળે છે.

    - Advertisement -

    ભારત અને પાકિસ્તાન એક જ ભૂમિનો ભાગ છે. ભારતમાંથી ઘણી નદીઓ પાકિસ્તાનમાં વહે છે. સિંધુ નદી પ્રણાલીની નદીઓ પાકિસ્તાનનો સૌથી મોટો પાણીનો સ્ત્રોત છે. તેમના પાણીના વિતરણ અંગે થયેલા કરારને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ કરાર 1960માં થયો હતો. આ માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે લગભગ એક દાયકા સુધી વાટાઘાટો ચાલી હતી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન તાનાશાહ અયુબ ખાને તેને મંજૂરી આપી હતી.

    જળ કરાર મુજબ પૂર્વીય નદીઓના (બિયાસ, રાવી અને સતલજ) પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે. તેનો અર્થ એ કે, તે તેમાં વહેતા પાણીનો ભારત કોઈપણ રીતે ઉપયોગ કરી શકે છે. ભારત આ નદીઓ પર બંધ બનાવી શકે છે, તેમના પાણીના પ્રવાહને વાળી શકે છે, તેમાંથી નહેરો બનાવી શકે છે અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે.

    સિંધુ જળ સંધિના અનુચ્છેદ 2ની કલમ (1)માં જણાવાયું છે કે, “પૂર્વીય નદીઓનું સંપૂર્ણ પાણી ભારતના અમર્યાદિત ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે, સિવાય કે આ અનુચ્છેદમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય.” પાકિસ્તાનને પૂર્વીય નદીઓ સંબંધિત બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

    કલમ 2ના ખંડ (2)માં પણ આ માટે જોગવાઈ છે. તે કહે છે કે, “પાકિસ્તાન સતલજ અને રાવી નદીઓના પાણીને ઘરેલુ ઉપયોગ સિવાય મુક્તપણે વહેવા દેવા માટે બંધાયેલું રહેશે અને તે સ્થળોએ જ્યાં તે પાકિસ્તાનમાં વહે છે અને હજુ સુધી સંપૂર્ણપણે પાકિસ્તાનમાં પ્રવેશ્યું નથી ત્યાં તેમના પાણીમાં કોઈ દખલગીરી કરવાની મંજૂરી મળશે નહીં.”

    વાસ્તવમાં, આ નદીઓ પાકિસ્તાનમાં પ્રવેશતાં પહેલાં ઘણી વખત બંને સરહદો પર આડી-તેડી વહે છે. પૂર્વીય નદીઓ સિવાય બાકીની પશ્ચિમી નદીઓના (સિંધુ, ઝેલમ, ચિનાબ) પાણી પર પાકિસ્તાનનો સંપૂર્ણ અધિકાર છે. કરાર મુજબ, ભારત આ નદીઓ પર કોઈ નિયંત્રણો લાદી શકે નહીં.

    કરારની કલમ3 ના ખંડ (2)માં કહેવામાં આવ્યું છે કે, “ભારત ચોક્કસ પરિસ્થિતિઓ સિવાય, પશ્ચિમી નદીઓના પાણીને કોઈપણ ખલેલ વિના મુક્તપણે વહેવા દેવા માટે બંધાયેલું રહેશે.” આ પરિસ્થિતિઓ ઘરેલુ ઉપયોગ અને કૃષિ ઉપયોગ સાથે સંબંધિત છે.

    આ કરાર હેઠળ પાકિસ્તાનને આ 6 નદીઓના પાણીના આશરે 70%-80% પર અધિકાર મળે છે જ્યારે ભારતને માત્ર 20%-30% પાણી પર અધિકાર મળે છે. અગાઉ પણ એવા પ્રશ્નો ઉભા થયા છે કે પાકિસ્તાનને આ કરારનો સીધો ફાયદો થયો છે અને ભારતને તેનો કોઈ ફાયદો થયો નથી. આ કરારના અમલ માટે પરમેનેન્ટ ઇન્ડસ કમિશનની રચના કરવામાં આવી હતી અને વિવાદોના નિરાકરણ માટે વિશ્વ બેન્ક મધ્યસ્થી તરીકે કામ કરે છે.

    કેમ સ્થગિત કરાયો કરાર?

    બુધવારે (23 એપ્રિલ, 2025) ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ભારતે કહ્યું છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા સામે આવી છે, તેથી ભારત કરારને સ્થગિત કરી રહ્યું છે. આ હુમલામાં ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના લોકો હિંદુ હતા. હિંદુઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા.

    ભારતે સ્પષ્ટ કર્યું કે, આ કરાર ત્યારે જ ફરીથી લાગુ કરવામાં આવશે જ્યારે પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર કાર્યવાહી કરવાનું શરૂ કરશે. સિંધુ જળ સંધિ પર આટલી મોટી કાર્યવાહી પહેલાં ક્યારેય થઈ ન હતી. 1965ના યુદ્ધ, 1971ના યુદ્ધ અને કારગિલ દરમિયાન પણ તેને રાજદ્વારી વિકલ્પો હેઠળ લાવવામાં આવ્યું ન હતું.

    અગાઉ, 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી ભારતે કરારની ‘સમીક્ષા’ કરવાની વાત કરી હતી. ભારતે કરારની શરતોમાં ફેરફારની માંગણી કરતી વખતે પાકિસ્તાનને ઘણી વખત નોટિસ મોકલી છે. જોકે, તેના પર કોઈ વધુ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.

    પાકિસ્તાન પર શું થશે અસર?

    પાકિસ્તાનની આબાદીનો મોટો ભાગ હજુ પણ ખેતી પર નિર્ભર છે. તેનો કૃષિ વિસ્તાર પણ પંજાબ અને સિંધ પૂરતો મર્યાદિત છે. બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તુનખ્વા જેવા રાજ્યો સૂકા રણ જેવા છે. પાકિસ્તાનમાં ખેતી માટે 90% પાણી સિંધુ નદી પ્રણાલીમાંથી આવે છે. આ પાણી ભારતમાંથી જ વહે છે. સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણીથી જ પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ઘઉં, ચોખા, કપાસ અને શેરડી જેવા મુખ્ય પાકો ઉગાડવામાં આવે છે. સિંધુ નદી તંત્ર પાકિસ્તાન માટે સ્પષ્ટ જીવાદોરી છે.

    સિંધુ નદી પ્રણાલીનું પાણી પાકિસ્તાનના અર્થતંત્રના 25% માટે જવાબદાર છે અને 40%થી વધુ રોજગારી પણ તેના કારણે જ ઊભી થાય છે. પાકિસ્તાન પહેલાંથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત દ્વારા આ કરારને સસ્પેન્ડ કરવો તેના માટે મોટો ફટકો છે. પાણી બંધ થવાથી માત્ર ખેતીને જ અસર થશે એવું નથી. પરંતુ કરાચી અને લાહોર જેવા મોટા શહેરો પણ પાણીના ભયાનક સંકટમાં ઘેરાઈ જશે.

    ઘણા નિષ્ણાતો માને છે કે, કરાર સ્થગિત થયા પછી ભારતે આ પાણીને પાકિસ્તાન જતું અટકાવવા માટે નવા બંધ બનાવવા પડશે તો જ આ કાર્યવાહી સંપૂર્ણપણે અમલમાં મુકાશે. જોકે, ભારત પાકિસ્તાનને તાત્કાલિક નુકસાન પણ પહોંચાડી શકે છે. ભારત પોતાના તરફથી સેના અને અન્ય વિભાગોને તૈનાત કરીને આ નદીઓના પ્રવાહને અસ્થાયી રૂપે વાળી શકે છે.

    આ ઉપરાંત, ભારત હવે પાકિસ્તાન સાથે આ નદીઓમાં વહેતા પાણીનું પ્રમાણ, તેમના પાણીનું સ્તર, પ્રવાહની ગતિ અને અન્ય ડેટા શેર કરશે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાન પૂર અને પાણીની અછતનો અંદાજ પણ લગાવી શકશે નહીં. આગામી ચોમાસામાં તેમના માટે આ પરિસ્થિતિ વધુ ખરાબ થશે. સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાન પર થનારી અસરો વિશે આપણે મુદ્દાસર ચર્ચા કરીશું.

    કૃષિ પર અસર

    સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો પ્રવાહ ઘટવાથી પાકિસ્તાનના પંજાબ (પાકિસ્તાનનો આર્થિક/રાજકીય મહત્વપૂર્ણ પ્રાંત) અને સિંધમાં સિંચાઈની સમસ્યા ઊભી થશે. ઘઉં, ચોખા, કપાસ અને શેરડી જેવા પાકોનું ઉત્પાદન બંધ થઈ જશે અને પહેલાંથી જ ભૂખમરાનો સામનો કરતા પાકિસ્તાનની હાલત વધુ કથળી જશે. કૃષિ ઉત્પાદન બંધ થવાથી પાકિસ્તાનની નિકાસ આવક પણ બંધ થશે અને ખેડૂતોની આવક ઘટવાથી ગરીબી અને બેરોજગારી પણ વધશે. તે સિવાય પાકિસ્તાનમાં ભયાનક ખાદ્ય સંકટ ઊભું થશે.

    વીજળી ઉત્પાદન પર અસર

    સિંધુ અને ઝેલમ નદીઓ પર આધારિત તરબેલા ડેમ (4,888 MW) અને મંગલા ડેમ (1,000 MW) જેવા મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં પાણીનો પ્રવાહ ઘટવાથી ઉત્પાદન ક્ષમતા ઘટશે. પાકિસ્તાનની 25-30% વીજળી આ ડેમ્સ પરથી આવે છે. આ ઘટાડો થવાથી શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં લોડશેડિંગ (વીજળી કાપ) વધશે. જોકે, પહેલાંથી જ પાકિસ્તાન વીજળીને લઈને પરેશાન થઈ રહ્યું છે. તેવામાં ભારતનો આ પ્રહાર તેને વધુ અંધકારમાં લઈ જશે.

    વીજળીની અછતને કારણે ઉદ્યોગો, ખાસ કરીને ટેક્સટાઇલ અને સિમેન્ટનું ઉત્પાદન ઘટશે અને તેના કારણે GDP પણ તબાહ થઈ જશે. પાકિસ્તાને વીજળીની અછત પૂરી કરવા માટે થર્મલ પાવર (કોલસો, ગેસ) પર વધુ નિર્ભર રહેવું પડશે, જે મોંઘું અને પર્યાવરણ માટે હાનિકારક છે. એટલે પાકિસ્તાન થર્મલ પાવરનો ઉપયોગ પણ કરી શકશે નહીં, કારણ કે, હાલની સ્થિતિમાં પાકિસ્તાન કંગાળ હાલતમાં છે.

    પીવાના પાણી માટે પણ ટળવળશે પાકિસ્તાન

    લાહોર, ફૈસલાબાદ, રાવલપિંડી અને કરાચી જેવા શહેરો પીવાના પાણી માટે સિંધુ નદી પ્રણાલી પર આધાર રાખે છે. પાણીનો પ્રવાહ ઘટવાથી પાણીની અછત વધશે, જે જાહેર આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં નળના પાણીની સુવિધા મર્યાદિત છે અને નદીઓનું પાણી સીધું ઉપયોગમાં લેવાય છે. પાણી બંધ થયા બાદ ગ્રામીણ આબાદી પણ દુકાળનો સામનો કરશે. પાણીની અછતથી સામાજિક અશાંતિ અને વિરોધ પ્રદર્શનો વધી શકે છે, ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ વસ્તીમાં. જેવી રીતે હાલ આટા માટે પાકિસ્તાનમાં ‘ગૃહયુદ્ધ’ છેડાઈ જાય છે, તેવી જ રીતે પાણીને લઈને પણ તેવાં દ્રશ્યો જોવા મળી શકે છે.

    સ્થળાંતરના કારણે પાકિસ્તામાં વધશે આંતરિક કલહ

    સિંધુ જળ સંધિનું સસ્પેન્શન 240 મિલિયન પાકિસ્તાની નાગરિકોના જીવન પર સીધી અસર કરશે. પાણીની અછતથી ખાદ્ય સંકટ વધશે અને તેના કારણે સ્થળાંતર વધવા લાગશે. ખાસ કરીને સિંધના લોકો મોટાપાયે સ્થળાંતર કરવા લાગશે અને પાકિસ્તાનમાં આંતરિક કલહ ઊભું થઈ જશે. તેના દૂરગામી પરિણામો પણ ખૂબ ભયાનક આવી શકે છે.

    ‘આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ પર કોઈ દયા નહીં’ની ભારતની નીતિ

    ભારતે આ નિર્ણય દ્વારા પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આતંકવાદને કોઈપણ સ્વરૂપે સહન નહીં કરવામાં આવે અને જે પણ દેશ આતંકને પનાહ કે પ્રોત્સાહન આપશે તેમના પર સહેજ પણ દયા નહીં કરવામાં આવે. જોકે, ભારતે માનવતાને ધ્યાને રાખીને દરેક યુદ્ધ અને તણાવ વખતે સિંધુ જળ સંધિને જાળવી રાખી હતી. 1965 યુદ્ધ, 1971નું બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેનું યુદ્ધ અને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ ભારતે માનવતાને ધ્યાનમાં રાખીને આ સંધિ પર કોઈ કાર્યવાહી કરી નહોતી. તે સિવાય ઉરીમાં થયેલા આતંકી હુમલા અને પુલવામા હુમલા વખતે પણ ભારતે સિંધુ જળ કરારને માન્ય રાખ્યો હતો.

    પરંતુ, હવે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદને કોઈપણ ભોગે સહન કરી શકાશે નહીં. ભારતે કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન કડક અને નિર્ણાયક કાર્યવાહી શરૂ કરશે તે પછી જ સિંધુ તંત્રનું પાણી ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એક ટીપું પાણી પણ પાકિસ્તાનને આપવામાં આવશે નહીં. ભારતનું સ્પષ્ટ માનવું છે કે, પાકિસ્તાને સંધિની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે, આ સંધિ શાંતિ અને સહકારના આધારે બની હતી, જે હવે અસ્તિત્વમાં નથી.

    એ પણ નોંધનીય છે કે, પાકિસ્તાને ભારતના આ નિર્ણયને યુદ્ધની કાર્યવાહી ગણાવી છે અને સપૂર્ણ તાકાતથી જવાબ આપવાની વાતો કરી છે. આ સાથે તેણે શિમલા કરારને રદ કરવાની ધમકી પણ આપી છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, કંગાળ થયેલું પાકિસ્તાન ભારત તરફ મીટ માંડવાની સ્થિતિમાં નથી. વર્તમાનમાં પાકિસ્તાન કઈ સ્થિતિમાં છે તે આખું વિશ્વ જાણે છે. તેવામાં પાકિસ્તાન તરફથી થયેલી નાની અવળચંડાઈ પણ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં