Wednesday, April 23, 2025
More

    સિંધુ જળ સમજૂતી તાત્કાલિક અસરથી સ્થગિત, અટારી-વાઘા બોર્ડર બંધ, પાકિસ્તાનીઓને વિઝા પર રોક: આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર એક્શન શરૂ, CCS બેઠકમાં અનેક મોટા નિર્ણયો

    પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કૅબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં અનેક મોટા અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયો વિશે વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ મીડિયાને જાણકારી આપી હતી. 

    વિદેશ સચિવે જણાવ્યા અનુસાર પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ CCSની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 

    –સિંધુ જળ સમજૂતી પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી. 

    –અટારી સરહદ પર ચેક પોસ્ટ બંધ કરવામાં આવી. જેઓ પરવાનગી લઈને આવ્યા હતા તેઓ 1 મે પહેલાં દેશ છોડે તે માટેના આદેશ.

    –SAARC વિઝા એક્સેમ્પશન સ્કીમ હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતમાં આવવાની પરવાનગી નહીં અપાય. આ પ્રકારના વિઝા જે ભૂતકાળમાં મંજૂર કરવામાં આવ્યા હોય તે પણ રદ કરવામાં આવશે. હાલ આ વિઝા હેઠળ જે પાકિસ્તાનીઓ ભારતમાં છે, તેમને 48 કલાકમાં દેશ છોડવા માટે આદેશ.

    –ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગ બંધ કરવામાં આવશે. 

    –નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈકમિશનમાં સક્રિય રક્ષા, સેના, નેવી અને વાયુસેના સલાહકારોને પરસોના નોન ગ્રાટા ઘોષિત કરવામાં આવ્યા, એક અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ 

    –ભારત પાકિસ્તાન સ્થિત હાઈકમિશનમાંથી પોતાના રક્ષા, સેના, વાયુસેના સલાહકારોને પરત બોલાવશે. તેમના પાંચ સપોર્ટ સ્ટાફ પણ પરત બોલાવાશે. આ પદોને રદ જાહેર કરવામાં આવ્યાં.

    –હાઈકમિશનની કુલ ક્ષમતા 55થી 30 કરી દેવામાં આવશે.