સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે (CRPF) કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ ‘યલો બુક પ્રોટોકોલ’નું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા છે, જેના કારણે તેમની Z+ કેટેગરીની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. CRPFના VIP સુરક્ષા વિભાગે 10 સપ્ટેમ્બર 2025ના રોજ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગને એક પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં રાહુલ ગાંધીની વિદેશી અને આંતરિક મુસાફરીઓ દરમિયાન અગાઉથી જાણ ન કરવાની અને અનિયમિત હિલચાલની વિગતો આપવામાં આવી હતી. CRPFએ રાહુલ ગાંધીને પણ અલગથી પત્ર લખીને આ ઉલ્લંઘનોને ‘ગંભીર સુરક્ષા ચિંતા’ તરીકે દર્શાવ્યા છે.
CRPFએ તેમના પત્રમાં દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ ‘યલો બુક’ના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેમની સુરક્ષા વ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. CRPFએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ છેલ્લા 9 મહિનામાં 6 વિદેશી યાત્રાઓ દરમિયાન પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. આ યાત્રાઓમાં તેમણે 15 દિવસ અગાઉ જાણ નહોતી કરી, જેના કારણે ASL ટીમને આગળથી તૈયારી કરવાની તક મળી નહોતી.
આ મામલે ભાજપ નેતા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, “CRPFએ રાહુલ ગાંધી દ્વારા સુરક્ષા પ્રોટોકોલના ભંગની જાણ કરી છે. ‘યલો બુક પ્રોટોકોલ’ હેઠળ, ઉચ્ચ કક્ષાના સુરક્ષા અધિકારીઓએ તેમના આયોજનો, જેમાં વિદેશ યાત્રાનો પણ સમાવેશ થાય છે, વિશે અગાઉથી માહિતી તહેનાત અધિકારીઓને આપવી પડે છે. પણ રાહુલ ગાંધી એવું નથી કરતા…”
CRPF flags breach of security protocol by Rahul Gandhi. Under the Yellow Book protocol, individuals under high-category security are required to provide prior intimation about their movements, including foreign travel, to enable deployment. Rahul doesn’t… https://t.co/wuan2UYNMn
— Amit Malviya (@amitmalviya) September 11, 2025
આ યાત્રાઓની વિગતો:
ઇટાલી (30 ડિસેમ્બર 2024 – 9 જાન્યુઆરી 2025): નવા વર્ષના કાર્યક્રમ માટે 10-11 દિવસની મુસાફરી.
વિયેતનામ (12 – 17 માર્ચ 2025): કોઈ સ્પષ્ટ હેતુ જાહેર નથી.
દુબઈ (17 – 23 એપ્રિલ 2025): ખાનગી મુલાકાત તરીકે નોંધાયેલ.
કતાર (11 – 18 જૂન 2025): વિગતો ઉપલબ્ધ નથી.
લંડન (25 જૂન – 6 જુલાઈ 2025): ખાનગી યાત્રા.
મલેશિયા (4 – 8 સપ્ટેમ્બર 2025): BJPએ આને ‘આડંબરપૂર્ણ વેકેશન’ તરીકે ટીકા કરી.
આ સિવાય ભારત જોડો યાત્રા (2022-2023) દિલ્હી ભાગ દરમિયાન રાહુલ ગાંધીએ અણધારી હિલચાલ કરી, જેના કારણે સુરક્ષા ટીમોને મુશ્કેલી પડી. CRPFના રેકોર્ડ મુજબ 2020થી 2025 સુધી રાહુલ ગાંધીએ કુલ 113 ઉલ્લંઘનો કર્યા છે, જેમાં અગાઉથી જાણ ન કરવી, અણધારી યોજનાઓ બદલવી અને સુરક્ષા ટીમોને સહકાર ન આપવાનો સમાવેશ થાય છે.
CRPFનું કહેવું છે કે રાહુલ ગાંધીની ‘હાઈ રિસ્ક’ સ્ટેટસને ધ્યાનમાં રાખીને, આ ઉલ્લંઘનો ગંભીર સુરક્ષા જોખમ ઉભું કરે છે. ઉદાહરણ તરીકે, ઑગસ્ટ 2025માં બિહારની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન એક અજ્ઞાત વ્યક્તિએ રાહુલ ગાંધીને આલિંગન આપ્યું હતું, જે સુરક્ષા ચૂક દર્શાવે છે.
‘યલો બુક પ્રોટોકોલ’ શું છે?
‘યલો બુક’ એ ભારતના ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા જારી કરવામાં આવેલી એક વિગતવાર માર્ગદર્શિકા છે, જે VVIP (Very Very Important Person) અને VIP વ્યક્તિઓની સુરક્ષા માટેના કડક નિયમો અને પ્રોટોકોલ્સ નક્કી કરે છે. આ માર્ગદર્શિકામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, વિપક્ષના નેતા અને અન્ય મહત્વની વ્યક્તિઓની સુરક્ષા માટેની પ્રક્રિયાઓનું વર્ણન છે. આ પ્રોટોકોલ્સ સુરક્ષા કેટેગરીઓના (Z+, Z, Y, X) આધારે નિર્ધારિત થાય છે.
‘યલો બુક’ના મુખ્ય નિયમો
અગાઉથી જાણકારી: VVIPએ તેમની મુસાફરી (ખાસ કરીને વિદેશી) વિશે સુરક્ષા એજન્સીઓને (જેમ કે CRPF, SPG) ઓછામાં ઓછી 15 દિવસ અગાઉ જાણ કરવી જરૂરી છે. આમાં મુસાફરીનું સ્થળ, તારીખ, સમય અને હેતુની વિગતો સામેલ હોય છે. તેનાથી સુરક્ષા ટીમોને આગળથી તૈયારી કરવાની તક મળે છે.
Advanced Security Liaison (ASL): Z+ કેટેગરીની સુરક્ષામાં ASL ટીમ મુસાફરીના સ્થળે પહેલાં પહોંચીને રેકી (reconnaissance) કરે છે. આમાં હોટેલ, માર્ગો, કાર્યક્રમ સ્થળો અને સ્થાનિક પોલીસ સાથે સંકલનનો સમાવેશ થાય છે.
Z+ કેટેગરીમાં 10-12 આર્મ્ડ કમાન્ડોસ, બુલેટપ્રૂફ વાહનો અને 24/7 સુરવેલન્સની વ્યવસ્થા હોય છે. VVIPની દરેક હિલચાલનું નિરીક્ષણ અને સંકલન જરૂરી છે.
VVIPએ અચાનક યોજનાઓ બદલવી કે અગાઉથી જાણ કર્યા વિના કાર્યક્રમોમાં જવું ટાળવું જોઈએ. આવી હિલચાલથી સુરક્ષા નબળી પડે છે અને જોખમ વધે છે.
સુરક્ષા એજન્સીઓ (જેમ કે CRPF) ઉલ્લંઘનોનો રેકોર્ડ રાખે છે અને સમયાંતરે VVIPને ચેતવણી પત્રો મોકલે છે. ઉદાહરણ તરીકે, રાહુલ ગાંધીના કિસ્સામાં 2020થી 2025 સુધી 113 ઉલ્લંઘનો નોંધાયા છે.
‘યલો બુક’નો મુખ્ય હેતુ VVIPની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, ખાસ કરીને ‘હાઈ રિસ્ક’ કેટેગરીમાં આવતી વ્યક્તિઓ માટે, જેમ કે રાહુલ ગાંધી, જેમને Z+ (ASL) સુરક્ષા આપવામાં આવી છે. આ પ્રોટોકોલનું પાલન ન કરવાથી સુરક્ષા વ્યવસ્થા નબળી પડે છે, જે જોખમી સ્થિતિ ઉભી કરી શકે છે.
ઉદાહરણ તરીકે વડા પ્રધાનને Special Protection Group (SPG) દ્વારા સુરક્ષા આપવામાં આવે છે, જે ‘યલો બુક’ના નિયમોનું સખત પાલન કરે છે. રાહુલ ગાંધીને CRPFની Z+ (ASL) સુરક્ષા છે, એમાં પણ આ જ પ્રોટોકોલ લાગુ થાય છે.
જો કોઈ VVIP વિદેશી યાત્રા પર જાય તો ASL ટીમે સ્થાનિક દૂતાવાસ, પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરવું પડે છે. અગાઉથી જાણ ન મળે તો આ પ્રક્રિયા અધૂરી રહે છે.
રાહુલ ગાંધીએ કરેલ ઉલ્લંઘન
2019માં રાહુલ ગાંધીની SPG (Special Protection Group) સુરક્ષા હટાવીને તેમને CRPFની Z+ (ASL) સુરક્ષા આપવામાં આવી હતી. આ નિર્ણય પણ તે સમયે વિવાદાસ્પદ હતો કારણ કે કોંગ્રેસે તેને ‘રાજકીય બદલો’ ગણાવ્યો હતો. CRPFએ 2022માં પણ રાહુલ ગાંધીને ઉલ્લંઘનોની યાદી સાથે ચેતવણી આપી હતી, જેમાં ભારત જોડો યાત્રા દરમિયાનની અનિયમિતતાઓનો સમાવેશ હતો. ઑગસ્ટ 2025માં બિહારની યાત્રા દરમિયાન એક અજ્ઞાત વ્યક્તિ દ્વારા રાહુલ ગાંધીને આલિંગન આપવાની ઘટનાએ સુરક્ષા ચિંતાઓને વધુ તીવ્ર કરી છે.
જોકે કોંગ્રેસ નેતા પવન ખેડાએ રાહુલનો બચાવ કર્યો છે અને X પર લખ્યું છે કે, “CRPF પત્રનો સમય અને તેને તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો તે ચિંતાજનક પ્રશ્નો ઉભા કરે છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે શ્રી@RahulGandhi ભાજપ દ્વારા ચૂંટણી પંચ સાથે મળીને મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે.”
The timing of the CRPF’s letter and its instant public release raise disturbing questions. It comes just as Shri @RahulGandhi is leading the charge against the BJP’s Vote Chori carried out with the Election Commission’s complicity.
— Pawan Khera ?? (@Pawankhera) September 11, 2025
▪️Is this a veiled attempt to intimidate the…
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું આ વિરોધ પક્ષના નેતાને ડરાવવાનો છુપો પ્રયાસ છે, જેમણે પહેલાંથી જ વધુ એક ખુલાસાની જાહેરાત કરી છે? શું સરકાર જે સત્યનો ખુલાસો કરવા જઈ રહી છે તેનાથી ડરી ગઈ છે?”
નોંધનીય છે કે ‘યલો બુક પ્રોટોકોલ’ એ VVIP સુરક્ષા માટેની એક મહત્વની માર્ગદર્શિકા છે, જેનું પાલન કરવું રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યક્તિગત સલામતી માટે જરૂરી છે. રાહુલ ગાંધી પર CRPFના આરોપો ગંભીર છે, કારણ કે તેમના ‘હાઈ રિસ્ક’ સ્ટેટસને ધ્યાનમાં રાખીને કોઈપણ ચૂક સુરક્ષા માટે જોખમી બની શકે છે. આવી ઘટના ઇતિહાસમાં પણ સામે આવી ચૂકી છે (રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની હત્યા). તેમ છતાં રાહુલ નિયમોનું પાલન નથી કરી રહ્યા અને કોંગ્રેસ નેતાઓ તેમનો બચાવ કરે છે એ ગંભીર બેદરકારી દર્શાવે છે.


