Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમઅરવલ્લી: એક જ હિંદુ પરિવારની 2 સગી બહેનો લવ જેહાદનો શિકાર, મોટી...

    અરવલ્લી: એક જ હિંદુ પરિવારની 2 સગી બહેનો લવ જેહાદનો શિકાર, મોટી બહેન સાથે કોર્ટ મેરેજના નામે ધર્માંતરણ, તો નાની બહેન જે મંથન જોશી સાથે પરણી તે સોહેલ નીકળ્યો

    પોતાની વાતોમાં ફસાવીને ઇકબાલ પીડિતાને મુંબઈ લઇ ગયો હતો, જે બાદ કોર્ટ મેરેજ કરવાના નામે મરાઠી ભાષામાં લખાયેલા ધર્માંતરણના સોગંદનામાં પર તેના હસ્તાક્ષર લઇ લીધા

    - Advertisement -

    અરવલ્લીમાં એક જ હિંદુ પરિવારની 2 સગી બહેનો લવ જેહાદનો શિકાર બનવાની ઘટના આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. પરિવારની મોટી દીકરી સાથે કોર્ટ મેરેજ કરવાના બહાને ધર્માંતરણના સોગંદનામા પર હસ્તાક્ષર કરાવીને છેતરપિંડી થઇ છે જયારે નાની દીકરી જે મંથન જોશીને પરણી તે વાસ્તવમાં સોહેલ નામનો મુસ્લિમ યુવક નીકળ્યો. એક તરફ બંને યુવતીઓએ મીડિયા સામે આવીને પોતાની વ્યથા રજૂ કરીને ન્યાયની માંગ કરી છે તો બીજી તરફ હિંદુ સંગઠનો પણ આ મામલે આક્રમક થતાં જોવા મળી રહ્યાં છે.

    બંને બહેનોએ મીડિયા ચેનલો TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં આપવીતી જણાવી હતી. તેમણે આપેલી માહિતી અનુસાર, મોટી બહેન અંદાજે 7 વર્ષ પહેલાં ઇકબાલ હુસૈન નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. પોતાની વાતોમાં ફસાવીને ઇકબાલ પીડિતાને મુંબઈ લઇ ગયો હતો, જે બાદ કોર્ટ મેરેજ કરવાના નામે મરાઠી ભાષામાં લખાયેલા ધર્માંતરણના સોગંદનામા પર તેના હસ્તાક્ષર લઇ લીધા હતા. પીડિતા પોતાના કોર્ટ મેરેજ થઈ ચૂક્યા છે તેવા ભ્રમમાં યુવક સાથે રહેતી હતી. આ ઘટનાના થોડા સમય બાદ જ ઇકબાલ હુસૈને પોતાનો અસલ રંગ બતાવી પીડિતા સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું અને ઇસ્લામ ધર્મનું પાલન કરવા માટે પીડિતા સાથે અત્યાચાર કરવામાં આવતા. ત્રાસ અસહ્ય થઈ પડતાં પીડિતા ઘરે પરત ફરી હતી.

    જણાવ્યા અનુસાર, પિયર પરત આવ્યા બાદ જ્યારે પીડિતાએ કોર્ટ મેરેજના નામનું ડોક્યુમેન્ટ કોઈ વકીલને બતાવતા તેના લગ્ન ન થયાં હોવાનો ખુલાસો થયો હતો. પીડિતાને છેક ત્યારે જાણ થઈ હતી કે ઇકબાલે તેની છેતરપિંડી કરીને તેની પાસે ધર્માંતરણ કરવાના સોગંદનામ પર હસ્તાક્ષર લેવામાં આવ્યા છે. TV9ના રિપોર્ટમાં પણ મરાઠી ભાષામાં બનાવવામાં આવેલા સોગંદનામામાં નીચે ઇકબાલ હુસૈન અનવર હુસૈન અન્સારી નામનો ઉલ્લેખ જોવા મળે છે.

    - Advertisement -

    સમાજના ફેસબુક પેજ પર મળેલો મંથન જોશી નીકળ્યો સોહેલ

    પીડિત પરિવાર માટે મોટી બહેન સાથે છેતરપીંડી થઇ તે એક માત્ર આઘાત નહોતો, પરિવારની નાની દીકરી સાથે થયેલી લવ જેહાદની ઘટના તેનાથી પણ વધુ આઘાતજનક હતી. વાસ્તવમાં નાની દીકરીએ ફેસબુક પેજ પર બનેલા તેમના સમાજના પેજના માધ્યમથી પરિચયમાં આવેલા મંથન જોશી સાથે બંને પરિવારોના રાજીપા સાથે વેવિશાળ કર્યું હતું. જોકે મંથને પણ લગ્ન બાદ પોત પ્રકાશ્યું. આરોપ છે કે, લગ્ન બાદ પીડિતાને ખબર પડી કે મંથન જોશી વાસ્તવમાં સોહેલ નામનો મુસ્લિમ યુવક છે. પોલ ખૂલ્યા બાદ તેણે પીડિતા સાથે લગ્ન કર્યા બાદ તેનું સુન્નત કરાવી નમાજ પઢવા દબાણ કરવા લાગ્યો. આટલું જ નહીં, તે પીડિતાને પરાણે રોજા રખાવી માંસ ખાવા પણ દબાણ કરવા લાગ્યો. જેમાં તેનો પરિવાર પણ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    પીડિતાઓને ધમકીઓ મળતા હિંદુ સંગઠનો આકરા પાણીએ

    આ મામલે ગુજરાતના હિંદુ સંગઠનો પણ આક્રમક જોવા મળી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની સહિતનાં સંગઠનો આ પીડિત પરિવારના સહયોગમાં આવ્યા છે. આ મામલે અમદાવાદ વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહે ઑપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “લવ જેહાદ અને ધર્માંતરણથી પીડિત બંને બહેનો હાલ અમારા કાર્યાલય પર જ છે. તેમને ન્યાય મળે તેના માટે ન્યાયિક પ્રક્રિયામાં સંગઠન તેમને મદદ કરી રહ્યું છે. પોલીસ ફરિયાદ દાખલ થાય તે માટેના પણ પ્રયત્નો ચાલુ છે. બંને પીડિતાઓને હાલ જીવનું જોખમ છે અને તેમને ધમકીઓ પણ મળી ચૂકી છે. તેમને પોલીસ પ્રોટેક્શન મળે તે માટેના પણ અમારા પ્રયત્નો છે.”

    બંને પીડિતાઓને મળેલી ધમકીઓનો ઉલ્લેખ કરતા હિતેન્દ્રસિંહે અમારી ટીમને તેમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને પોલીસ દ્વારા સુરક્ષા પ્રદાન કરવામાં નહીં આવે, ત્યાં સુધી દુર્ગાવાહિનીની બહેનો અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેમની સુરક્ષા માટે ખડેપગે રહેશે અને તેમને રક્ષણ પૂરું પાડશે. તેમના રહેવા માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અથવા તો તેમને જો નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાના થાય અથવા તેમના ઘરે પણ જો તેઓ જશે, તો ત્યારે પણ જ્યાં સુધી પોલીસ પ્રોટેક્શન નહીં મળે ત્યાં સુધી દુર્ગાવાહિની અને બજરંગ દળ તેમની સુરક્ષાની જવાબદારી ઉઠાવશે.

    પ્રશાશન પાસે શું અપેક્ષા છે તે સવાલ પર હિતેન્દ્રસિંહ જણાવે છે કે, “ગુજરાતનું તંત્ર આ બાબતે ખૂબ સજાગ છે. સરકાર પણ આ પ્રકારની ઘટનાઓ ધ્યાન પર લે જ છે. હાલ વહેલીતકે બંને પીડિતાઓને સુરક્ષા અને ન્યાય મળે એ જ અપેક્ષા સંગઠનો પ્રશાસન પાસે રાખી રહ્યાં છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં