Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પપ્પા મારે જીવવું છે પણ મારાં સાસુ-નણંદ મને મારી નાંખશે’: સુરતની મોનિકાએ...

    ‘પપ્પા મારે જીવવું છે પણ મારાં સાસુ-નણંદ મને મારી નાંખશે’: સુરતની મોનિકાએ મૃત્યુ પહેલાં પિતા સમક્ષ ઠાલવી હતી વેદના, ઓડિયો વાયરલ

    મોનિકાએ મૃત્યુના થોડા સમય અગાઉ તેના પિતા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, તેણે જીવવું છે પરંતુ તેની નણંદ અને સાસુ તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને મારી નાંખશે. 

    - Advertisement -

    સુરત મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક 29 વર્ષીય પરણીતા મોનિકા વેકરિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેના મૃત્યુ બાદ તેના પિતાએ સાસરિયાં સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી અને અમુકની ધરપકડ પણ થઇ હતી. સોશિયલ મીડિયા પર મૃતક મહિલાની પિતા સાથેની એક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. 

    મોનિકાએ મૃત્યુના થોડા સમય અગાઉ તેના પિતા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, તેણે જીવવું છે પરંતુ તેની નણંદ અને સાસુ તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને મારી નાંખશે. 

    બંને વચ્ચેની વાતચીતના અંશ:

    મોનિકા: પપ્પા તમે ક્યાં છો? 

    - Advertisement -

    પિતા: અહીં ઓફિસે છું.

    મોનિકા: મને એવું લાગે છે કે, મારે જીવવું છે પણ મારા નણંદ, મારા સાસુ, જાસ્મિન એ લોકો મારી સાથે ખરાબ વર્તન કરે છે. 

    પિતા: કેમ શું કહે છે? 

    મોનિકા: મારે જીવવું છે પણ મને મારી નાંખશે, ખાવામાં કંઈક નાંખી દેશે એવું લાગે છે….મારી સાસુ ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે.

    પિતા: એ ભલેને કહે તું શું કામ મુંઝાય છે.

    મોનિકા: મને બહુ બીક લાગે છે. 

    પિતા: અમે છીએને….તારે શાંતિથી ત્યાં રહેવાનું છે, ભલે જે થાય એ. તારે મૂંઝાવાની જરૂર નથી.

    મોનિકા: તો હવે (ફોન) રાખું…

    પિતા: કંઈ નહીં હવે તું બહુ ફોન કરવાના બંધ રાખ… (કપાઈ જાય છે)

    ઓડિયોમાં મોનિકા રડતાં-રડતાં કહેતી સંભળાય છે કે, મારે જીવવું છે પરંતુ મારાં સાસુ, નણંદ અને જાસ્મીન મારી સાથે ખરાબ વર્તન કરે છે. મારે જીવવું છે પણ મને મારી નાંખશે, ખાવામાં કંઈક નાંખી દેશે એવું લાગે છે. મારી સાસુ ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે. મને બહુ બીક લાગે છે.” જેના જવાબમાં તેના પિતા કહેતા સંભળાય છે કે તેણે ચિંતા કરવાની જરૂર નથી અને શાંતિથી ત્યાં રહેવાનું છે. 

    રિપોર્ટ્સ અનુસાર, મોનિકાનાં લગ્ન છ વર્ષ પહેલાં થયાં હતાં. ત્યારબાદ તે પતિ ટેનિશ વેકરીયા સાથે ઇઝરાયેલ રહેતી હતી. તાજેતરમાં ભાઈના લગ્ન હોવાથી ભારત આવી હતી. તેના પરિજનોનો આરોપ છે કે તેને સતત સાસરિયાં તરફથી ત્રાસ આપવામાં આવતો અને તેના પતિના અન્ય મહિલાઓ સાથે સબંધો પણ હતા અને તે પણ છૂટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. પરિવારે તેને ઝેર આપવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    યુવતીના પિતાએ કહ્યું કે, “છેલ્લા કેટલાક સમયથી મારી દીકરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવું તેની વાતચીત પરથી લાગી રહ્યું હતું. પરંતુ તેમ છતાં તે સમજણપૂર્વક રહેતી હતી. શરૂઆતના દિવસોમાં ગંભીરતાથી લેતી ન હતી પરંતુ થોડા દિવસોથી વધુ પડતો ત્રાસ આપવામાં આવતો હોય તેવું તેની વાત પરથી લાગી રહ્યું છે. મરવા પહેલાં પણ તેણે મારી સાથે એવી જ વાત કરી હતી. આખરે મારી દીકરીને મારી નાંખવામાં આવી છે.”

    આ મામલે પરિવારે સુરત ઉતરાણ પોલીસ મથકે મોનિકા વેકરિયાના પરિવારના 7 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો અને ત્રણની ધરપકડ કરી લીધી હતી. જ્યારે બાકીના અમુક ફરાર છે. બીજી તરફ, ઇઝરાયેલ રહેતા તેના પતિને પણ ભારત લાવવા માટે કવાયદ હાથ ધરવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં