Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએમ્બ્યુલન્સ ન મળતાં દંપતી બીમાર પુત્રને પેડલ લારીમાં લઇને હોસ્પિટલ પહોંચ્યું, ડોક્ટરોએ...

    એમ્બ્યુલન્સ ન મળતાં દંપતી બીમાર પુત્રને પેડલ લારીમાં લઇને હોસ્પિટલ પહોંચ્યું, ડોક્ટરોએ કહ્યું- એમ્બ્યુલન્સ VIP ડ્યુટી પર હતી: પંજાબની ‘આપ’ સરકાર સવાલોના ઘેરામાં

    ભાજપ નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર પર ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું.

    - Advertisement -

    પંજાબ રાજ્યની આમ આદમી પાર્ટીની સરકાર ફરી એક વખત સ્વાસ્થ્ય સુવિધાઓને લઈને સવાલોના કઠેડામાં ઉભી છે. અહીં એક સિવિલ હોસ્પિટલમાં 20 વર્ષીય યુવકને અન્ય હોસ્પિટલમાં રિફર તો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ જ મળી શકી ન હતી. યુવકની ગંભીર હાલત જોઈને મજબુર માતા-પિતા પેડલ લારી પર લઇ જતા જોવા મળ્યા હતા. 

    આ ઘટના પંજાબના ડેરાબસ્સીની છે. અહીં રહેતા અબ્દુલ વાહીદના 20 વર્ષીય પુત્રને તાવ આવતાં ઝીરકપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં કોઈ રાહત ન મળતાં ડેરાબસ્સી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ આરોપ છે કે અહીં પણ ડોક્ટરોએ સરખું ધ્યાન ન આપ્યું અને તેની તબિયત વધુ બગડી હતી. તેના પ્લેટલેટ્સ સતત ઘટી રહ્યા હતા અને 20 હજાર સુધી પહોંચી ગયા હતા. સામાન્ય માણસમાં આ પ્લેટલેટ્સની સંખ્યા દોઢ લાખથી 4 લાખ સુધીની હોય છે. 

    યુવકના પિતાએ જણાવ્યું કે, ડોક્ટરોએ તબિયતમાં સુધારો ન થવા પર તેને ચંદીગઢ રેફર કરી દીધો હતો. પરંતુ ત્યાંથી તેમના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને ઉપરથી કહેવામાં આવ્યું કે, તેઓ જાતે જ તેની વ્યવસ્થા કરી લે. ત્યારબાદ તેમણે 108 પર પણ ફોન કર્યો, પરંતુ કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું ન હતું. 

    - Advertisement -

    ત્યારબાદ તેમણે પુત્રની તબિયત લથડતી જોઈને પેડલ લારી દ્વારા ચંદીગઢ લઇ જવાનો નિર્ણય લીધો હતો. પિતાએ લારી હાંકી જ્યારે મારા ગ્લુકોઝની બોટલ લઈને બેસી ગઈ હતી અને ચંદીગઢ પહોંચ્યા હતા. જ્યાં હાલ યુવકની સારવાર ચાલી રહી છે. 

    આ અંગે ડેરાબસ્સીની સિવિલ હોસ્પિટલના એસએમઓ ડૉ. ધરમિન્દર સિંહને પૂછવામાં આવતાં તેમણે વિચિત્ર કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સ છે, જેમાંથી એક વીઆઈપી ડ્યુટી પર હતી અને બીજી એક દર્દીને લઈને ચંદીગઢ હોસ્પિટલ ગઈ હતી. એમ્બ્યુલન્સ ફ્રી ન હોવાના કારણે તેમને પોતાની વ્યવસ્થા જાતે જ કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

    મોહાલી સિવિલ સર્જન ડૉ. આદર્શપાલ કૌરે કહ્યું હતું કે, ડોક્ટરો દર્દીઓને મદદ કરવા માટે તમામ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. અમે મામલાની તપાસ કરીશું અને આ પ્રકારની ઘટના ફરી ન બને તેની તકેદારી રાખીશું.

    દર્દીને એમ્બ્યુલન્સ ન મળતાં માતાપિતા બીમાર પુત્રને પેડલ લારી પર લઇ જતા સમાચાર પોસ્ટ કરીને ભાજપ નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર પર ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને નિશાન સાધ્યું હતું. 

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને આરોગ્યની વાતો કરતી રહે છે, પરંતુ હવે પંજાબમાં છ મહિનાથી તેમની જ સરકાર છે ત્યારે આ પ્રકારની બેદરકારી ઘણા સવાલ ઉભા કરે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં