‘સ્મેશ પેટ્રિયાર્કી’ના નારા વચ્ચે રાહુલ ગાંધીનું હિજાબ-અબાયા પર મૌન: હિંદુ પરંપરાઓ સામે આક્રોશ, મજહબી પોશાક માટે ‘ફ્રીડમ ઑફ ચોઈસ’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પોતાના વામપંથી અને હિંદુવિરોધી એજન્ડાને આગળ ધપાવતા ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ પર પ્રહારો કર્યા છે. વિદ્યાર્થિનીઓને સંબોધિત કરતી વખતે તેમણે ‘સ્મેશ પેટ્રિયાર્કી’ના (પિતૃસત્તાક માનસિકતાનો અંત) નારા લગાવીને ભારતીય સામાજિક વ્યવસ્થા અને પરંપરાઓ પર નિશાન સાધ્યું હતું.

પોતાના આ ભાષણમાં રાહુલ ગાંધીએ સનાતન ધર્મ અને ભારતીય રિવાજોને કઠોર અને પછાત દર્શાવવા માટે પ્રાચીન ગ્રંથ ‘મનુસ્મૃતિ’ના શ્લોકોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતીય પરંપરાઓને સ્ત્રીઓને કેદમાં રાખનારી માનસિકતા ગણાવી હતી.

રાહુલ ગાંધીના આ પ્રોપગેન્ડામાં સૌથી મોટો વિરોધાભાસ અને બેવડું વલણ ત્યારે સામે આવ્યું જ્યારે સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરનારા કોંગ્રેસી નેતા મુસ્લિમ સમુદાયના મજહબી નિયંત્રણો પર સંપૂર્ણ મૌન સેવી ગયા. જ્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરાઓની વાત આવે છે ત્યારે રાહુલ ગાંધી તેને ‘શોષણ’ અને ‘પિતૃસત્તા’ કહે છે, પરંતુ બુરખા અને હિજાબ જેવા મજહબી પોશાક પર તેઓ તેને ‘ફ્રીડમ ઑફ ચોઈસ’ કહીને સમર્થન આપે છે.

આ એ જ કોંગ્રેસ પક્ષ છે જેણે ભારતીય મહિલાઓના ઘૂંઘટ, સાડી કે દુપટ્ટા સામે સતત ઝુંબેશ ચલાવી છે અને તેને મહિલા સશક્તિકરણના માર્ગમાં રોડો ગણાવ્યો છે. પરંતુ મહિલાઓ પર લાદવામાં આવતા અબાયા અને હિજાબની વાત આવે છે ત્યારે રાહુલ ગાંધી અને તેમની ઇકોસિસ્ટમ તેને સ્ત્રીઓનો અધિકાર ગણાવવા મેદાનમાં આવી જાય છે.

શું રાહુલ ગાંધી માટે મહિલાઓને સંપૂર્ણપણે ઢાંકી દેતો બુરખો કે સ્કૂલ યુનિફોર્મ તોડીને હિજાબ પહેરવાની કટ્ટરપંથી ઝુંબેશ પિતૃસત્તા નથી? રાહુલ ગાંધી પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. કારણ કે તેમનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણનો નથી, પરંતુ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડીને મુસ્લિમ વોટબેન્કના રાજકારણને સાધવાનો છે.

પોતાના સંબોધનમાં રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપના નેતાઓના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જંતર-મંતર પર વિદ્યાર્થિનીઓ દ્વારા કરાયેલી અશલીલ ભાષા અંગે વ્યક્ત કરેલી ચિંતાને પણ રાહુલે પુરુષ-મહિલા ભેદભાવનું રૂપ આપીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેઓ ‘મનુસ્મૃતિ માનસિકતા’ સામે લડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ વામપંથી અને તુષ્ટિકરણના એજન્ડા હેઠળ હિંદુ સમાજની એકતાને ખંડિત કરવા માંગે છે. જો તેઓ ખરેખર મહિલા સ્વતંત્રતાના પક્ષધર હોય તો તમામ સમુદાયમાં ચાલતી મહિલા વિરોધી પ્રથાઓ સામે એકસરખો અવાજ ઉઠાવવાની હિંમત દર્શાવવી જોઈએ.

દાયકાઓથી કોંગ્રેસે દેશના શિક્ષણ ક્ષેત્ર અને સામાજિક તાણાવાણામાં એવો ભ્રમ ફેલાવ્યો છે કે ભારતીય સંસ્કૃતિ મહિલાવિરોધી છે, જ્યારે વાસ્તવમાં સનાતન ધર્મમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જોકે સમય જતાં તેમાં ઘણા કુરિવાજો પ્રસર્યા હતા, પરતું હિંદુ સમુદાય હવે એ કુરિવાજોને પોતાની જાતે જ દૂર કરી રહ્યો છે.

જોકે વાસ્તવમાં જોવા જાવ તો હિંદુ સમુદાય કરતાં મુસ્લિમ સમુદાયની સ્ત્રીઓ પિતૃસત્તાનો વધુ ભોગ બનેલી છે. ટ્રિપલ તલાક, હલાલા, મિલકતના અધિકારો અને હિજાબ સહિત ઘણી બાબતો એવી છે જેમાં મુસ્લિમ સમુદાયની સ્ત્રીઓ પોતાનો અવાજ નથી ઉઠાવી શકતી. તેમ છતાં આ બધુ રાહુલ ગાંધીને ‘ફ્રીડમ ઑફ સ્પીચ’ લાગે છે.

જ્યારે પણ દેશની શાળાઓમાં એકસમાન ગણવેશ અને શિસ્ત પાળવાની વાત આવે છે ત્યારે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ કટ્ટરપંથીઓ સાથે ઊભી રહીને સંસ્થાઓની શિસ્ત તોડવાનું કામ કરે છે. હિજાબને ‘સ્વતંત્રતા’ ગણાવીને તેઓ વાસ્તવમાં મહિલાઓને મજહબી કટ્ટરપંથના દાયરામાં બાંધી રાખવાના ષડયંત્રને સાથ આપી રહ્યા છે.

‘છાત્રો કી ગુંજ’ના નામે રાહુલ ગાંધીએ ફેંકેલા સ્લોગનો પાછળ તેમનો હિંદુવિરોધી અને તુષ્ટિકરણનો એજન્ડા ખુલ્લો પડી ગયો છે. દેશનો જાગૃત યુવા અને મહિલાઓ હવે સમજી ચૂકી છે કે કોંગ્રેસ માટે ‘સ્મેશ પેટ્રિયાર્કી’ માત્ર હિંદુ પરંપરાઓને ટાર્ગેટ કરવાનું એક હથિયાર છે, જ્યારે મજહબી પિતૃસત્તા સામે તેઓ સરેઆમ સમર્પણ કરી દે છે.