જંતર-મંતરવાળું ધિંગાણું પૂરું થયા પછી કોકરોચ જનતા પાર્ટીના સ્વઘોષિત યુવાનેતાઓએ આમ તો ઝારખંડ જવું જોઈતું હતું પણ એકને તાવ ચડી ગયો, બીજાને બીજું કામ આવી ગયું અને ત્રીજો પણ કોઈ બહાના કાઢી ગયો અને આખર સુધી કોઈ ફરક્યું નહીં. દરમ્યાન તેઓ બીજી-બીજી વાતોએ ચડેલા રહ્યા. દૂર દિલ્હી અને મહારાષ્ટ્રમાં બેઠા ઝારખંડના વિદ્યાર્થીઓને સમર્થન આપતા હતા પણ ફ્લાઇટ પકડીને કોઈ રાંચી ન ગયો કારણ કે ઝારખંડ વિપક્ષશાસિત રાજ્ય છે. ત્યાં મહેનત કરવાની આ બધા જંતુઓની દાનત ન હતી.
ઝારખંડવાળું થોડું ટાઢું પડ્યું એટલે કોકરોચોએ ભેગા મળીને એક નવું તૂત શોધી કાઢ્યું. તેમણે કહ્યું કે અમે શાળાઓ બચાવવા માટે દેશભરમાં અભિયાન ઉપાડીશું. ‘સ્કૂલ ઠીક કરો’ નામથી એક અભિયાન લૉન્ચ કર્યું. ત્યારબાદ આપિયા તરીકે પૂરેપૂરી તાલીમ પામી ચૂકેલો અભિજીત દીપકે મહારાષ્ટ્રની અમુક શાળાઓમાં રખડ્યો અને રીલબાજી કરીને એ રીલો સોશિયલ મીડિયા પર ફેરવી. મેઇનસ્ટ્રીમ મીડિયાએ આ રીલોના રિપોર્ટ બનાવ્યા.
જેવું જંતર-મંતર પરના આંદોલનમાં થયું હતું એવું જ આ કથિત અભિયાનમાં પણ છે. કોકરોચોએ શાળાઓ સુધારવી છે. કઈ રીતે તેની તેમને ખબર નથી. આ બધું તેઓ સરકાર પર છોડી રહ્યા છે. તેમણે માત્ર અભિયાનના નામે હોબાળો મચાવવો છે.
દુષ્યંત કુમારે કહ્યું હતું કે મારો મકસદ માત્ર હંગામો ખડો કરવાનો નથી, કોશિશ એ હોય છે કે સૂરત બદલાવી જોઈએ. કોકરોચોનું ઊંધું છે. તેમને સૂરત (આપણું દક્ષિણ ગુજરાતનું સુરત પાછું જુદું!) બદલવામાં રસ નથી, તેઓ માત્ર હંગામો ખડો કરવા માગે છે.
જંતર-મંતર પર પણ તેમણે એ જ કર્યું હતું. શિક્ષણ વ્યવસ્થા સુધારવી જોઈએ, એક્ઝામિનેશન સિસ્ટમમાં બદલાવો લાવવા જોઈએ એવી બૂમો પાડતા રહ્યા. મહિના દિવસ સુધી આંદોલન કરવા જંતર-મંતર પર બેઠા અને કોઈનું ઝાઝું ધ્યાન ન પડ્યું તો ધ્યાન ખેંચવા માટે સંસદ માર્ચની ઘોષણા કરી દીધી. પછી વિપક્ષી પાર્ટીઓ આવી, વામપંથી સંગઠનો આવ્યાં, આખી જમાત એકઠી થઈ અને 20મી જુલાઈએ જે કંઈ થયું એ દેશે જોયું. અરાજકતા અને અવ્યવસ્થા વચ્ચે શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું તો કોકરોચો ઘરભેગા થઈ ગયા. શિક્ષણ વ્યવસ્થા સુધારવાની વાતો કરી હતી એ બધી હવામાં ઉડી ગઈ. ઉપરથી સરકારે સંસદમાં બિલ પાસ કરાવ્યું ત્યારે તેમાં ઝાઝો રસ ન દાખવ્યો.
આવું જ શાળાઓની બાબતમાં છે. જર્જરિત શાળાઓ હોય, બાળકો બહાર ખુલ્લામાં કે વૈકલ્પિક સ્થળોએ ભણવા મજબૂર થતાં હોય એ મોટી સમસ્યા છે. એ સમસ્યાનું સમાધાન પણ લાવવું જોઈએ. પણ એ વાત પણ એટલી જ રસપ્રદ છે કે આ કોકરોચોએ માત્ર ભાજપશાસિત રાજ્યોની જ સમસ્યાઓ સુધારવી છે. બાકી પંજાબ સહિતનાં રાજ્યોમાં તેઓ કેમ નથી જઈ રહ્યા એવા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવી રહ્યા છે, પણ કોકરોચો પાસે તેના જવાબ નથી. અભિજીત દીપકે મહારાષ્ટ્રમાં ‘ક્રાંતિ’ કરી રહ્યો છે, આશુતોષ રાંકા જયપુરમાં ફાંફાં મારે છે અને સૌરવ દાસ દિલ્હીમાં. ત્રણેય ઠેકાણે ભાજપની સરકાર છે. અભિજિત અને આશુતોષ આમ આદમી પાર્ટીના માણસો રહી ચૂક્યા છે. સૌરવ દાસ નામનો સ્વઘોષિત પત્રકાર આમ જોવા જઈએ તો સવાયો આપિયો છે!
લોકો હવે આ બધું જાણતા થઈ ગયા છે. સમજતા થઈ ગયા છે. તેઓ જાણે છે કે સમસ્યાઓ છે પણ તેનું સમાધાન આ કોકરોચો પાસે નથી. તેમણે માત્ર હંગામો મચાવીને રીલો ઉતારીને ઘરભેગા થઈ જવું છે. એટલે રાજસ્થાનના જયપુરમાં જ્યારે શુક્રવારે (21 ઑગસ્ટ) સવારે આશુતોષ રાંકા અને તેની કોકરોચ ટોળકી ગઈ તો ગામલોકોએ બહારથી જ તગેડી મૂક્યા. ન માન્યા તો ધક્કા મારીને બહાર કાઢ્યા.
ફજેતી થયા પછી આમ આદમી પાર્ટીની ટ્રેનિંગ પામી ચૂકેલો આશુતોષ રાંકા ભાજપ પર દોષ આપવા લાગ્યો અને કહ્યું કે હુમલો કરનારા ગામના લોકો નહીં પણ ભાજપના માણસો હતા! પણ ગામલોકોએ તેનો પ્રોપગેન્ડા એક કલાક પણ પૂરો ચાલવા દીધો નહીં અને ઈલાજ કરી નાખ્યો.
#WATCH | Rajasthan: A Cockroach Janta Party (CJP) team, which was visiting a government school in Rampura Kanwarpura in Jaipur district, attacked by the people. The team alleges that they were attacked by BJP's people at the spot.
— ANI (@ANI) August 21, 2026
A villager, Jugal Kishore Sharma, says, "We did… pic.twitter.com/gFrj9cUQEb
ગામના લોકોએ કૅમેરાની સામે આવીને સ્પષ્ટ કહ્યું કે શાળાની સમસ્યાનું તેઓ પોતે સમાધાન લાવશે અને સરકારે પૈસાની ફાળવણી પણ કરી દીધી છે, પણ તેઓ ગામમાં કોકરોચોને ઘૂસવા નહીં દે અને ગામને રાજકારણનો અખાડો બનવા નહીં દે. કારણ કે તેઓ જાણે છે કે આખરે સમસ્યા સોલ્વ પ્રશાસન અને સરકાર જ કરશે, કોકરોચો માત્ર ફૂટેજ ખાવા માટે આવશે.
ક્રેડિટ ખાવાની કોકરોચોને કેટલી ઉતાવળ છે એનો કિસ્સો હમણાં જ આવ્યો.
રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગે 300 જર્જર શાળાઓને નવાં ભવન આપવા માટે ₹409 કરોડ ફાળવવાની જાહેરાત કરી. આ જાહેરાત શૅર કરીને દીપકેએ X પર લખ્યું, ‘રાજસ્થાનમાં સીજેપી ઈમ્પેક્ટ.’ સાથે આશુતોષ રાંકાને અભિનંદન પણ આપી દીધા!
હકીકત એ છે કે રાજસ્થાન સરકારે માર્ચ 2026માં જ નવી શાળાઓ માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારે તો આ કોકરોચોનું અસ્તિત્વ ન હતું અને બધા આમ આદમી પાર્ટી માટે કામ કરતા હતા. તો પછી આ સીજેપીની ઈમ્પેક્ટ કઈ રીતે કહેવાય?
મૂળ વાત એ છે કે આ કોકરોચ જનતા પાર્ટી એ છીછરાઓનો સમૂહ છે જેમણે રાતોરાત ક્રાંતિ લાવી નાખવી છે પણ કઈ રીતે એ તેમને પણ ખબર નથી. એટલે તેઓ અહીં-ત્યાં કૂદાકૂદ કરતા રહે છે. લોકો જેમ-જેમ આ બધું જાણી રહ્યા છે એમ-એમ પરચા દેખાડી રહ્યા છે. જોકે હિંસાનું આપણે ક્યારેય સમર્થન કરતા નથી એ હવે સુજ્ઞ વાચક સુપેરે જાણે છે.


