વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવવાનો દાવો કરતી વિપક્ષી પાર્ટીઓને ક્રેડિટ મેળવવા એકબીજા સાથે બાખડી

દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના મુદ્દાઓની આડમાં ચાલી રહેલા આંદોલને હવે આંતરિક વિવાદ અને રાજકીય વળાંક લઈ લીધો છે. વિદ્યાર્થીઓના મુદ્દે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં હવે વિપક્ષી દળો વચ્ચે ક્રેડિટ લેવાની હોડ જામી છે. INDI ગઠબંધનના સાથી પક્ષો ગણાતા આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે આ પ્રદર્શન માટે જશ ખાટવા માટે ખેંચતાણ સર્જાઈ છે.

મંગળવારે (21 જુલાઈ) વિપક્ષ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓએએ વડા પ્રધાન આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું એટલે આમ આદમી પાર્ટી જ કોંગ્રેસની સામે પડી ગઈ. AAPના નેતા આતિશી, સંજય સિંઘ અને સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓને સંસદ તરફ જતાં રોકવા માટે દિલ્હી પોલીસે લાઠીચાર્જ કર્યો પરંતુ રાહુલ ગાંધીને પીએમ આવાસ સુધી પહોંચવા દેવાયા. એટલે કે આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જુગલબંધી છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીને ડર લાગ્યો કે તેમણે કોકરોચો પાસે જે આંદોલન ઊભું કરાવ્યું એ કોંગ્રેસ હાઈજેક કરી લેશે.

પછીથી સંજય સિંઘે પણ આવી જ એક X પોસ્ટ કરી હતી. તેના વિશે જ્યારે પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને પૂછવામાં આવ્યું તો તેમણે ‘કૌન સંજય સિંઘ’ કહીને મજાક ઉડાવીને સવાલ ટાળી દીધો હતો.

માત્ર આટલું જ નહીં આંદોલનના મુદ્દે રાજકારણ રસ્તા પર જ નહીં પરંતુ સંસદના ગૃહ સુધી પહોંચ્યું છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ગઇકાલે રાહુલ ગાંધી સાથે પીએમ આવાસ મોરચો ખોલવા પહોંચી ગયા હતા તેઓ આજે લોકસભામાં વિદ્યાર્થીઓના મુદ્દે બોલવા માટે સમય ન મળતાં સંસદના સ્પીકર ઓમ બિરલા પર ગુસ્સે થઈ ગયા હતા.

વાસ્તવમાં સસંદ સત્ર દરમિયાન અખિલેશ યાદવ સહિતના નેતાઓ બોલવા માંગતા હતા પરંતુ સ્પીકરે પહેલા કોંગ્રેસના કે. સી વેણુગોપાલને બોલવા કહ્યું અને ત્યારબાદ કીરેન રિજિજૂ બોલવા લાગ્યા. જેના કારણે ગુસ્સે ભરાઈને અખિલેશ યાદવે ગૃહમાં ફરિયાદ કરી કે કોંગ્રેસને બોલવાનો સમય અપાય છે પણ સમાજવાદી પાર્ટીને સમય અપાતો નથી. અહીં ઉલ્લેખનીય છે કે કોકરોચોના પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટી પણ સામેલ રહી છે.

આ બધી પાર્ટીઓ વચ્ચેની ખેંચતાણ દર્શાવે છે કે તેમને વિદ્યાર્થીઓના મુદ્દાના જેન્યુઇન સમાધાનમાં નહીં પણ ક્રેડિટ ખાઈ જવામાં અને રાજકીય લાભ મેળવવામાં વધારે રસ છે.