હોમપેજગુજરાતપહેલાં બની મસ્જિદ, પછી વધી મુસ્લિમ વસ્તી અને ત્યારબાદ બદલી દેવાયું વિસ્તારનું...

પહેલાં બની મસ્જિદ, પછી વધી મુસ્લિમ વસ્તી અને ત્યારબાદ બદલી દેવાયું વિસ્તારનું નામ: પાટણના હારીજમાં ‘ઝાપટપરા’ થઈ ગયું ‘ઈસ્લામપુરા’– એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ

સ્થાનિકોએ કહ્યું– વર્ષોથી ઝાપટપરા ચાલતું હતું, પરંતુ મસ્જિદ બની, મુસ્લિમ વસ્તી વધવાની શરૂ થઈ અને 'ઈસ્લામપુરા' કરી દેવામાં આવ્યું. હવે એ જ નામ ચાલુ થઈ ગયું છે.

- Advertisement -

પાટણ જિલ્લાના હારીજના એક વિસ્તારનું વર્ષો જૂનું નામ બદલી નાખવાની ફરિયાદો ઉઠી છે. શહેરના વૉર્ડ નંબર 4ના એક વિસ્તારનું નામ ઝાપટપરા હતું, જેને બદલીને હવે ‘ઈસ્લામપુરા’ કરી નાખવામાં આવ્યું છે. અહીં સુધી કે સ્થાનિકોના સરકારી દસ્તાવેજોમાં પણ હવે વિસ્તારનું નામ ‘ઈસ્લામપુરા’ લખવામાં આવે છે. વિસ્તારમાં બદલાતી ડેમોગ્રાફીની ચિંતા વચ્ચે તાજેતરમાં હિંદુ સંગઠનોએ આ ફરિયાદ ઉઠાવીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તપાસ માટે ઑપઇન્ડિયા સ્થળ પર પહોંચ્યું ત્યારે આ મામલે વધુ વિગતો જાણવા મળી. એ હકીકત પણ બહાર આવી કે વિસ્તારમાં જેમ-જેમ મુસ્લિમ વસ્તી વધી અને ડેમોગ્રાફી બદલાઈ એમ નામ બદલાનું શરૂ થયું અને સરકારી દસ્તાવેજો સુધી નવું ઇસ્લામી નામ પહોંચી ગયું! સ્થાનિક હિંદુઓ હવે આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હિંદુ સંગઠનોએ પણ તપાસની માંગ કરી છે.

ઝાપટપરામાં પચાસથી લઈને એંશી વર્ષથી રહેતા પરિવારોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે વિસ્તારનું નામ વર્ષોથી ‘ઝાપટપરા’ જ ચાલી રહ્યું છે અને જૂના દસ્તાવેજોમાં પણ એ જ નામ જોવા મળે છે.

- Advertisement -

એક સ્થાનિકે જણાવ્યું, “અમારા બાપ-દાદાઓ વખતથી ઝાપટપરા નામ ચાલે છે. પરંતુ હવે દસ્તાવેજોમાં નામ બદલાઈ ગયું છે. કોઈ નવા દસ્તાવેજો બનાવવા જાય, નવું આધારકાર્ડ બનાવે તો હવે ‘ઇસ્લામપુરા’ લખેલું આવે છે. આવું કેમ થયું એ અમને ખ્યાલ નથી.”

સ્થાનિકો કહી રહ્યા છે કે તેમના વિસ્તારનું એક જ નામ છે અને એ છે ઝાપટપરા. ઇસ્લામપરા નામ પહેલાં ક્યાંય હતું જ નહીં પરંતુ છેલ્લાં 10-12 વર્ષમાં જેમ મુસ્લિમ વસ્તી વધી એમ આ નવું નામ ઘૂસાડી દેવામાં આવ્યું હતું.

મસ્જિદ બની અને વધવા માંડી વસ્તી, ફન્ડિંગ ક્યાંથી આવ્યું?

સ્થાનિકો અનુસાર, વર્ષ 2011માં વિસ્તારમાં માત્ર 20-25 ઘરો મુસ્લિમ પરિવારોનાં હતાં. આ તમામ મજૂરી કામ કરે છે. પરંતુ થોડા સમય પહેલાં અહીં એક મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું. સાથે એક મદરેસા પણ બની.

વિસ્તારના હિંદુઓનો એક પ્રશ્ન એ પણ છે કે જે મસ્જિદ બનાવવામાં આવી હતી તેના માટે આટલું ફન્ડિંગ ક્યાંથી આવ્યું. કારણ કે મસ્જિદના નિર્માણ સુધી જેટલા પરિવારો રહેતા હતા તેમાંથી કોઈની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ લાખો એકઠા કરીને આટલી મોટી ઇમારત બાંધી શકે. સ્થાનિકોને અને સંગઠનોને આશંકા છે કે મસ્જિદ નિર્માણ માટે પણ બહારથી ફન્ડિંગ આવ્યું હોય શકે.

આ મસ્જિદ બન્યા પછી ધીમે-ધીમે મુસ્લિમ ઘરો વધવા માંડ્યાં અને આજે લગભગ 200થી 300 જેટલા મુસ્લિમ પરિવારો વિસ્તારમાં રહે છે. વસ્તી જેમ વધી તેમ મુસ્લિમોએ પહેલાં અંદરોઅંદર વિસ્તારને ‘ઈસ્લામપુરા’ કહેવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ સરકારી દસ્તાવેજોમાં પણ એ જ લખાવવાનું શરૂ થઈ ગયું. ત્યારબાદ સ્થાનિક હિંદુઓના દસ્તાવેજોમાં જ ‘ઝાપટપરા’ની જગ્યા ‘ઈસ્લામપુરા’એ લઈ લીધી. ઉપરાંત, વિસ્તારમાં હાલની વસતીમાંથી મોટાભાગના પરપ્રાંતિયો હોવાનું જાણવા મળ્યું છે.

જૂના દસ્તાવેજોમાં, પાલિકાના દસ્તાવેજોમાં ચાલે છે ‘ઝાપટપરા’

ઑપઇન્ડિયાએ સ્થાનિકો પાસે જઈને તેમના સરકારી દસ્તાવેજો જોતાં જાણવા મળ્યું કે 70-80 વર્ષોના વૃદ્ધોના દસ્તાવેજો, જે વર્ષો પહેલાં બન્યા છે, તેમાં ‘ઝાપટપરા’ લખવામાં આવ્યું હતું અને ‘ઈસ્લામપુરા’નો ક્યાંય ઉલ્લેખ ન હતો. પરંતુ પછીથી જે દસ્તાવેજો બન્યા કે અપડેટ થયા તેમાં ‘ઈસ્લામપુરા’ કરી દેવામાં આવ્યું અને ‘ઝાપટપરા’ ગાયબ થઈ ગયું. એક નહીં અનેક વ્યક્તિઓના દસ્તાવેજોમાં આ જ પેટર્ન જોવા મળી છે.

જ્યારે નગરપાલિકાના સત્તાવાર દસ્તાવેજોમાં ક્યાંય પણ ‘ઈસ્લામપુરા’ લખવામાં આવ્યું નથી અને બધે ‘ઝાપટપરા’ જ નામ ચાલે છે.

દરમ્યાન મસ્જિદ નજીક એક મુસ્લિમ વ્યક્તિ પણ મળ્યો. આબિદ નામનો આ શખ્સ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્વીકારે છે કે વિસ્તારનું નામ ઝાપટપરા છે પણ હવે ઈસ્લામપુરા તરીકે ઓળખાય છે. જોકે સાથે કહે છે કે તેને બહુ જાણકારી નથી કે નામ કઈ રીતે બદલાયું પરંતુ વિસ્તારમાં મુસ્લિમો રહેતા હોવાના કારણે તેને ‘ઈસ્લામપુરા’ તરીકે ઓળખાવવામાં આવે છે!

હિંદુ સ્થાનિકો કહી રહ્યા છે કે અંદરોઅંદર મુસ્લિમો કોઈ પણ નામથી વિસ્તારને બોલાવતા હોય તેનાથી સત્તાવાર રીતે નામ બદલાઈ જતું નથી અને સરકારી દસ્તાવેજોમાં તે ન લખી શકાય. વળી એક વ્યક્તિએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં પહેલાં મુસ્લિમોનાં થોડાં ઘર હતાં, પરંતુ હવે વધી ગયાં છે. જેના કારણે હિંદુઓ ઘર વેચીને જતા રહે છે. તેમણે વિસ્તારમાં ‘અશાંતધારો’ લાગુ કરવાની પણ માંગ કરી હતી.

અહીં જુઓ સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ:

જેમણે ષડ્યંત્ર રચ્યું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે: VHP

સમગ્ર મામલે હિંદુ સંગઠનોએ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. હારીજ નગર વિશ્વ હિંદુ પરિષદના મંત્રી રવિ પ્રજાપતિ કહે છે કે, “અમે અઠવાડિયા અગાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિસ્તારના તમામ લોકોના દસ્તાવેજોમાં સુધારો કરીને વિસ્તારનું નામ ફરીથી ઝાપટપરા કરવા માટેની માંગ કરી છે. તેમજ જે કોઈ અધિકારીઓ કે સ્થાનિક મુસ્લિમોએ ષડ્યંત્રપૂર્વક વિસ્તારનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં