
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરના દાનમાં ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે (13 જુલાઈ) શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને નોટિસ જારી કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને (SIT) આગામી સુનાવણીમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તેમજ SITની રચના સંબંધિત દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે SIT પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની આગામી સુનાવણી 20 જુલાઈએ નિર્ધારિત કરી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં રામ મંદિરના દાનમાં થયેલી ગેરરીતિની CBI તપાસ, ફોરેન્સિક ઓડિટ અને કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. અરજદારોનો દાવો છે કે કરોડો ભક્તોના દાનની પારદર્શક તપાસ જરૂરી છે.
આ સમગ્ર વિવાદ દાનની ગણતરી અને તેની હેરફેરમાં અનિયમિતતાઓના આરોપો બાદ શરૂ થયો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી અને FIR નોંધાયા બાદ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપીઓએ મંદિરની દાન ગણતરી વ્યવસ્થાની ખામીઓનો લાભ લઈને લાંબા સમય સુધી ગેરરીતિ આચરી હતી.
તપાસ દરમિયાન સામે આવેલા પ્રાથમિક તારણોમાં દાન ગણતરી પ્રણાલીમાં ગંભીર સુરક્ષા અને પ્રક્રિયાત્મક ખામીઓ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. SITના પ્રાથમિક અહેવાલ મુજબ દાન ગણતરી દરમિયાન સુરક્ષાની અનેક વ્યવસ્થાઓનું પાલન થતું ન હતું, જેના કારણે રોકડની ઉચાપત શક્ય બની હતી. અગાઉ દાનપેટીઓનું મિશ્રણ, દેખરેખનો અભાવ અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર બેદરકારીની પણ નોંધ લેવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેને ટ્રસ્ટે સ્વીકારી લીધું હતું. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ પદ છોડ્યું હતું. બીજી તરફ RSSએ પણ આ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી SIT તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

