લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ડિસ્ચાર્જ કરવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટ પહોંચી CBI, તપાસ અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ પર સ્ટે

દિલ્હીની દારૂ નીતિ કૌભાંડ કેસમાં ફરી એક વખત કાનૂની લડાઈ તેજ થઈ ગઈ છે. CBIએ ટ્રાયલ કોર્ટના તે નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, BRSની નેતા કે. કવિતા સહિત કુલ 23 આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે હાઇકોર્ટે CBIના તે આદેશ પર સ્ટે લગાવી દીધો છે, જેમાં તપાસ અધિકારીઓ વિરુદ્ધ વિભાગીત કાર્યવાહીનું કહેવામાં આવ્યું હતું.

27 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પેશિયલ કોર્ટે CBIની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરીને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા, જેને CBIએ ‘સ્પષ્ટપણે ગેરકાયદેસર, વિકૃત’ નિર્ણય ગણાવ્યો છે. CBIએ પોતાની 974 પેજની રિવિઝન અરજીમાં ટ્રાયલ કોર્ટના આદેશને ‘મિની-ટ્રાયલ’ જેવો ગણાવ્યો છે, જેમાં પુરાવાઓનું સિલેક્ટિવ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તપાસ અધિકારી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, જેના પર CBIએ સ્ટેની માંગ કરી છે. જોકે, કોર્ટે સ્ટે લગાવી દીધો છે.

વધુમાં જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ ટ્રાયલ કોર્ટને એ પણ કહ્યું છે કે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) કેસની સુનાવણી ત્યાં સુધી સ્થગિત રાખે, જ્યાં સુધી હાઇકોર્ટ તમામ આરોપીઓને ડિસ્ચાર્જ કરવા વિરુદ્ધ CBIની રિવિઝન અરજી પર નિર્ણય ન કરી લે.

9 માર્ચ 2026ના રોજ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ, જ્યાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ CBI તરફથી રજૂ થઈને કેસને ‘દેશની રાજધાનીના ઇતિહાસનો સૌથી મોટું કૌભાંડ’ અને ‘નેશનલ શેમ’ ગણાવ્યો. 

મહેતાએ કોર્ટને જણાવ્યું કે તપાસ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી હતી, જેમાં દરેક કાવતરાંનાં પાસાને સાબિત કરતા પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા. તેમણે હવાલા દ્વારા પૈસાના ટ્રાન્સફર, 19 કરોડથી 100 કરોડ સુધીની લાંચ અને તેમાંથી 44.50 કરોડ રૂપિયા ગોવા ચૂંટણી માટે વપરાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

SG મહેતાએ ભાર મૂકીને કહ્યું કે અપ્રૂવરોના (જેમ કે દિનેશ અરોડા) 164 CrPC હેઠળ આપેલા નિવેદનોને ચાર્જ ફ્રેમિંગના તબક્કે mઅહત્વ આપવું જોઈએ, પરંતુ ટ્રાયલ કોર્ટે તેમને અવગણીને ટ્રાયલ વગર જ ડિસ્ચાર્જ કરી દીધ. 

તેમણે વોટ્સએપ ચેટ્સ, ઈમેઈલ્સ, મોબાઈલમાં નોટ્સ અને 170 ફોન ડિસ્ટ્રોય કરવા જેવા પુરાવા નષ્ટ કરવાના ઉદાહરણો આપ્યા. મહેતાએ સવાલ ઉઠાવ્યો કે મીટિંગ્સ થઈ હતી, પરંતુ તેમાં શું ચર્ચા થઈ તેનો ડાયરેક્ટ પુરાવો ન હોવા પર શું તપાસ એજન્સીએ તેમની સાથે બેસીને રેકોર્ડિંગ કરવી જોઈએ?

CBIનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક તથ્યાત્મક ભૂલો છે અને અપ્રૂવર નિવેદનોને ક્રોસ-એક્ઝામિનેશન વગર નકારી ન શકાય. સુનાવણી હજુ ચાલુ છે અને કોર્ટે કેસ પર વિસ્તારથી સુનાવણી કરી છે. આ કેસ રાજકીય રીતે સંવેદનશીલ છે, કારણ કે તે AAP અને કેજરીવાલ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં નવો વળાંક લાવી શકે છે.