હોમપેજરાજકારણબંગાળ યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિનું અપમાન, પ્રોટોકોલ ઉલ્લંઘન બદલ મમતા સરકાર પર સવાલ:...

બંગાળ યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિનું અપમાન, પ્રોટોકોલ ઉલ્લંઘન બદલ મમતા સરકાર પર સવાલ: શું બન્યું હતું, જેની ઉપર કેન્દ્ર સરકારે માગ્યો રિપોર્ટ

રાષ્ટ્રપતિએ પ્રથમ વખત જાહેરમાં ટિપ્પણી કરવી પડી, વડા પ્રધાન અને મંત્રીમંડળ સહિત વિપક્ષી નેતાઓએ પણ મમતા સરકાર પર કર્યા પ્રહાર.

- Advertisement -

ભારતીય સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિનું પદ માત્ર એક બંધારણીય વડાનું પદ નથી પરંતુ તે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આયોજિત ‘અખિલ ભારતીય સંથાલ સંમેલન’ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની હાજરીમાં જે ઘટનાઓ બની તેણે દેશભરમાં એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલનું ઉલ્લંઘન, કાર્યક્રમના સ્થળમાં ફેરફાર અને મુખ્યમંત્રીની ગેરહાજરીએ મોટો વિવાદ અને પ્રોટોકોલની જાળવણી અંગેના પ્રશ્નો ઉભા કર્યા છે.

7 માર્ચ, 2026ના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં યોજાયેલા 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ પરિષદ ઇન્ટરનેશનલ સંથાલ કાઉન્સિલ દ્વારા આયોજિત એક ખાનગી કાર્યક્રમ હતો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. સંથાલ આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસ પર કેન્દ્રિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ જાહેરમાં રાજ્ય પ્રશાસન પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના

આ કાર્યક્રમ મૂળ રૂપે દાર્જિલિંગ જિલ્લાના બિધાનનગરમાં યોજાવાનો હતો. આ જગ્યાએ વિશાળ ખુલ્લું મેદાન હતું, જ્યાં અંદાજે 5 લાખ લોકો સરળતાથી ભેગા થઈ શકે તેમ હતા. સંથાલ સમુદાયના લોકો માટે આ સ્થળ અનુકૂળ અને સુલભ હતું. જોકે, રાજ્ય પ્રશાસને છેલ્લી ઘડીએ સુરક્ષા, ભીડ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સના કારણોસર સ્થળ બદલીને ગોસાઈનપુર કરી દીધું હતું. આ નવું સ્થળ નાનું, દૂર અને અસુવિધાજનક હતું, જેના કારણે હજારો લોકો ભાગ લઈ શક્યા નહીં.

- Advertisement -

વધુમાં વિવાદ ત્યાં પણ થયો જ્યારે રાષ્ટ્રપતિના આગમન પર એરપોર્ટ અથવા કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રી મમતા બેનર્જી કે કોઈ કેબિનેટ મંત્રી હાજર જ નહોતાં. માત્ર સિલિગુડી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, દાર્જિલિંગના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સિલિગુડી પોલીસ કમિશનર જ રાષ્ટ્રપતિના આગમન સમયે હાજર હતા. આ પરિષદ પછી રાષ્ટ્રપતિ મૂળ સ્થળ બિધાનનગર પહોંચ્યાં અને ત્યાંની વિશાળ જગ્યા જોઈ. સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેલી વ્યક્તિ જાહેર મંચ પરથી રાજકીય કે વહીવટી પ્રશ્નો ઉઠાવવાનું ટાળતી હોય છે. પરંતુ આ કિસ્સામાં પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતે જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા.

રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી નારાજગી

રાષ્ટ્રપતિએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની સરકાર પર પ્રશ્નો ઉઠાવતાં કહ્યું કે, “સરકારે કહ્યું કે આ જગ્યા (બિધાનનગર) કંજેસ્ટેડ છે, તમે જઈ શકશો નહીં. પણ મને લાગે છે કે અહીં પાંચ લાખ લોકો સરળતાથી ભેગા થઈ શકે છે. હવે મને ખબર નથી પડતી કે કાર્યક્રમ બીજા સ્થળે કેમ રાખ્યો… મને ખબર નથી કે પ્રશાસનના મગજમાં શું ચાલ્યું કે તેમણે પરિષદ માટે એવી જગ્યા પસંદ કરી જ્યાં સંથાલ લોકો જઈ જ ન શકે… મને ખૂબ દુઃખ છે કે અહીંના લોકો પરિષદમાં પહોંચી શક્યા નહીં કારણ કે તે ખૂબ દૂર હતી.”

તેમણે આગળ કહ્યું કે, “જો કાર્યક્રમ ત્યાં (બિધાનનગર) યોજાયો હોત તો વધુ સારું હોત. ત્યાં પૂરતી જગ્યા છે, અને ઘણા લોકો આવી શક્યા હોત. પણ મને ખબર નથી કે રાજ્ય પ્રશાસને ત્યાં કાર્યક્રમની પરવાનગી કેમ ન આપી. આજનો કાર્યક્રમ એવી જગ્યાએ યોજાઈ રહ્યો છે કે લોકો માટે આવવું મુશ્કેલ છે. કદાચ રાજ્ય સરકાર આદિવાસીઓનું કલ્યાણ ઇચ્છતી નથી અને તેથી તેમને અહીં આવતા અટકાવવામાં આવ્યા.”

રાષ્ટ્રપતિ મૂર્મુએ આગળ કહ્યું કે, “કેટલાક લોકો સંથાલોને એકજૂટ થતા, પ્રગતિ કરતા, શિક્ષિત થતા જોવા નથી ઇચ્છતા… કેટલાક લોકો સંથાલોને મજબૂત બનતા જોવા નથી ઇચ્છતા. પણ મને ખબર છે કે સંથાલોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.”

વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું, જો રાષ્ટ્રપતિ કોઈ જગ્યા પર આવે તો મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ આવવું જોઈએ. પણ તેઓ આવ્યા નહીં… હું પણ બંગાળની દીકરી છું. તેમણે મમતા બેનર્જીને નાની બહેન ગણાવતાં કહ્યું કે “મમતા દીદી મારી નાની બહેન જેવી છે. મને ખબર નથી કે તેઓ મારા પર ગુસ્સે કેમ છે, પણ હું તેમના માટે સારું જ ઇચ્છું છું.” તેમણે કહ્યું કે મને ખબર નથી કે તેમણે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે આટલી સાંકડી જગ્યા કેમ પસંદ કરી. જો સ્થળ બીજું હોત તો વધુ લોકો આવી શક્યા હોત.

PM મોદી સહિતના નેતાઓની પ્રતિક્રિયા

આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ ઉભો થયો હતો. PM મોદી સહિતના અગ્રણી નેતાઓએ TMC સરકારની ટીકા કરી હતી. PM મોદીએ X પર લખ્યું કે, “આ અત્યંત શરમજનક બાબત છે. જે કોઈ પણ લોકશાહી અને આદિવાસી સમુદાયોના સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે તે દરેક આજે નિરાશ છે.” આગળ તેમણે લખ્યું કે ખુદ આદિવાસી સમુદાયમાંથી આવતાં રાષ્ટ્રપતિએ જે પીડા અને વેદના વ્યક્ત કરી છે તેનાથી ભારતના લોકોના મનમાં અપાર દુઃખની લાગણી જન્મી છે.

PMએ આગળ કહ્યું કે પશ્ચિમ બંગાળની TMC સરકારે ખરેખર બધી જ મર્યાદાઓ ઓળંગી દીધી છે. તેમણે રાષ્ટ્રપતિના આ અપમાન માટે મમતા સરકારના વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યું હતું. સંથાલ સમુદાયના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા PMએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે સંથાલ સંસ્કૃતિ જેવા મહત્વના વિષયને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આટલી બેદરકારીથી લેવામાં આવ્યો. અંતે PM મોદીએ લખ્યું કે, “રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે અને આ પદની ગરિમાનું હંમેશા સન્માન જળવાવું જોઈએ. આશા છે કે પશ્ચિમ બંગાળ સરકાર અને TMC સદબુદ્ધિ વાપરે.”

ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા આ ઘટનાને ભારતના રાષ્ટ્રપતિનું અપમાન અને પ્રોટોકોલનો સ્પષ્ટ અનાદર ગણાવી હતી. તેમણે X પર લખ્યું કે, આ ઘટના TMC સરકારમાં પ્રસરેલા સડાને ખુલ્લો પાડે છે, જે ન માત્ર નાગરિકોના બંધારણીય અધિકારોનું પોતાની મરજી મુજબ ઉલ્લંઘન કરે છે, પરંતુ ભારતના રાષ્ટ્રપતિને પણ પોતાની જોહુકમીમાંથી બાકાત નથી રાખતો.

તેમણે કહ્યું કે, આપણા આદિવાસી ભાઈ-બહેનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પ્રત્યેનો આ અનાદર આપણા રાષ્ટ્ર અને આપણી બંધારણીય લોકશાહીને વ્યાખ્યાયિત કરતાં મૂલ્યોનું અપમાન છે. તેમણે કહ્યું કે આજે, લોકશાહીમાં વિશ્વાસ રાખનાર દરેક નાગરિક ખૂબ જ દુઃખી અને વ્યથિત છે.

આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંઘે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે X પર લખ્યું કે સંથાલ સમુદાયને તેમના પોતાના જ આંતરરાષ્ટ્રીય સંમેલનથી દૂર રાખવાની વ્યવસ્થાઓ પસંદ કરીને, TMC સરકારે માત્ર આદિવાસી સમાજની લાગણીઓનું જ અપમાન નથી કર્યું પરંતુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું કે ભારતના લોકો, ખાસ કરીને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો, આ અસંવેદનશીલ વર્તન અને તેમની સંસ્કૃતિ તેમજ રાષ્ટ્રપતિ પદના અપમાન માટે જવાબ માંગે છે.

માત્ર સત્તા પક્ષ જ નહીં પરંતુ વિપક્ષી નેતાઓએ પણ મમતા બેનર્જીના આ વ્યવહારની નિંદા કરી હતી. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ TMC સરકારની ટીકા કરતા લખ્યું હતું કે, “ભારતીય બંધારણના આદર્શો અને ગરિમા અનુસાર દરેક વ્યક્તિ માટે માનનીય રાષ્ટ્રપતિના પદનો આદર કરવો અને તેના શિસ્તભંગનું પાલન કરવું જરૂરી છે. આ પદનું કોઈપણ રીતે રાજકારણ કરવું યોગ્ય નથી.”

તેમણે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. વધુમાં તેમણે લોકસભાના અધ્યક્ષ પદનું રાજકીયકરણ પણ અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, જો દરેક વ્યક્તિ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠે અને બંધારણીય પદોની ગરિમાનું સન્માન કરે અને તેનું સન્માન કરે તો તે વધુ સારું રહેશે.

વધુમાં આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ X પર લખ્યું હતું કે, રાષ્ટ્રપતિનું કાર્યાલય આપણા પ્રજાસત્તાકની ગરિમાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની સાથે હંમેશા ઉચ્ચતમ આદર અને સૌજન્યથી વર્તવું જોઈએ. તેમણે કહ્યું કે જીવંત લોકશાહીમાં, બંધારણીય સંસ્થાઓ રાજકારણથી ઉપર હોય છે, અને તેમની પવિત્રતા જાળવી રાખવી એ આપણી સામૂહિક ફરજ છે.

આ મામલે કેન્દ્ર સરકારે પગલાં લીધાં છે અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સ્વાગત માટે નક્કી કરાયેલા પ્રોટોકોલમાં ક્ષતિઓ, દાર્જિલિંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનના સ્થળમાં ફેરફાર અને અન્ય સંબંધિત વ્યવસ્થાઓ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

રાષ્ટ્રપતિના આગમન પરના પ્રોટોકોલ

ભારતમાં રાષ્ટ્રપતિની રાજ્ય મુલાકાતો દરમિયાન પ્રોટોકોલ ખૂબ જ કડક અને બંધારણીય મહત્વના હોય છે. રાષ્ટ્રપતિને રાજ્યના મહેમાન ગણવામાં આવે છે, જે દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું પ્રતીક છે. આ પ્રોટોકોલ રાષ્ટ્રપતિ ભવન અને રાજ્ય સરકાર વચ્ચે અગાઉથી સંકલન દ્વારા નક્કી થાય છે. તેમાં મુખ્યત્વે આગમન, સ્વાગત, કાર્યક્રમોની વ્યવસ્થા, સુરક્ષા અને પ્રસ્થાનના સમયે આદરના નિયમો સામેલ હોય છે.

પ્રથમ: આગમન (Arrival) અને પ્રસ્થાન (Departure) પર સ્વાગત અને વિદાયની વ્યવસ્થા અત્યંત મહત્વની છે. જ્યારે પણ રાષ્ટ્રપતિ રાજ્યના મહેમાન બને ત્યારે રાજ્યપાલે એરપોર્ટ, હેલિપેડ અથવા રેલ્વે સ્ટેશન પર સ્વાગત અને વિદાય આપવી ફરજિયાત છે. આ સિવાય મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ પણ હાજર રહીને સ્વાગત કરવાનું હોય છે, ખાસ કરીને જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ઔપચારિક કાર્યક્રમમાં ભાગ લેતા હોય. આ સ્વાગતમાં ગાર્ડ ઑફ ઑનર, પોલીસ બેન્ડ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય ઔપચારિક વ્યવસ્થા સામેલ હોય છે. આ નિયમો રાજ્ય સરકારોના પ્રોટોકોલ માર્ગદર્શિકામાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે.

બીજું, કાર્યક્રમો દરમિયાન વ્યવસ્થા અને સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. કાર્યક્રમ સ્થળે યોગ્ય સુરક્ષા, વિશાળ જગ્યા, સુવિધાઓ જેમ કે પાણી, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ભીડ વ્યવસ્થાપન અને અન્ય લોજિસ્ટિક્સની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓની હાજરી જરૂરી માનવામાં આવે છે. વેન્યુ અને સમય અગાઉથી રાષ્ટ્રપતિ ઓફિસ સાથે સંકલન કરીને નક્કી થાય છે અને છેલ્લી ઘડીએ તેને બદલી શકાતું નથી કારણ કે તે પ્રોટોકોલ અને આયોજનના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.

ત્રીજું, સામાન્ય નિયમો અનુસાર રાષ્ટ્રપતિને રાજ્યમાં રાજ્ય મહેમાન તરીકે ગણવામાં આવે છે, જેમાં તમામ વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી હોય છે. પ્રોટોકોલમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીને સૌથી ઉપરનું મહત્વ આપવામાં આવે છે, કારણ કે તેઓ રાજ્યના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. આ નિયમો વિવિધ રાજ્યોના પ્રોટોકોલ વિભાગના દસ્તાવેજોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલા છે.

પશ્ચિમ બંગાળમાં થયું પ્રોટોકોલનું ઉલ્લંઘન

પશ્ચિમ બંગાળમાં આ પ્રોટોકોલ ઉલ્લંઘનના આરોપો લાગ્યા છે. જેમાં સૌપ્રથમ, મુખ્યમંત્રી અને મંત્રીઓની ગેરહાજરી એ સૌથી મોટો આરોપ છે. એરપોર્ટ (સિલિગુડી) અથવા કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રી મમતા બેનર્જી કે કોઈ કેબિનેટ મંત્રી હાજર નહોતાં. માત્ર સિલિગુડી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, દાર્જિલિંગના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સિલિગુડી પોલીસ કમિશનરે જ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ પ્રોટોકોલનું સીધું ઉલ્લંઘન છે, કારણ કે મુખ્યમંત્રીની હાજરી રાજ્યના પ્રતિનિધિ તરીકે ફરજિયાત માનવામાં આવે છે.

બીજું સ્થળ છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યું જે બીજો મોટો મુદ્દો છે. મૂળ સ્થળ એટલે બિધાનગરમાં અંદાજે 5 લાખ લોકો સરળતાથી ભેગા થઈ શકે તેમ હતા અને સંથાલ સમુદાય માટે એ અનુકૂળ પણ હતું. આ બદલાવને પ્રોટોકોલ અને અગાઉથી સંકલિત યોજનાનું ઉલ્લંઘન ગણવામાં આવે છે. જોકે, રાજ્ય સરકારે આ ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે અને આ આરોપોને નકારતા મમતા બેનર્જીએ આને ખાનગી કાર્યક્રમ ગણાવ્યો હતો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં