લોકોના પૈસે જાહેરમાં કરુણાનિધિની પ્રતિમા સ્થાપવા માંગતી હતી સ્ટાલિન સરકાર, સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે તમિલનાડુની ડીએમકેના (દ્રવિડ મુન્નેત્ર કઝગમ) નેતૃત્વ હેઠળની સરકારને તીખી ફટકાર લગાવી છે. સરકારે પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની કાંસાની મૂર્તિ સ્થાપવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવાની અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી છે. કોર્ટના ન્યાયાધીશો વિક્રમ નાથ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે પૂછ્યું, “આની કેવી રીતે પરવાનગી આપી શકાય? તમે તમારા પૂર્વ નેતાઓની મહિમા માટે જાહેર ભંડોળનો કેમ ઉપયોગ કરો છો?” આ નિર્ણય સાથે જ તમિલનાડુ સરકારને મદ્રાસ હાઇકોર્ટ તરફ વાળવાનો આદેશ આપ્યો છે, જેથી આવા મુદ્દાઓ પર વધુ વિચારણા થઈ શકે.

નોંધનીય છે કે એમ. કરુણાનિધિની યાદમાં તમિલનાડુ સરકારે વિવિધ સ્થળોએ મૂર્તિઓ સ્થાપવાની યોજના બનાવી છે, જેમાં તિરુનેલવેલી જિલ્લાના વલ્લિયુર ડેઈલી વેજીટેબલ માર્કેટના મુખ્ય રસ્તા પરના પબ્લિક આર્ચ પાસે એક બ્રોન્ઝ મૂર્તિ અને નેમપ્લેટ સ્થાપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. પરંતુ આ યોજના વિવાદમાં સપડાઈ કારણ કે તે જાહેર જમીન પર છે અને તેના માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવનાર છે.

તમિલનાડુ સરકારે આ માટે સ્પેશિયલ લીવ પિટિશન (એસએલપી) દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ મૂર્તિ સ્થાપના તેમના નેતાને શ્રદ્ધાંજલિ આપવાનો એક રીત છે. સરકારનું કહેવું હતું કે આવી વ્યવસ્થા લોકોને ‘પ્રેરણા આપશે’ અને રાજ્યના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરાવશે. જોકે, કોર્ટનું માનવું છે કે આવા પ્રયાસો જાહેર સ્થળો પર વ્યવહારુ સમસ્યાઓ ઉભી કરે છે અને કરદાતાઓના પૈસાનો ચોખ્ખો દુરુપયોગ છે.

આ કેસની શરૂઆત મદ્રાસ હાઇકોર્ટથી થઈ હતી. હાઇકોર્ટે પહેલાં જ તમિલનાડુ સરકારને આ મૂર્તિ સ્થાપવાની પરવાનગી આપી નહોતી. હાઇકોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે જાહેર સ્થળો પર મૂર્તિઓ સ્થાપવાથી ટ્રાફિક જામ, વ્યવહારુ મુશ્કેલીઓ અને સામાન્ય લોકોને તકલીફ થાય છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું, “ભારતીય બંધારણ હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું સરકારનું કર્તવ્ય છે. જ્યારે સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પર મૂર્તિઓ સ્થાપવા પર પ્રતિબંધ મૂક્યો હોય ત્યારે રાજ્ય સરકાર આવા આદેશો આપી શકે નહીં.” આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના પહેલાના આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જાહેર જમીન પર રાજકીય વ્યક્તિઓની મૂર્તિઓ સ્થાપવા પર પ્રતિબંધ છે.

આ ચુકાદા વિરુદ્ધ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. સરકારના વકીલોએ દલીલ કરી કે આ મૂર્તિ સ્થાપના રાજ્યના ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વને કારણે જરૂરી છે અને તેમાં કોઈ વ્યવહારુ સમસ્યા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલોને નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે જાહેર ભંડોળનો ઉપયોગ રાજકીય નેતાઓની મહિમા માટે ન થવો જોઈએ, કારણ કે તે કરદાતાઓનાં હિતો વિરુદ્ધ છે. કોર્ટે અરજી રદ કરી દીધી અને સરકારને મદ્રાસ હાઇકોર્ટમાં જવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટની બેન્ચે તમિલનાડુ સરકારને પૂછ્યું, “જાહેર ભંડોળનો ઉપયોગ પૂર્વ નેતાઓની મહિમા માટે કેમ કરવો? આ પરવાનગીયુક્ત નથી.”

નોંધનીય છે કે એમ. કરુણાનિધિ ડીએમકે પાર્ટીના સ્થાપક અને પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે– 1969-71, 1971-76, 1989-91, 1996-2001 અને 2006-2011. 7 ઓગસ્ટ 2018ના રોજ 94 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. હાલના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન કરુણાનિધિના પુત્ર થાય.