ભોજપુરી ગાયિકા નેહા સિંઘ રાઠોડની FIR રદ કરવાની માંગ અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, પહલગામ હુમલા બાદ પીએમ મોદીને ટાર્ગેટ કરીને કરી હતી વિવાદિત પોસ્ટ

અલ્હાબાદ હાઇકોર્ટે ભોજપુરી સિંગર નેહા સિંઘ રાઠોડને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે તેની તે અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે વડા પ્રધાન મોદી, બિહાર ચૂંટણી અને હિંદુ-મુસ્લિમ રાજકારણ સાથે જોડાયેલા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર નોંધાયેલી FIR રદ કરવાની માંગણી કરી હતી. 

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 13 સપ્ટેમ્બરના આદેશમાં કહ્યું છે કે નેહા વિરુદ્ધ લાગેલા આરોપ ‘સંજ્ઞેય ગુના’ની શ્રેણીમાં આવે છે અને તેની તપાસ થવી જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નેહાને 26 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે અધિકારી સામે હાજર થવું પડશે અને પોલીસ રિપોર્ટ દાખલ થવા સુધી સહયોગ આપવો પડશે. 

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, નેહાની પોસ્ટમાં વડા પ્રધાનનું નામ અપમાજનક રીતે ઉપયોગમાં લેવાયું છે. સાથે જ ભાજપ પર પાકિસ્તાન સાથે યુદ્ધ છેડવાના અને જવાનોના જીવ દાવ પર લગાવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે, પોસ્ટનો સમય અગત્યનો છે, કારણ કે પહાલગામ આતંકી હુમલાના તુરંત બાદ આ પોસ્ટ કરવામાં આવી હતી. 

નેહાના વકીલે આ પોસ્ટને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી હતી, પણ કોર્ટે કહ્યું કે આ માત્ર વિચારોની અભિવ્યક્તિ નાથી, પરંતુ દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રી પર સીધો હુમલો અને રાજકીય-ધાર્મિક રંગ આપવાના પ્રયાસો છે. આ કારણે અરજી ફગાવી દેવામાં આવે છે.