બિહારમાં ચાલતી SIR પ્રક્રિયાના વિપક્ષ દ્વારા વિરોધ અને ત્યારબાદ રાહુલ ગાંધીની ચૂંટણીઓમાં કથિત રીતે ગેરરીતિ થઈ હોવાના આરોપવાળી પ્રેસ કૉન્ફરન્સ બાદ એક તરફ જ્યાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે ત્યાં બીજી તરફ ભાજપ પણ હવે કોંગ્રેસ અને વિપક્ષનાં બેવડાં ધોરણો સામે મેદાને પડ્યો છે. બુધવારે (13 ઑગસ્ટ) એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પાર્ટીએ આંકડાઓ અને માહિતી સાથે જણાવ્યું કે કઈ રીતે INDI ગઠબંધનના નેતાઓ જે બેઠકો પરથી જીત્યા હતા ત્યાં પણ ગેરરીતિ જોવા મળી છે. હવે ભાજપે સોનિયા ગાંધી પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ ભારતીય નાગરિક બન્યાં તે પહેલાં જ નામ મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવ્યું હતું.
અમિત માલવિયાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ” ભારતની મતદાર યાદી સાથેનો સોનિયા ગાંધીનો સંબંધ ચૂંટણી કાયદાઓનાં ઘોર ઉલ્લંઘનોથી ભરેલો રહ્યો છે. કદાચ એટલા માટે જ રાહુલ ગાંધી અયોગ્ય અને ગેરકાયદેસર મતદારોને નિયમિત કરવાના પક્ષમાં છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો (SIR) વિરોધ કરે છે.”
માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધીનું નામ અગાઉથી મતદાર યાદીમાં ઉમેરી દેવામાં આવ્યું, જ્યારે તેઓ ભારતીય નાગરિક પછીથી બન્યાં. તેમણે કહ્યું, “ભારતીય નાગરિક બન્યાના ત્રણ વર્ષ પહેલાં – તેમનું નામ પહેલી વાર 1980માં મતદાર યાદીમાં દેખાયું હતું જ્યારે તેમની પાસે હજુ પણ ઇટાલિયન નાગરિકતા હતી. તે સમયે ગાંધી પરિવાર 1, સફદરજંગ રોડ પર રહેતો હતો, જે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન હતું. ત્યાં સુધીમાં તે સરનામે નોંધાયેલા મતદારો ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધી હતાં. 1980માં નવી દિલ્હી સંસદીય મતવિસ્તાર માટેની મતદાર યાદીમાં સુધારો કરીને 1 જાન્યુઆરી, 1980ને પાત્રતા તારીખ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ સુધારા દરમિયાન સોનિયા ગાંધીનું નામ મતદાન મથક 145ના સીરિયલ નંબર 388 પર ઉમેરવામાં આવ્યું હતું.”
Sonia Gandhi’s tryst with India’s voters’ list is riddled with glaring violations of electoral law. This perhaps explains Rahul Gandhi’s fondness for regularising ineligible and illegal voters, and his opposition to the Special Intensive Revision (SIR).
— Amit Malviya (@amitmalviya) August 13, 2025
Her name first appeared… pic.twitter.com/upl1LM8Xhl
વધુમાં તેમણે લખ્યું હતું કે, “આ એન્ટ્રી એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું જેમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જરૂરી છે. 1982માં ભારે વિરોધ પછી તેમનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું અને 1983માં ફરીથી નાખી દેવામાં આવ્યું. પરંતુ તેના કારણે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા. તે વર્ષે મતદાર યાદીના નવા સુધારામાં સોનિયા ગાંધીનું નામ મતદાન મથક 140માં ક્રમાંક 236 પર દેખાયું. નોંધણી માટેની તારીખ 1 જાન્યુઆરી, 1983 હતી, પરંતુ સોનિયા ગાંધીને ભારતીય નાગરિકતા છેક 30 એપ્રિલ, 1983ના રોજ મળી.”
માલવિયા કહે છે કે, “બીજા શબ્દોમાં કહીએ તો, સોનિયા ગાંધીનું નામ મૂળભૂત નાગરિકત્વની આવશ્યકતા પૂરી કર્યા વિના મતદાર યાદીમાં બે વાર દેખાયું– પ્રથમ 1980માં ઇટાલિયન નાગરિક તરીકે, અને પછી 1983માં, તેઓ કાયદેસર રીતે ભારતીય નાગરિક બન્યાં તેના થોડા મહિના પહેલાં.” અંતે તેમણે કહ્યું કે, “આપણે એ પણ નહીં પૂછીએ કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી તેમને ભારતીય નાગરિકતા સ્વીકારવામાં 15 વર્ષ કેમ લાગ્યાં, પણ આ ગેરરીતિ નથી તો બીજું શું છે?”


