મારામારીના કેસમાં પકડાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે અને હજુ થોડા દિવસ ત્યાં જ રહેવું પડશે. કારણ એ છે કે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) તેમની જામીન અરજી પર સુનાવણી ઑગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. નોંધનીય છે કે વસાવાની ધરપકડ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી કરવાના આરોપસર કરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે 22 જુલાઈ, 2025ના રોજ ચૈતર વસાવાની નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જેમાં સરકાર તરફથી વકીલે વધુ સમયની માંગ કરતાં કોર્ટે સુનાવણી 5 ઑગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે. આનો અર્થ એ થયો કે વસાવા ઓછામાં ઓછી 5 ઑગસ્ટ સુધી વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. આ તારીખે સુનાવણી દરમિયાન જો તેમની જામીન અરજી મંજૂર થશે તો તેઓ જેલમાંથી મુક્ત થઈ શકે છે. જો નામંજૂર થઈ તો સ્વાભાવિક રીતે વધુ સમય રહેવું પડશે.
Gujarat AAP MLA Chaitar Vasava to Stay in Jail, High Court Postpones Bail Hearing to August 5 | TV9Gujarati#ChaitarVasava #GujaratHighCourt #AAPMLA #BailHearing #GujaratNews #DediapadaMLA #AttemptToMurderCase #TV9Gujarati pic.twitter.com/a6wRNutOif
— Tv9 Gujarati (@tv9gujarati) July 22, 2025
કેસની વિગતો
ચૈતર વસાવા સામે 5 જુલાઈ, 2025ના રોજ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ભાજપના તાલુકા પ્રમુખ સંજય વસાવા દ્વારા હત્યાના પ્રયાસ (BNS 109) સહિતના આરોપો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પછીથી પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ BNSની કલમ 79, 115, 351, 352 અને 324 વગેરે હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી લીધી હતી.
આ કેસ ઉપરાંત, ચૈતર વસાવા અગાઉ નવેમ્બર 2023માં દાખલ થયેલા એક અન્ય FIRના સંબંધમાં પણ વિવાદમાં હતા, જેમાં તેમના પર ફોરેસ્ટ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર, હુમલો અને ખંડણીના આરોપો લાગ્યા હતા. આ કેસમાં તેઓ પ્રોબેશન પર હતા. જેનો ઉલ્લેખ કરીને પ્રોસિક્યુશને નર્મદા સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી કે ચૈતરે પ્રોબેશન દરમિયાન ગુનો કર્યો છે અને અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ દલીલોના આધાર પર તેમની જામીન અરજી 14 જુલાઈ, 2025ના રોજ નામંજૂર થઈ હતી. નોંધનીય છે કે આ પહેલાં પણ ચૈતર જેલવાસ ભોગવી ચૂક્યા છે. ફોરેસ્ટ ઓફિસર સાથે દુર્વ્યવહારના કેસમાં તેમણે 48 દિવસ જેલમાં કાઢવા પડ્યા હતા.
મહિલા નેતા સાથે દુર્વ્યવહારના છે આરોપ
આ નવા કેસમાં ચૈતર વસાવા પર મહિલા નેતા સાથે દુર્વ્યવહાર અને ભાજપ નેતા સંજય વસાવા સ્થે મારામારી કરવાનો આરોપ છે. નોંધનીય છે કે નર્મદા સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા બાદ ચૈતરે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર બેલ માટે અરજી કરી, જેની સુનાવણી 22 જુલાઈ, 2025ના રોજ થઈ હતી.
જસ્ટિસ એમ. આર. મેંગડેની બેન્ચે રાજ્ય સરકારને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો અને સુનાવણી 5 ઑગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે. ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ઓછામાં ઓછા 5 ઓગસ્ટ, 2025 સુધી જેલમાં રહેશે.


