દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) ગુરુવારે (17 જુલાઈ) 70 ભારતીય નાગરિકો (Indian citizens) વિરુદ્ધ નોંધાયેલી 16 FIR રદ કરી દીધી છે. તે તમામ લોકો પર આરોપ હતો કે, તેમણે 2020માં કોવિડ-19 (Covid-19) મહામારી દરમિયાન તબ્લીગી જમાતના (Tablighi Jamaat) વિદેશીઓને શરણ આપ્યું હતું. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની સિંગલ બેન્ચે 70 આરોપીઓની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે ન માત્ર આરોપીઓની FIR જ રદ કરી, પરંતુ તેમની સામે દાખલ ચાર્જશીટ પણ રદ કરી દીધી હતી.
FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ 70 લોકોએ કોવિડ મહામારીની પહેલી લહેર દરમિયાન નિઝામુદ્દીન મરકઝમાં આયોજિત તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા 190થી વધુ વિદેશી નાગરિકોને શરણ આપ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં તેની ટીકાઓ કરવામાં આવી હતી, કારણ કે આશ્રય પામેલા વિદેશીઓ પર લોકડાઉન અને જન સ્વાસ્થ્ય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અરજદારો તરફથી હાજર રહેલા વકીલો આશિમા મંડલા અને મંદાકિની સિંઘે દલીલ કરી હતી કે, તે સમયે લાગુ થયેલા પ્રતિબંધક આદેશો ફક્ત ધાર્મિક મેળાવડા અને સમારંભોને પ્રતિબંધિત કરતા હતા. તેમણે કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટ્સે પોતે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું પરંતુ ફક્ત કાર્યક્રમમાં હાજરી આપનારાઓને આશ્રય આપ્યો હતો.
#BREAKING Delhi High Court quashes 16 cases against various Indian nationals accused of sheltering attendees of Tablighi Jamaat congregation in their homes or mosques during COVID-19.
— Live Law (@LiveLawIndia) July 17, 2025
“Chargesheets quashed,” Court said. #TablighiJamaat #DelhiHighCourt #DelhiPolice pic.twitter.com/AvhRuh7NOq
અરજદારોએ એવી પણ દલીલ કરી હતી કે, FIR અન્યાયી, બનાવટી અને કાયદેસર રીતે અસમર્થ છે. વધુમાં એવો દાવો કર્યો હતો કે, આ આરોપો તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને તેમાં કોઈ વાસ્તવિક આધાર નથી. આરોપીઓ પર IPC, મહામારી અધિનિયમ, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને વિદેશી કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
બીજી તરફ, દિલ્હી પોલીસ, જેનું પ્રતિનિધિત્વ એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ (ASC) અમોલ સિંહા અને એડવોકેટ્સ ક્ષિતિજ ગર્ગ, નીતિશ ધવન, રાહુલ કોચર, છવી લાઝરસ અને સંસ્કૃતિ નિમ્બેકર દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવ્યું હતું, તેમણે FIR રદ કરવાની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, આરોપીઓએ જાણી જોઈને એવા લોકોને આશ્રય આપ્યો હતો જેમણે કોવિડ-19 ના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું.
જોકે, અરજદારોના વકીલોએ ધ્યાન દોર્યું હતું કે, પોલીસે તબ્લીગી જમાત મામલે મુખ્ય વ્યક્તિ મૌલાના સાદ સામે સંબંધિત કેસમાં હજુ સુધી ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નથી. બંને પક્ષોને સાંભળ્યા પછી હાઇકોર્ટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપ્યો અને 70 વ્યક્તિઓ સામે નોંધાયેલી તમામ 16 FIR રદ કરી હતી.


