Saturday, September 21, 2024
More
    હોમપેજગુજરાતતિરુપતિ પ્રસાદ વિવાદમાં અમૂલને ઘસડવામાં આવતાં GCMMFએ શરૂ કરી કાયદેસર કાર્યવાહી: અમદાવાદ...

    તિરુપતિ પ્રસાદ વિવાદમાં અમૂલને ઘસડવામાં આવતાં GCMMFએ શરૂ કરી કાયદેસર કાર્યવાહી: અમદાવાદ સાયબર ક્રાઈમમાં X યુઝરો સામે FIR, આરોપીઓમાં કોંગ્રેસ સમર્થક પણ

    ફરિયાદ GCMMF લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર (સેલ્સ) હેમંત ગાવાનીએ નોંધાવી હતી. જેના આધારે અમદાવાદ પોલીસે કુલ સાત X અકાઉન્ટ્સ સામે FIR દાખલ કરી છે.

    - Advertisement -

    તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને ચાલતા વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સમર્થકો સહિત અમુક અકાઉન્ટ્સે અમૂલને ટાર્ગેટ કરીને ખોટી માહિતી ફેલાવી હતી. જે મામલે હવે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે. 

    ફરિયાદ GCMMF લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર (સેલ્સ) હેમંત ગાવાનીએ નોંધાવી હતી. જેના આધારે અમદાવાદ પોલીસે કુલ સાત X અકાઉન્ટ્સ સામે FIR દાખલ કરી છે. જેમાં ફેક ન્યૂઝ ફેલાવવા માટે અગાઉ પણ કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ના અકાઉન્ટધારકનો પણ સમાવેશ થાય છે. 

    ફરિયાદીએ જણાવ્યું હતું કે, 20 સપ્ટેમ્બરના રોજ તેઓ મોબાઇલ પર X સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે અલગ-અલગ અકાઉન્ટ્સ પરથી કરવામાં આવેલી અમુક પોસ્ટ્સ નજરે પડી હતી. જેમાં તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા માટે વાપરવામાં આવેલ એનિમલ ફેટવાળું ઘી અમૂલનું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આ પ્રકારની પોસ્ટ સહકારી સંસ્થા અમૂલને નુકસાન પહોંચાડવાના ઇરાદેથી કરવામાં આવી છે અને ખોટા ઇલેક્ટ્રોનિક રેકર્ડ ઊભા કરી સંસ્થા પ્રત્યે દ્વેષ ઉદ્ભવે તે પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    ઉલ્લેખનીય છે કે ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ શનિવારે (20 સપ્ટેમ્બર) X પર એક પોસ્ટ કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે, તિરુપતિ મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને 2023 સુધી નંદિની (કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ) દ્વારા ઘી પહોંચાડવામાં આવતું હતું. પણ પછીથી નંદિનીને હટાવીને TTDને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ અમૂલને આપવામાં આવ્યો. ત્યારબાદ આ પોસ્ટ ઘણી વાયરલ થઈ અને અન્યોએ પણ આ પ્રકારના દાવા કર્યા હતા. જોકે, પછીથી સ્પિરિટની પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી. 

    FIRમાં આરોપી બનાવવામાં આવેલા અન્ય એક અકાઉન્ટે પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘દરેક ઠેકાણે ગુજરાતનું જ કેમ કનેક્શન બહાર આવે છે?’ આરોપીઓમાં ‘સેક્યુલર બેંગાલી’ નામનું અકાઉન્ટ પણ સામેલ છે. 

    આ તમામ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(4), 196(1)(a) અને IT એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં ‘Spirit of Congress,’ ‘Banjara1991,’ ‘chandanAIPC,’ ‘SecularBengali,’ ‘rahul_1700,’ ‘profapm,’ and ‘prettypadmaja’ હેન્ડલો ધરાવનારાઓનો સમાવેશ થાય છે. 

    કાર્યવાહીને લઈને DCP સાયબર ક્રાઈમ અમદાવાદ લવલીના સિન્હાએ જણાવ્યું હતું કે, “અમને અમૂલના કર્મચારીઓ તરફથી ફરિયાદ મળી હતી અને જેના આધારે FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર, લોકોએ ખોટાં સોશિયલ મીડિયા અકાઉન્ટ થકી એવી ખોટી માહિતી ફેલાવી હતી કે તિરુપતિ પ્રસાદ માટે વપરાયેલું એનિમલ ફેટવાળું ઘી અમૂલે સપ્લાય કર્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વાયરલ ટ્વિટ્સ પોસ્ટ કરનારાં અકાઉન્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

    અમૂલ કરી ચૂક્યું છે સ્પષ્ટતા 

    અહીં ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અપપ્રચાર શરૂ થતાં શનિવારે (20 સપ્ટેમ્બર) સાંજે અમૂલ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમુક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને અમૂલ ઘી પહોંચાડવામાં આવી રહ્યું હતું. અમે જણાવવા માંગીએ છીએ કે અમે TTDને ક્યારેય પણ અમૂલ ઘી સપ્લાય કર્યું નથી.” 

    આગળ જણાવવામાં આવ્યું કે, “એ પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે અમૂલ ઘી અમારી સ્ટેટ ઑફ ધ આર્ટ પ્રોડક્શન ફેસિલિટીઝ ખાતે બનાવવામાં આવે છે, જે ISO સર્ટિફાઇડ છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાન એકદમ શુદ્ધ દૂધમનથી બનાવવામાં આવે છે. જે દૂધ અમારી ડેરીમાં આવે છે તે અત્યંત કઠોર ક્વોલિટી ચેક્સમનથી પસાર થઈને આવે છે અને તેમાં ભેળસેળ છે કે નહીં તેની પણ નિયમિત રીતે FSSAIના ધારાધોરણો મુજબ તપાસ કરવામાં આવે છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં