Thursday, September 19, 2024
More
    હોમપેજદેશવ્યવસાય- ડૉક્ટર, કામ-આતંકવાદીઓ તૈયાર કરવાનું: દિલ્હી પોલીસે પકડ્યું જે અલ-કાયદા ટેરર મોડ્યુલ,...

    વ્યવસાય- ડૉક્ટર, કામ-આતંકવાદીઓ તૈયાર કરવાનું: દિલ્હી પોલીસે પકડ્યું જે અલ-કાયદા ટેરર મોડ્યુલ, તેનો મુખ્ય સૂત્રધાર રાંચીનો ડૉ. ઈશ્તિયાક; ભારતમાં શરિયા લાવવા માંગતા હતા પકડાયેલા આતંકીઓ

    ઈશ્તિયાક અહમદનું જોડાણ અબ્દુલ રહેમાન કાટકી સાથે પણ જોવાનું તપાસમાં સામે આવ્યું છે. કાટકી અબ્દુલ રહેમાન લખવીનો નજીકનો માણસ છે, જેણે 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું રચવામાં ભાગ ભજવ્યો હતો.

    - Advertisement -

    દિલ્હી પોલીસે તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં ખાસ ઑપરેશન પાર પાડીને અલ-કાયદા પ્રેરિત એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને 6 ઇસમોની ધરપકડ કરી લીધી હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઇન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી કુલ 17 ઠેકાણે દરોડા પાડીને ટેરર મોડ્યુલ સાથે સંકળાયેલા 6ની ધરપકડ કરી હતી અને બાકીના 8 લોકોની અટકાયત કરી લીધી હતી. આ આખા મોડ્યુલનો મુકાદમ રાંચીનો એક ડૉક્ટર હોવાનું સામે આવ્યું છે, જેની ઓળખ ઈશ્તિયાક અહમદ તરીકે થઈ છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી એક આ ઈશ્તિયાક જ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

    23 ઑગસ્ટના રોજ રાંચીના બરિયાતુ જોડા તળાવ પાસે આવેલા એક અપાર્ટમેન્ટમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ઝારખંડ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ બાદ અહીં રહેતા ડૉ. ઈશ્તિયાક અહમદની ધરપકડ કરી લેવામાં આવી હતી. જાણવા મળ્યા અનુસાર, તે મૂળ જમશેદપુરનો છે અને છેલ્લાં 6 વર્ષોથી રાંચીના મેડિકલ હૉસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. હજારીબાગ જિલ્લામાં તેનું પોતાનું ક્લિનિક પણ છે. તેણે રાંચીના RIMSમાંથી MBBSનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

    અન્ય આતંકવાદીઓના સંપર્કમાં હતો ઈશ્તિયાક

    વધુ વિગતો જોઈએ તો, દિલ્હી પોલીસે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પોલીસ સાથે મળીને દેશમાં મોટાપાયે ચાલી રહેલા આતંકવાદી નેટવર્કનો ખુલાસો કર્યો હતો. આ ત્રણેય રાજ્યોમાંથી ‘અલ કાયદા ઇન ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ’ (AQIS) મોડ્યુલ અંતર્ગત ગતિવિધિઓને અંજામ આપતા લોકોની ધરપકડ-અટકાયત કરવામાં આવી હતી. આ મોડ્યુલનું નેતૃત્વ ઈશ્તિયાક કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તે દેશમાં મોટી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતો અને તે માટે માણસો તૈયાર કરી રહ્યો હતો.

    - Advertisement -

    ઈશ્તિયાક અહમદનું જોડાણ અબ્દુલ રહેમાન કાટકી સાથે પણ જોવાનું તપાસમાં સામે આવ્યું છે. કાટકી અબ્દુલ રહેમાન લખવીનો નજીકનો માણસ છે, જેણે 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું રચવામાં ભાગ ભજવ્યો હતો. 2015માં અલ-કાયદા સાથે જોડાણ સામે આવ્યા બાદ કાટકીની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે તિહાડ જેલમાં જ બંધ છે. રિપોર્ટ અનુસાર, ઝારખંડનું મોડ્યુલ કાટકીએ જ તૈયાર કર્યું હતું, પરંતુ તે જેલમાં ગયા બાદ ઈશ્તિયાક તેને આગળ વધારી રહ્યો હતો.

    ભારતમાં શરિયા કાનૂન સ્થાપવા માંગતા હતા આતંકીઓ

    રિપોર્ટ્સ અનુસાર, અનેક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ પરથી જાણવા મળ્યું છે કે આરોપી જેહાદીઓ ભારત અને પાડોશી દેશોમાં અલ-કાયદાનો વિસ્તાર કરવા માટે કામ કરી રહ્યા હતા. જેમનો ઉદ્દેશ્ય વધુમાં વધુ યુવાનોની ભરતી કરીને તેમનું બ્રેનવૉશ કરીને આતંકી ગતિવિધિઓમાં સામેલ કરવાનો હતો. ઉપરાંત, ભારતમાં ‘શરિયા કાનૂન’ સ્થાપવાનાં સપનાં લઈને પણ આ ટોળકી કામ કરી રહી હતી. ઉપરાંત, તેઓ તક જોઈને નવી દિલ્હી સહિતનાં દેશનાં મોટાં શહેરોમાં આતંકવાદી હુમલાઓ કરવાની ફિરાકમાં હતા. 

    પોલીસે જણાવ્યું કે, આ મોડ્યુલના સભ્યોએ અનેક ઠેકાણેથી હથિયારો ચલાવવાની તાલીમ પણ લીધી હતી. હાલ આ આતંકીઓ પાસેથી સાહિત્ય અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવ્યાં છે અને તેની વધુ અને વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે. જેઓ પકડાયા છે તેમની ઓળખ ફૈજાન, મોહમ્મદ રિઝવાન, મુફ્તી રહમતુલ્લાહ, અલ્તાફ અન્સારી વગેરે તરીકે થઈ છે. જેમાંથી મુફ્તી રહમતુલ્લાહ રાંચીમાં એક મદરેસા ચલાવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં