Saturday, September 28, 2024
More
    હોમપેજક્રાઈમ‘તેરે કો મોત સે ડર નહીં લગતા ક્યા? 50 લાખ દેના પડેગા’:...

    ‘તેરે કો મોત સે ડર નહીં લગતા ક્યા? 50 લાખ દેના પડેગા’: જુહાપુરાના મુશીરે સારવારના બહાને ડૉક્ટરને ઉઠાવ્યા, લમણે પિસ્તોલ મૂકીને ખંડણી માંગી; ધરપકડ

    ફરિયાદ અનુસાર, મુશીરે એક વાર તેમના ક્લિનિક પર આવીને કહ્યું હતું કે, તમારો બંગલો 50 લાખમાં આપી દો અને જો બંગલો ન આપવો હોય તો 50 લાખ આપવા પડશે. તબીબે ના પાડતાં મુશીર ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી કે, "જો જુહાપુરામાં રહેવું હશે તો મને 50 લાખ આપવા જ પડશે.

    - Advertisement -

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા એક તબીબને મુશીર કુરેશી નામના માથાભારે શખ્સે લમણે પિસ્તોલ મૂકી 50 લાખની ખંડણી માંગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે આરોપી છેલ્લા ઘણા સમયથી તબીબને ધમકાવીને માનસિક ત્રાસ આપતો હતો. ગુનાહિત ઈતિહાસ ધરાવતો મુશીર પોતાને બિલ્ડર તરીકે ઓળખાવે છે. પીડિત તબીફે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના 3 કરોડની કિંમતનો બંગલો 50 લાખમાં પડાવી લેવા મુશીર આ પ્રકારે ધાકધમકી આપતો હતો. સાથે જ બંગલો ન આપવો હોય તો 50 લાખની ખંડણી આપવા દબાણ કરતો હતો.

    મળતી માહિતી અનુસાર, ઘટના અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારની છે. અહીં એક 62 વર્ષીય તબીબ અશરફ દીવાન પોતાના પરિવાર સાથે રહે છે અને મેમણ હોલ નજીક ક્લિનિક ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ આરોપીને છેલ્લાં 25 વર્ષથી ઓળખે છે. આરોપી મુશીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને સ્થાનિક લોકોમાં માથાભારે હોવાની છાપ ધરાવે છે. મુશીર છેલ્લા કેટલાક સમયથી પોતાને બિલ્ડર તરીકે ઓળખાવે છે. દરમિયાન મુશીરની નજર તબીબના બંગલા પર પડી હતી, સરખેજ રોડ પર આવેલા આ બંગલાની કિંમત 3 કરોડ જેટલી છે. મુશીરના મનમાં બંગલો પડાવી લેવાની લાલશા જાગી અને તે તબીબને અવારનવાર બંગલો આપી દેવા કહેવા લાગ્યો.

    દરમિયાન મુશીરે એક વાર તેમના ક્લિનિક પર આવીને કહ્યું હતું કે, તમારો બંગલો 50 લાખમાં આપી દો અને જો બંગલો ન આપવો હોય તો 50 લાખ આપવા પડશે. તબીબે ના પાડતાં મુશીર ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી કે, “જો જુહાપુરામાં રહેવું હશે તો મને 50 લાખ આપવા જ પડશે. નહિતર તને જાનથી મારી નાંખીશ અને કાં તો અહીંથી બહાર તગેડી મૂકીશ.” આટલું જ નહીં, મુશીર પોતાના માણસોને તબીબના ઘરથી ક્લિનિકના રસ્તે આવતા-જતા પણ ધાક-ધમકી અપાવવા લાગ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    - Advertisement -

    બીમારીના નામે તબીબને ઉઠાવી લીધા, લમણે પિસ્ટલ મૂકી ધમકી આપી

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા મોડી રાત્રે મુશીરના માણસો ફિરોઝ અને ફિરદોશ તબીબના ઘરે આવ્યા હતા. ઘરે આવોને તેમણે કહ્યું હતું કે મુશીરની તબિયત ખરાબ છે એટલે વિઝીટ માટે આવવું પડશે. પીડિત તેમની વાતમાં આવી ગયા અને તેમની સાથે ચાલ્યા ગયા. જુહાપુરા ખાતેના મુશીરના ઘરે પહોંચીને જોતા તે સહીસલામત હતો અને તે અને તેના ભાઈ સાથે બેઠો હતો. જેવા ડૉક્ટર પહોંચ્યા કે તમામે તેમને ઘેરી લીધા અને બંગલો ખાલી કરવાનું કહીને ગાળો આપી માર મારવા લાગ્યા.

    આ દરમિયાન મુશીર તેના રૂમમાં ગયો અને ત્યાંથી પિસ્તોલ લઇ આવ્યો. તેણે હથિયાર ડોકટરનાં લમણે મૂકીને કહ્યું કે, “તારે 50 લાખ આપવા છે કે જાનથી મારી નાખું?” તબીબ ડરી જતાં તેમણે મુશીરને હાથપગ જોડી બે દિવસની સમય માંગ્યો હતો, જેથી મુશીરે તેમને જવા દીધા હતા. ત્યારબાદ મુશીરે પીડિત પર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. ડૉક્ટરની ફરિયાદ અનુસાર મુશીરના માણસો તબીબની ગાડી પર થૂંકતા અને ધાક-ધમકીઓ પણ આપતા.

    અંતે આ ત્રાસથી કંટાળીને તબીબ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. ત્યાંથી તેમને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાનું કહેવામાં આવતા તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુશીર મુશીર ઈસ્માઈલ કુરેશી અને તેના મળતિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ થતાંની સાથે જ પોલીસે આરોપી અને તેના એક સાગરિતની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, “મુશીર એક રીઢો ગુનેગાર છે અને તેના પર હત્યા, હત્યાના પ્રયાસ સહિત 9 જેટલા ગંભીર ગુના દાખલ થઇ ચૂક્યા છે. હાલ શબીર અને તેના એક સહયોગીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં