Thursday, May 23, 2024
More
    હોમપેજદેશરાજ્યસભામાં હવેથી દર શુક્રવારે જુમ્માની નમાજ માટે નહીં મળે વધારાનો 30 મિનિટનો...

    રાજ્યસભામાં હવેથી દર શુક્રવારે જુમ્માની નમાજ માટે નહીં મળે વધારાનો 30 મિનિટનો બ્રેક, ચેરમેન જગદીપ ધનખડે બદલ્યો નિયમ: વિગતો

    રાજ્યસભા સવારે 11થી 1 અને ત્યારબાદ બપોરે 2થી સાંજે 6 સુધી ચાલે છે. વચ્ચે 1થી 2 દરમિયાન લંચ બ્રેક આપવામાં આવે છે. પરંતુ શુક્રવારે રાજ્યસભાની બીજી બેઠક બપોરે 2 નહીં પરંતુ 2:30 વાગ્યે મળે છે.

    - Advertisement -

    રાજ્યસભા ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એક મહત્વનો ફેરફાર કર્યો છે. દર શુક્રવારે નમાજ માટે વધારાનો 30 મિનીટનો સમય આપવામાં આવતો હતો, જે નિયમ હવે હટાવી દેવામાં આવ્યો છે. શુક્રવારે (8 ડિસેમ્બર, 2023) રાજ્યસભા ચેરમેને ગૃહને આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, શુક્રવારનો ગૃહનો સમય બદલી નાખવામાં આવ્યો છે અને આ નિર્ણય લોકસભાના સમયપત્રક સાથે સુમેળ સાધવા માટે લેવાયો છે. 

    વાસ્તવમાં, DMK સાંસદ તિરુચિ એન સિવાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે શુક્રવારે નવા લિસ્ટ ઑફ બિઝનેસમાં એજન્ડા 2 વાગ્યે લિસ્ટ કરવામાં આવ્યો છે. શુક્રવારે શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે રાજ્યસભાના નિયમો અનુસાર, શુક્રવારે લંચ બ્રેક 30 મિનીટ વધુ આપવામાં આવે છે. તેનું કારણ એ છે કે મુસ્લિમ સાંસદો નમાજ પઢવા માટે જતા હોય છે. 

    રૂલબુક અનુસાર, રાજ્યસભા સવારે 11થી 1 અને ત્યારબાદ બપોરે 2થી સાંજે 6 સુધી ચાલે છે. વચ્ચે 1થી 2 દરમિયાન લંચ બ્રેક આપવામાં આવે છે. પરંતુ શુક્રવારે રાજ્યસભાની બીજી બેઠક બપોરે 2 નહીં પરંતુ 2:30 વાગ્યે મળે છે. આમ તો આનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ સમજાય તેવી વાત છે કે આ વધારાનો સમય શુક્રવારની નમાજ માટે આપવામાં આવે છે. જોકે, લોકસભામાં આવો કોઇ નિયમ નથી, આ માત્ર રાજ્યસભામાં ચાલતું આવતું હતું.

    - Advertisement -

    DMKના સાંસદ તિરુચિ સિવાએ પૂછ્યું હતું કે, “અત્યાર સુધી શુક્રવારે બપોરનું સત્ર 2.30 વાગ્યે શરૂ થતું હતું, પરંતુ આજે કામકાજની સંશોધિત સૂચિમાં આ સમયને બપોરના 2 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે. આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો?” જેના પર સભાપતિએ જવાબ આપતાં જણાવ્યું હતું કે, “લોકસભાના સમયને અનુરૂપ શુક્રવારના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. શુક્રવારે બપોરે લોકસભા 2 વાગ્યે શરૂ થાય છે, સંસદનું અભિન્ન અંગ હોવાના કારણે લોકસભા અને રાજ્યસભાને સરખા સમયે ચાલે તે જરૂરી છે. જેના કારણે મારા નિર્દેશ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આજે જ શરૂ થયું હોય તેમ નથી.”

    દરમ્યાન, DMK સાંસદ એમ મોહમ્મદ અબ્દુલ્લાએ હસ્તક્ષેપ કરીને નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઘણા સમયથી ચાલતું આવ્યું છે, લગભગ 60-70 વર્ષથી. આગળ કહ્યું કે, “અઢી વાગ્યાનો સમય એટલા માટે નક્કી કરવામાં આવ્યો હતો જેથી મુસ્લિમ સભ્યો શુક્રવારે જુમ્માની નમાજ અદા કરી શકે.”

    જોકે, આ દલીલ પર સભાપતિ ધનખડે કહ્યું હતું કે, સંસદમાં તમામ સમુદાયોમાંથી સભ્યો આવે છે અને મુસ્લિમ સાંસદો માટે કોઇ વિશેષ નિયમ ન હોય શકે. તેમણે ઉમેર્યું, “લોકસભા અને રાજ્યસભામાં સમાજના તમામ વર્ગોના સભ્યો આવે છે. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યે શરૂ થાય છે. સમજી-વિચારીને અને વિચાર-વિમર્શ કર્યા બાદ જ મેં આ સમય લાગુ કર્યો છે. પાછલા સત્રમાં પણ તે લાગુ હતો અને તેની જાણકારી પણ આપવામાં આવી હતી અને જણાવાયું હતું કે, લોકસભાના સમય સાથે મેળ સાધવા માટે ગૃહ લંચ બાદ બપોરે 2 વાગ્યે મળશે.”

    સભાપતિ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું અને તે વિશે સભ્યોને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યા બાદ સભ્યોએ વધુ દલીલો કરી ન હતી. જોકે, એ નોંધવું જોઈએ કે સંસદની વેબસાઈટ પર પ્રકાશિત રાજ્યસભાના નિયમો હજુ સુધી અપડેટ થયા નથી અને 2016ની જ આવૃતિ બતાવવામાં આવી રહી છે, જેમાં શુક્રવારે લંચ બ્રેક દોઢ કલાકનો દર્શાવાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં