Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજગન્નાથ પુરી પરિક્રમા પ્રોજેક્ટ વિરુધની અરજી ફગાવી: SCએ કહ્યું- ન્યાયતંત્રનો સમય ન...

    જગન્નાથ પુરી પરિક્રમા પ્રોજેક્ટ વિરુધની અરજી ફગાવી: SCએ કહ્યું- ન્યાયતંત્રનો સમય ન બગાડો, ₹1 લાખનો દંડ ફટકાર્યો

    પ્રખ્યાત જગન્નાથપુરીના મંદિરની આસપાસ બનાવવામાં આવેલા કોરીડોર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજીને કોર્ટે આજે કાઢી નાખી હતી એટલું જ નહીં પરંતુ અરજદારોને ઠપકો આપતાં તેમના પર દંડ પણ લગાવ્યો હતો.

    - Advertisement -

    જગન્નાથ પુરી પરિક્રમા પ્રોજેક્ટ વિરુધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઓડિશાના પ્રખ્યાત જગન્નાથ પુરીમાં ઓડિશા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવીને ઓડિશા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અરજદારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરની મેઘનાદ દિવાલની આસપાસ ‘પરિક્રમા પ્રકલ્પ’ કે પછી પુનર્વિકાસ કાર્યને ગેરકાયદેસર ગણાવ્યું હતું. જગન્નાથ પુરી પરિક્રમા પ્રોજેક્ટ વિરુદ્ધ અરજી થઇ હતી.

    સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં આવી અરજીઓને નોન-મેરિટ ગણાવી હતી, અને કહ્યું હતું કે આવી અરજીઓ દાખલ કરવી એ ન્યાયતંત્રના સમયનો વ્યય કરવા જેવું છે. કોર્ટે આ કેસમાં અરજદારો પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટથી લાખો શ્રદ્ધાળુઓને લાભ થશે અને આ અરજી તેમના હિતની વિરુદ્ધ હતી. કોર્ટના કહેવા પ્રમાણે, અરજદારો માત્ર અંગત સ્વાર્થ સાધી રહ્યા હતા.

    લોં બીટનું ટ્વીટ (સાભાર Opindia Hindi)

    આ સાથે સર્વોચ્ચ અદાલતે વહેલી તકે લીસ્ટેડ કરવાની માંગણી કરતા આ અરજદારોની રીતો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી, અને કડક ટીપ્પણી કરી હતી કે અરજદારોએ એવો હોબાળો મચાવ્યો છે કે જો અગ્રતાના ધોરણે અરજીની સુનાવણી નહીં થાય તો આભ તૂટી પડશે. કોર્ટના નિર્ણય અનુસાર, ઓડિશા સરકાર હવે 12મી સદીના જગન્નાથ મંદિરની મેઘનાદ દિવાલની આસપાસ નિર્માણ કાર્ય ચાલુ રાખી શકે છે.

    - Advertisement -

    આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ ગવઈની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્ય સરકારને મંદિરની આસપાસ ખોદકામ અને નિર્માણ કાર્ય હાથ ધરવાથી રોકી શકાય નહીં. જોઈ શકાય છે કે હાલનો પ્રોજેક્ટ મૃણાલિની પાધી વિ યુનિયન ઓફ ઈન્ડિયા 2019 ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 અનુસાર પણ છે. કોર્ટે કહ્યું કે આ જગન્નાથ મંદિરમાં આવતા લાખો ભક્તોના હિતમાં છે.

    અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખોદકામની કામગીરી હાથ ધરવા માટે કોઈ પરવાનગી લીધી નહોતી. જો કે, રાજ્ય સરકારે કહ્યું હતું કે તમામ જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં ઓડિશા સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પિનાકી મિશ્રા પુરીના વર્તમાન સાંસદ પણ છે. તેમણે ચુકાદાને “ભગવાન જગન્નાથની ઈચ્છા” ગણાવ્યો અને કહ્યું કે નવીન પટનાયક સાચા છે.

    શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ શું છે

    નોંધનીય છે કે, શ્રી મંદિર પરિક્રમા પ્રોજેક્ટ અને જગન્નાથપુરી મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન નવેમ્બર 2021 માં ઓડિશાના સીએમ નવીન પટનાયક દ્વારા કરવામાં આવ્યું હતું. પુરીના તત્કાલીન ‘ઓડિશાના રાજા’ ગજપતિ મહારાજે એક ભવ્ય સમારોહમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

    મંદિર વિકાસના આ પ્રોજેક્ટ હેઠળ, મંદિરની આસપાસના 75 મીટરના વિસ્તારને અગાઉ તમામ ગેરકાયદેસર અતિક્રમણોથી સાફ કરવામાં આવ્યો હતો અને ભવ્ય રથયાત્રા ઉત્સવ માટે મોકળો અને પહોળો કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં 12મી સદીના મંદિરની દીવાલને સુરક્ષિત રાખવા માટે અનેક સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે. ઑગસ્ટ 2019 માં, ઓડિશા સરકારે જાહેરાત કરી હતી કે 12મી સદીના મંદિરની સુરક્ષા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે જગન્નાથ મંદિરની મેઘનાદ દિવાલની 75 મીટરની અંદરની તમામ સંરચનાઓ દૂર કરવામાં આવશે.

    આ માટે જસ્ટિસ બીપી દાસ કમિશન દ્વારા કરાયેલી ભલામણોના પ્રથમ તબક્કાને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સરકારના અતિક્રમણ વિરોધી અભિયાનનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો. સીએમ નવીન પટનાયકે કહ્યું હતું કે તેઓ પુરીને વર્લ્ડ ક્લાસ હેરિટેજમાં ફેરવવાના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં