2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો. પરંતુ આ કેસે સાધ્વી પ્રજ્ઞા પર થયેલા અમાનવીય અત્યાચારની ચર્ચાને પણ ફરી જન્મ આપ્યો છે. 17 વર્ષો બાદ આજે ભલે ‘ભગવા આતંકવાદ’નો નેરેટિવ ખોટો સાબિત થયો, પણ સાધ્વી પ્રજ્ઞાને મળેલી પ્રતાડના કોંગ્રેસની કાળી કરતૂતોને ઇતિહાસના અંત સુધી અમર રાખશે. સાધ્વીની ભૂલ માત્ર એ હતી કે, તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરતાં અને ગર્વથી પોતાને હિંદુ કહેતાં.
કોર્ટનો નિર્ણય આવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ ન્યાયાધીશ સમક્ષ પોતાની વાત પણ રાખી છે. તેમણે કહ્યું છે કે, “મેં હંમેશા કહ્યું કે, જેને પણ તપાસ માટે બોલાવવામાં આવે છે, તેની પાછળ કોઈ આધાર હોવો જરૂરી છે. મને કોઈપણ આધાર વગર તપાસ માટે બોલાવવામાં આવી અને ધરપકડ કરીને મને પ્રતાડિત કરવામાં આવી. મારુ આખું જીવન બરબાદ થઈ ગયું. હું સંન્યાસી જીવન જીવી રહી હતી, પણ મને ફસાવીને ખોટા આરોપો લગાવી દેવામાં આવ્યા. કોઈપણ અમારી સાથે ઊભા રહેવા માટે તૈયાર નહોતા.”
Addressing the judge in the NIA Court, Sandhvi Pragya Singh says, "I said this from the very beginning that those who are called for investigation there should be a basis behind that. I was called by them for investigation and was arrested and tortured. This ruined my whole life.… https://t.co/GNyiAclNoF pic.twitter.com/zSxIYurGX0
— ANI (@ANI) July 31, 2025
વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, “આજે હું જીવિત છું, કારણે કે હું સન્યાસી છું. એક ષડ્યંત્ર હેઠળ ભગવાને બદનામ કરવામાં આવ્યો. આજે ભગવાની જીત થઈ છે, હિન્દુત્વની જીત થઈ છે અને ઈશ્વર તે આરોપીઓને દંડ પણ આપશે. જોકે, જેણે ભારત અને ભગવાને બદનામ કર્યા છે, તેમને હજુ સુધી તમે ખોટા સાબિત નથી કર્યાં.”
શું હતો કેસ?
કેસની વિગતો વિશે વાત કરવામાં આવે તો 29 સપ્ટેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં માલેગાંવમાં ભિક્ખુ ચોક મસ્જિદ પાસે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. મોટરસાઇકલ પર બૉમ્બ બાંધીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 6 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2008માં માલેગાંવમાં થયેલા બૉમ્બ ધડાકાઓની તપાસ મહારાષ્ટ્રના એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં 2011માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને (NIA) સોંપવામાં આવી હતી.
આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય સહિતના લોકો પર એવો આરોપ નાખી દેવાયો હતો કે, તેમણે હિંદુ સંગઠન ‘અભિનવ ભારત’ના બેનર હેઠળ બૉમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ LML ફ્રીડમ મોટરસાઇકલ ધડાકામાં ઉપયોગમાં લેવાઈ હતી. જોકે, કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, આ મોટરસાઇકલની માલિકી કે તેનો ધડાકામાં ઉપયોગ થયો હોવાના કોઈ નક્કર પુરાવા નથી.
સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય સહિતના 7 લોકો વિરુદ્ધ UAPA, આતંકવાદ, આર્મ્સ એક્ટ અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 17 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો. જે દરમિયાન 323 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાથી 37 સાક્ષીઓ પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા. તે સિવાય બચાવ પક્ષના પણ 8 સાક્ષીઓ રજૂ થયા હતા.
અમાનુષી અત્યાચારનાં 17 વર્ષ
બ્લાસ્ટ બાદ 23 ઑક્ટોબર, 2008ના રોજ ATSએ ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરી હતી. તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને આ બૉમ્બ બ્લાસ્ટમાં તેમની સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ લગાવાયો કે બૉમ્બ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ LML ફ્રીડમ મોટરસાઇકલના એન્જિન અને ચેસિસ નંબર પરથી જાણવા મળ્યું છે કે, તે બાઇક સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ છે. જોકે, રજીસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સામે આવ્યું હતું.
મહારાષ્ટ્ર ATSએ દાવો કર્યો હતો કે તે મોટરસાઇકલનો ઉપયોગ વિસ્ફોટ લગાવવા માટે કરવામાં આવ્યો હતો અને તે જ આધાર પર સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન તેમને એટલા પ્રતાડિત કરવામાં આવ્યાં હતાં કે તેમને મેડિકલ ઇમરજન્સી હેઠળ વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી હતી. એપ્રિલ, 2011માં આ કેસ NIAને સોંપી દેવામાં આવ્યો હતો. NIAએ ATSની તપાસમાં અનેક ખામીઓ હોવાનું પણ જણાવ્યું હતું.
એજન્સીએ પોતાની તપાસમાં એવું પણ કહ્યું કે મોટરસાઇકલ ભલે સાધ્વી પ્રજ્ઞાના નામ પર હોય, પરંતુ તેનો ઉપયોગ રામચંદ્ર કલસાંગરા નામનો એક ફરાર આરોપી કરી રહ્યો હતો. UAPA હેઠળ સાધ્વી પર કરવામાં આવેલી કાર્યવાહી પણ દોષપૂર્ણ ગણવામાં આવી હતી. વર્ષ 2020માં સાધ્વી પ્રજ્ઞાએ રિપબ્લિક ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમના પર થયેલા અમાનુષી અત્યાચાર વિશે વાત કરી હતી.
શારીરિક પ્રતાડના અને અશ્લીલ વિડીયો દેખાડવાનો આરોપ
સાધ્વી પ્રજ્ઞાએ આરોપ લગાવ્યા હતા કે, તેમની સાથે તપાસ દરમિયાન અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ આરોપોમાં શારીરિક અને માનસિક શોષણ, ગેરકાયદેસર અટકાયત અને હિંદુ ધર્મને બદનામ કરવાના ષડ્યંત્રનો સમાવેશ પણ થાય છે. સાધ્વીએ જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંઘ સામે 3-4 પોલીસકર્મીઓએ તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમને કસ્ટડીમાં લઈને આખી રાત સુધી મારપીટ કરવામાં આવતી હતી. બેલ્ટથી માર મારવામાં આવતો હતો અને તેના કારણે તેમના કરોડરજ્જુનું હાડકું પણ ભાંગી ગયું હતું. જે બાદ તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યાં હતાં.
વધુમાં સાધ્વી પ્રજ્ઞાએ ગંભીર આરોપ લગાવતાં એવું પણ કહ્યું હતું કે, અટકાયત દરમિયાન તેમને પુરુષ કેદીઓ સાથે રાખવામાં આવતાં અને પોર્ન વિડીયો બતાવવામાં આવતા હતા. તેનો હેતુ સાધ્વીની ધાર્મિક ઓળખ અને સંન્યાસી જીવનને નીચું દેખાડવાનો હતો. જેથી તેમની સાધુતા ખંડિત કરી શકાય અને હિંદુ સંન્યાસીનું અપમાન કરી શકાય. તેમણે એવો આરોપ પણ લગાવ્યો હતો કે તેઓ સાધ્વી હોવા છતાં તેમને અશ્લીલ સવાલો પૂછવામાં આવતા હતા અને તેનો જવાબ આપવા માટેની ફરજ પાડવામાં આવતી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પહેલાં તેમને ‘ભગવા આતંકી’ કહેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. તેમણે એવો આરોપ લગાવ્યો કે, આ આખું ષડ્યંત્ર કોંગ્રેસનું હતું અને તેમના કહેવા પર જ આ બધું થઈ રહ્યું હતું.
ભૂખ્યા રાખીને અપાતા હતા વીજળીના કરંટ
સાધ્વી પ્રજ્ઞાએ એવું પણ કહ્યું હતું કે તેમને ચામડાના બેલ્ટથી નિર્દયતાથી મારવામાં આવતો હતો અને 24 દિવસો સુધી તેમને ભૂખ્યા રાખવામાં આવ્યાં હતાં. તે સિવાય તેમને વીજળીનો કરંટ પણ આપવામાં આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરરોજ તેમને અશ્લીલ ગાળો આપવાનું સામાન્ય થઈ ચૂક્યું હતું. તેમના અનુસાર, સતત માર મારવા માટે 5-7 પોલીસકર્મીઓને તૈયાર રાખવામાં આવતા હતા અને તેઓ થાકી જાય તો અન્ય પોલીસકર્મીઓને બોલાવવામાં આવતા હતા. તેમના પગના તળિયા પર પણ બેલ્ટથી માર મારવામાં આવતો હતો અને આ દરમિયાન તેમની આખી નર્વસ સિસ્ટમ સુન્ન થઈ જતી હતી.
આ લોકો માત્ર અહીં જ નહોતા અટક્યા. સાધ્વીએ આરોપ લગાવ્યો કે અટકાયત દરમિયાન તેમને માર મારવામાં આવતો હતો અને તેમના હાથને ઉકળતા પાણીમાં નાખવામાં આવતા હતા. તે સિવાય કપાયેલા હાથ અને ઉઝરડાઓ પર મીઠું નાખવામાં આવતું હતું. તે સિવાય પણ અનેક અત્યાચારનો સામનો તેમણે કર્યો હતો.
નિર્વસ્ત્ર કરવાની અપાતી હતી ધમકીઓ
સાધ્વીએ એવું પણ કહ્યું કે, તેમને સતત એવી ગાળો આપવામાં આવતી હતી, જે કોઈ સ્ત્રી ભાગ્યે જ સાંભળી શકે. તેમને વારંવાર નિર્વસ્ત્ર કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. તેઓ શુદ્ધ શાકાહારી હોવા છતાં તેમને ઈંડા ખાવા માટે મજબૂર કરવામાં આવતાં હતાં. સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, અમાનુષી અત્યાચારના કારણે તેમના આખા શરીર પર સોજો ચડી ગયો હતો અને શરીરના ઘણા ભાગોમાં તો પસ પણ એકઠું થઈ ગયું હતું. તે અત્યાચારનું પરિણામ આજે પણ સાધ્વી ભોગવી રહ્યાં છે. આજે પણ તેઓ અનેક શારીરિક બીમારીઓઓ સામનો કરી રહ્યાં છે.
તેમને કેન્સર અને ન્યૂરો જેવી બીમારીઓ પણ થઈ ચૂકી છે. કોર્ટમાં પોતાની પ્રતાડના વિશે વાત કરતાં-કરતાં સાધ્વી પ્રજ્ઞા રડી પડ્યાં હતાં. પરંતુ આજે જ્યારે સત્યનો વિજય થયો અને ‘ભગવા આતંકવાદ’નો નેરેટિવ તૂટ્યો, ત્યારે સાધ્વીએ પોતે પણ એવું કહ્યું છે કે, આજે હિન્દુત્વનો વિજય થયો છે, આજે ભગવાનો વિજય થયો છે.
‘ભગવા આતંકવાદ’નો ઘડાયો હતો નેરેટિવ
ભાજપના સાંસદ રવિ કિશન અને શિવસેનાના (એકનાથ શિંદે) સાંસદ નરેશ મ્હસ્કેએ ચુકાદા બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, તેણે ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરીને હિંદુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિ કિશને એમ પણ કહ્યું કે, ‘100 કરોડ હિંદુઓને જવાબ આપવો પડશે’ અને આ નેરેટિવના ‘માસ્ટરમાઇન્ડ’ની તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. સાધ્વી અને હિંદુ સંગઠનોના ઘણા લોકોનું માનવું છે કે, કોંગ્રેસે હિંદુવિરોધી નેરેટિવ ઘડવા માટે આ કેસનો ઉપયોગ કર્યો હતો.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના પ્રતાડનાના આરોપો ગંભીર છે. સાધ્વી અને તેમના સમર્થકોનો દાવો છે કે આ કેસ રાજકીય ષડયંત્રનો ભાગ હતો અને કોંગ્રેસે ‘ભગવા આતંકવાદ’નો ખોટો નેરેટિવ ઊભો કરીને હિંદુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચુકાદાએ ન્યાયપાલિકામાં વિશ્વાસ દર્શાવ્યો છે, પરંતુ સાથે જ તપાસ એજન્સીઓની કામગીરી અને કોંગ્રેસ પરના આરોપો પર ચર્ચા પણ શરૂ કરી છે. આ કેસ ભારતના ઇતિહાસમાં એક જટિલ અધ્યાય રહેશે, જેમાં ન્યાય, ધર્મ, રાજકારણ અને માનવાધિકારના મુદ્દાઓ ગૂંથાયેલા છે.


